________________
૩૮૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
વીતભયપત્તન જાઉં. ગુટિકાના પ્રભાવથી તે ત્યાં આવ્યો. કુન્નાદાસીએ તેને તે પ્રતિમાને વંદાવી. પછી તે ગાંધાર શ્રાવક ત્યાં માંદો પડયો. કુન્નાદાસીએ તેની સારવાર કરી. પોતાનું આયુષ્ય થોડું રહ્યું એમ જાણી તે શ્રાવકે સર્વે ગુટિકાઓ કુન્નાદાસીને આપી દીક્ષા લીધી. કુન્નાદાસી એક ગુટિકા ભક્ષણ કરવાથી ઘણી સુંદર થઈ, તેથી જ તેનું સુવર્ણગુલિકા એવું નામ પ્રસિદ્ધ થયું. બીજી ગોળી ભક્ષણ કરીને તે દાસીએ ચિંતવ્યું કે, ચૌદ મુકુટધારી રાજાઓએ સેવિત એવો ચંડપ્રદ્યોત રાજા મારો પતિ થાઓ, એટલે ઉદાયન રાજા પિતા સમાન થશે. અને બીજા રાજાઓ તો ઉદાયનના સેવક છે."
પછી દેવતાના વચનથી ચંડપ્રદ્યોત રાજાએ સુવર્ણગુલિકાને ત્યાં દૂત મોકલ્યો, પણ સુવર્ણગુલિકાએ ચંડપ્રદ્યોતને બોલાવ્યાથી તે અનિલવેગ હાથી ઉપર બેસી સુવર્ણગુલિકાને તેડવા માટે ત્યાં આવ્યો. સુવર્ણગુલિકાએ કહ્યું કે, "આ પ્રતિમા લીધા વિના હું ત્યાં ન આવું, માટે આ પ્રતિમા સરખી બીજી પ્રતિમા કરાવીને અહીં સ્થાપન કર, એટલે આ પ્રતિમા સાથે લઈ જવાશે. પછી ચંડપ્રદ્યોતે ઉજ્જયિનીએ જઈ બીજી પ્રતિમા કરાવી. અને કપિલ નામના કેવળીને હાથે તેની પ્રતિષ્ઠા કરાવી. તે પ્રતિમા સહિત પાછો વીતભયપત્તન આવ્યો. નવી પ્રતિમા ત્યાં સ્થાપન કરી. જુની પ્રતિમાને તથા સુવર્ણગુલિકા દાસીને લઈ ચંડપ્રદ્યોત કોઈ ન જાણે તેવી રીતે રાત્રિએ પાછો ઘેર આવ્યો. પછી સુવર્ણગુલિકા અને ચંડપ્રદ્યોત બન્ને વિષયાસક્ત થયાં, તેથી તેમણે વિદિશાપુરીના રહીશ ભાયલસ્વામી શ્રાવકને તે પ્રતિમા પૂજા કરવાને માટે આપી.
એક વખતે કંબલ-શંબલ નાગકુમાર તે પ્રતિમાની પૂજા કરવા આવ્યા, પાતાળમાંની જિનપ્રતિમાઓને વાંદવાની ઈચ્છા કરનાર ભાયલને તે નાગકુમારો પ્રહને માર્ગે પાતાળે લઈ ગયા, તે વખતે ભાયલ પ્રતિમાની પૂજા કરતો હતો પણ જવાની ઉતાવળથી અર્ધી જ પૂજા થઈ. પાતાળમાં જિનભક્તિથી પ્રસન્ન થયેલ ભાયલે કહ્યું કે, જેમ મારા નામની પ્રસિદ્ધિ થાય તેમ કરો.” નાગેન્દ્ર કહ્યું તેમજ થશે.” ચંડપ્રદ્યોત રાજા વિદિશાપુરીનું તારા નામને અનુસરી દેવકીયપુર એવું નામ રાખશે, પણ તું અર્ધી પૂજા કરી અહીં આવ્યો તેથી આવતા કાળમાં તે પ્રતિમા પોતાનું સ્વરૂપ ગુપ્ત જ રાખશે અને મિથ્યાષ્ટિઓ તેની પૂજા કરશે. "આ આદિત્ય ભાયલસ્વામી છે.” એમ કહી અન્યદર્શનીઓ તે પ્રતિમાની બહાર સ્થાપના કરશે. વિષાદ ન કરીશ. દુષમકાળના પ્રભાવથી એમ થશે.” ભાયલ, નાગેન્દ્રનું આ વચન સાંભળી જેવો આવ્યો હતો તેવો પાછો ગયો. - હવે વીતભય પત્તનમાં પ્રાતઃકાળે પ્રતિમાની માળા સૂકાઈ ગયેલી. દાસી જતી રહેલી અને હાથીના મદનો સ્ત્રાવ થયેલો જોઈ લોકોએ નિર્ણય કર્યો કે, ચંડપ્રદ્યોત રાજા આવ્યો હશે અને તેણે તે પ્રમાણે કર્યું હશે. પછી સોળ દેશના અને ત્રણસો ત્રેસઠ પુરના સ્વામી ઉદાયન રાજાએ મહાસેનાદિક દસ મુકુટધારી રાજાઓને સાથે લઈ ચડાઈ કરી. માર્ગમાં ઉનાળાની ઋતુને લીધે પાણીની મુશ્કેલી થવાથી રાજાએ પ્રભાવતીનો જીવ જે દેવતા થયો હતો તેનું સ્મરણ કર્યું. તેણે તુરત આવી પાણીથી પરિપૂર્ણ એવાં ત્રણ તળાવો ભરી નાંખ્યાં. અનુક્રમે યુદ્ધ કરવાનો અવસર આવ્યો ત્યારે રથમાં બેસીને યુદ્ધ લડવાનો ઠરાવ કરેલો હોવા છતાં ચંડપ્રદ્યોત રાજા અનિલવેગ હાથી ઉપર બેસીને આવ્યો, તેથી ચંડપ્રદ્યોતને