________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
નગરી તાબામાં લીધી. આ રીતે જ એટલે જેમ ઘરની યુક્તિ કહી તે પ્રમાણે દુકાન પણ સારો પાડોશ જોઈ, ઘણું જાહેર નહિ, તથા ઘણું ગુપ્ત નહિ એવી જગ્યાએ પરિમિત બારણાવાળી પૂર્વે કહેલ વિધિ પ્રમાણે બનાવવી, એજ સારું છે. કેમકે તેથી જ ધર્મ, અર્થ અને કામની સિદ્ધિ થાય છે.
ઈતિ પ્રથમ દ્વાર સંપૂર્ણ (૧).
૩૭૬
ઉચિત વિદ્યાનું ગ્રહણ
ત્રિવર્ગસિદ્ધિનું કારણ એ પદોનો સંબંધ બીજા દ્વારમાં પણ લેવાય છે, તેથી એવો અર્થ થાય કે, ધર્મ, અર્થ અને કામ એ ત્રણની સિદ્ધિ જેથી થતી હોય, તે વિદ્યાઓનું એટલે લખવું, ભણવું, વ્યાપાર વગેરે કળાઓનું ગ્રહણ વિગેરે અધ્યયન સારી રીતે કરવું. કેમ કે, જેને કળાઓનું શિક્ષણ ન મળ્યું હોય તથા જેનો જેણે અભ્યાસ ન કર્યો હોય, તેને પોતાની મૂર્ખતાથી તથા હાંસી કરવા યોગ્ય હાલતથી પગલે પગલે તિરસ્કાર ખમવો પડે છે.
જેમકે, કાલિદાસ કવિ પહેલાં તો ગાયો ચારવાનો ધંધો કરતો હતો. એક વખત રાજાની સભામાં તેણે સ્વસ્તિક એમ કહેવાને બદલે ઉશરટ એમ કહ્યું. તેથી તે ઘણો ધિક્કારાયો, પછી દેવતાને પ્રસન્ન કરી મોટો પંડિત તથા કવિ થયો. ગ્રંથ સુધારવામાં ચિત્રસભા-દર્શનાદિક કામોમાં જે કળાવાન્ હોય, તે જો કે, પરદેશી હોય, તો પણ વાસુદેવાદિકની માફક સત્કાર પામે છે. કેમકે પંડિતાઈ અને રાજાપણું એ બે સરખાં નથી; કારણ કે રાજા પોતાના દેશમાં જ પૂજાય છે, અને પંડિત સર્વ ઠેકાણે પૂજાય છે.
સર્વે કળાઓ શીખવી. કેમકે દેશ, કાળ વગેરેને અનુસરી સર્વે કળાઓનો વિશેષ ઉપયોગ થવાનો સંભવ છે. તેમ ન કરે તો કદાચ માણસ પડતી દશામાં આવે છે. કહ્યું છે કે -અટ્ટમટ્ટના પણ શીખવું, કારણ કે શીખેલું નકામું જતું નથી. અદમટ્ટ પ્રસાદથી ગોળ અને તુંબડું ખવાય છે. સર્વે કળાઓ આવડતી હોય તો પહેલાં કહેલા આજીવિકાના સાત ઉપયોગમાંના એકાદ ઉપાયથી સુખે નિર્વાહ થાય. તથા વખતે સમૃદ્ધિ આદિ પણ મળે. સર્વે કળાઓનો અભ્યાસ કરવાની શક્તિ ન હોય તો, શ્રાવકપુત્રે જેથી આલોકમાં સુખે નિર્વાહ અને પરલોકમાં શુભગતિ થાય, એવી એક કળાનો પણ સમ્યક્ પ્રકારે અભ્યાસ જરૂર કરવો.
વળી કહ્યું છે કે – શ્રુતરૂપ સમુદ્ર અપાર છે, આયુષ્ય થોડું છે, હાલના જીવ ઓછી બુદ્ધિના છે માટે એવું કાંઈક શીખવું કે જે થોડું હોવા છતાં સારૂં કાર્ય સાધી શકે એવું હોય. આ લોકમાં ઉત્પન્ન થયેલ મનુષ્ય બે વાત જરૂર શીખવી જોઈએ. (૧) જેનાથી પોતાનો સુખે નિર્વાહ થાય, (૨) મરણ પછી જેનાથી સદ્ગતિ પામે તે. નિંદ્ય અને પાપમય વ્યાપારવડે નિર્વાહ કરવો અનુચિત છે. મૂળ ગાથામાં "ઉચિત" પદ છે, માટે નિંદ્ય તથા પાપમય વ્યાપારનો નિષેધ થયો, એમ જાણવું. ઈતિ બીજું દ્વાર સંપૂર્ણ.
પાણિગ્રહણ
પાણિગ્રહણ એટલે વિવાહ. તે પણ ત્રિવર્ગની એટલે ધર્મ, અર્થ અને કામની સિદ્ધિનું કારણ છે,