________________
ર૯૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ
અને અકાર્ય એવી મેં મારે માટે તને ઘણો ખેદ આપ્યો, તેની ક્ષમા કર. ખરેખર જોતાં વિદ્યાધર રાજા જેવો મારા ઉપર ઉપકાર કરનારો બીજો કોઈ નથી. કેમકે, જેની બીકથી હું અનંત પુણ્યોથી પણ ન મળી શકે એવા તારા ખોળામાં આવીને બેઠી. ધનવાન પુરુષના પ્રસાદથી જેમ નિર્ધન પુરુષ સુખી થાય છે, તેમ અમારા જેવા પરાધીન અને દુઃખી જીવ તારા યોગથી ચિરકાળ સુખી થાઓ.” કુમારે કહ્યું, "મીઠું બોલનારી હે હંસી! તું કોણ છે? વિદ્યાધરે તને શી રીતે હરણ કરી? અને આ મનુષ્યની વાણી તું શી રીતે બોલે છે તે કહે પછી તે ઉત્તમ હંસી કહેવા લાગી :
"મોટા જિનમંદિરથી શોભતા વૈતાઢય પર્વતના ઉચ્ચ શિખરના અલંકારભૂત એવા રથનૂપુરચક્રવાળ નામે નગરની રક્ષા કરનારો અને સ્ત્રીઓને વિષે આસક્ત એવો તરૂણીમૃગાંક નામે વિદ્યાધર રાજા છે. એકદા તેણે આકાશમાર્ગે જતાં કનકપુરીમાં મનોવેધક અંગચેષ્ટા કરનારી અશોકમંજરી નામે રાજકન્યા જોઈ. સમુદ્ર ચંદ્રમાને જોતાં જ જેમ ખળભળે છે, તેમ હિંડોળા ઉપર ક્રીડા કરનારી સાક્ષાત્ દેવાંગના સરખી તે કન્યાને જોઈ વિદ્યાધર રાજા ક્ષોભ પામ્યો પછી તેણે તોફાની પવન વિતુર્વીને હિંડોળા સાથે રાજકન્યાને હરણ કરી. પોતાનો મતલબ સાધવા યથાશક્તિ કોણ પ્રયત્ન ન કરે?" - વિદ્યાધર રાજાએ રાજકન્યાને હરણ કરી શબરસેના નામે મોટી અટવીમાં મૂકી. ત્યાં તે હરિણની જેમ બીક પામવા લાગી. અને ટીટોડીની માફક આક્રંદ કરવા લાગી. વિદ્યાધર રાજાએ તેને કહ્યું, "હે સુંદર સ્ત્રી! તું બીકથી કેમ ધ્રુજે છે? દિશાઓને વિષે નજર કેમ ફેંકે છે? અને તે સુંદરી ! આજંદ પણ કેમ કરે છે? હું કોઈ બંદીખાનામાં રાખનારો કે પરસ્ત્રીલંપટ નથી, પણ તારો દાસ થઈ તને પ્રાર્થના કરું છું. માટે મારી સાથે પાણિગ્રહણ કર અને તમામ વિદ્યાધરોની તુ સ્વામિની થા." - "અગ્નિની માફક બીજાને ઉપદ્રવ કરનારા કામાંધ લોકો દુષ્ટ અને અનિષ્ટચેષ્ટા કરીને પાણિગ્રહણ કરવા ઈચ્છે છે, એમને અતિશય ધિક્કાર થાઓ !!” મનમાં એવો વિચાર કરનારી અશોકમંજરીએ વિદ્યાધર રાજાને કાંઈ પણ ઉત્તર આપ્યો નહીં. અનિષ્ટ ચેષ્ટા પ્રકટ દેખાતી હોય તે પુરુષને કયો સપુરુષ મોઢે ના-હા નો જવાબ સરખો આપે ! "માતા-પિતા તથા સ્વજનના વિરહથી હાલમાં એને નવું દુઃખ થયું છે, તથાપિ અનુક્રમે સુખેથી એ મારી ઈચ્છા ફળીભૂત કરશે.” મનમાં એવી આશા રાખીને વિદ્યાધર રાજાએ શાસ્ત્રી જેમ પોતાના શાસ્ત્રનું સ્મરણ કરે છે, તેમ પોતાનું સર્વ કામ પરિપૂર્ણ કરનારી સુંદર વિદ્યાને સંભારી તેનું સ્મરણ કર્યું.
કન્યાનું સ્વરૂપ ગુપ્ત રાખવા માટે વિદ્યાના પ્રભાવથી તે વિદ્યાધર રાજાએ રાજકન્યાને નટની માફક એક તાપકુમારના સ્વરૂપમાં પ્રક્ટ કરી. જેનામાં બિલકુલ સત્ત્વ નથી, તથા બાળક જેવી બુદ્ધિવાળો એવો વિદ્યાધર રાજા કેટલીયવાર અશોકમંજરીને મનાવતો હતો. મનાવતાં તેણે જે આદરસત્કારનાં વચન કહ્યાં, તે અશોકમંજરીને તિરસ્કારરૂપ લાગ્યાં. બીજા સારા ઉપચાર કર્યા તે આપદાની પ્રાપ્તિ જેવા લાગ્યા અને પ્રેમપૂર્વક આલાપ કર્યા તે પાપની વાણી સરખા લાગ્યા. રાખમાં હોમ કરવો, જળના પ્રવાહમાં પેશાબ કરવો અથવા ખારી ભૂમિમાં વાવવું, સીંચવું, વગેરે જેમ નકામું છે, તેમ વિદ્યાધર રાજાના સર્વ મનાવવાના પ્રકાર અશોકમંજરીને વિષે નકામા થયા, તો પણ વિદ્યાધર રાજાએ મનાવવાના નિષ્ફળ પ્રકાર બંધ કર્યા નહીં.