________________
ચતુર્થ પ્રકાશઃ ચાતુર્માસિકકૃત્ય
પર્વકૃત્ય કહ્યું. હવે અડધી ગાથામાં ચાતુર્માસિક કૃત્ય કહેવામાં આવે છે.
पइचउमास समुचिअ-नियमगहो पाउसे विसेसेण ||
___ प्रतिचातुर्मासं समुचितनियमग्रहः प्रावृषि विशेषेण ।। વિસ્તરાર્થ - જે શ્રાવકે પરિગ્રહ પરિમાણ વ્રત લીધું હોય, તેણે દરેક ચોમાસાને વિષે પૂર્વે લીધેલા નિયમમાં કાંઈક ઓછું કરવું. જેણે પરિમાણ વ્રત પૂર્વે ન લીધું હોય, તેણે પણ દરેક ચોમાસામાં યોગ્ય એવા નિયમ અંગીકાર કરવા. વર્ષાકાળના ચોમાસામાં તો વિશેષે કરી ઉચિત નિયમ ગ્રહણ કરવા જ. * તેમાં જે નિયમ જે સમયે લીધાથી બહુ ફળ થાય, તથા જે નિયમન લીધાથી ઘણી વિરાધના અથવા ધર્મની નિંદા વિગેરે દોષ થાય તે નિયમ તે વખતે ઉચિત કહેવાય છે. જેમ વર્ષાકાળમાં ગાડાં-ગાડી ચલાવવાની બાધા વગેરે લેવી તથા વાદળ, વર્ષાદિ થવાથી ઈયળો વગેરે પડવાને લીધે રાયણ તથા આંબા વગેરેના ફળનો ત્યાગ કરવો તે ઉચિત નિયમ જાણવા. અથવા દેશ, પુર, ગામ, જાતિ, કુળ, વય, અવસ્થા વગેરેની અપેક્ષાએ નિયમોમાં ઔચિત્ય જાણવું.
બે પ્રકારનાં નિયમ તે નિયમ બે પ્રકારના છે. એક દુઃખે પળાય એવા; તથા બીજા સુખે પળાય એવા. ધનવંત વ્યાપારી અને અવિરત લોકોને સચિત્ત રસનો તથા શાકનો ત્યાગ અને સામાયિકનો સ્વીકાર વગેરે નિયમ દુઃખે પળાય એવા છે, પરંતુ પૂજા, દાન વગેરે નિયમો તેમનાથી સુખે પળાય તેમ છે.
દરિદ્રી પુરુષોની વાત એથી ઊલટી છે. એમ છે તો પણ ચિત્તની એકાગ્રતા હોય તો ચક્રવર્તીએ તથા શાલિભદ્ર વગેરે જેમ દીક્ષાદિ કષ્ટ સહન કર્યા, તેમ સર્વે નિયમ સર્વથી સુખે પળાય તેવા છે. કહ્યું છે કે - જ્યાં સુધી ધીર પુરુષો દીક્ષા લેતા નથી, ત્યાં સુધી મેરુપર્વત ઉચો છે, સમુદ્ર દુસ્તર છે અને કામની ગતિ વિષમ છે. એમ છતાં પાળી ન શકાય એવા નિયમ લેવાની શક્તિ ન હોય, તો પણ સુખે પળાય એવા નિયમ તો શ્રાવકે જરૂર લેવા જ. જેમ વર્ષાકાળમાં કૃષ્ણની માફક તથા કુમારપાળ વગેરેની માફક સર્વ દિશાએ જવાનો ત્યાગ કરવો ઉચિત છે. તેમ કરવાની શક્તિ ન હોય તો જે વખતે જે દિશાઓને વિષે ગયા વિના પણ નિર્વાહ થઈ શકે એમ હોય તે વખતે તે તરફ જવું નહીં. એમ જ સર્વ સચિત્ત વસ્તુનો ત્યાગ ન કરી શકે તો, જે વખતે જે વસ્તુ વિના નિર્વાહ થઈ શકે એમ હોય, તે વખતે તે વસ્તુનો નિયમ લેવો. જે માણસને જે ઠેકાણે જે વખતે જે વસ્તુ મળવાનો સંભવ ન હોય, જેમકે, દરિદ્રી પુરુષને હાથી વગેરે, મરુદેશમાં નાગરવેલનાં પાન વગેરે તથા આંબા વગેરે ફળની ઋતુ ન હોય તો, તે તે ફળ જે દુર્લભ છે, માટે તે પુરુષે તે ઠેકાણે તે વખતે તે વસ્તુનો તો નિયમ ગ્રહણ કરવો. આ રીતે અછતી વસ્તુનો નિયમ કરવાથી પણ વિરતિ વગેરે મોટું ફળ થાય છે.