________________
૨૬૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
છતાં કોપ કરે. નિર્ધન છતાં ધનને વાંછે, અને પોતે નિર્ગુણી છતાં ગુણીનો દ્વેષ કરે એ ત્રણે પુરુષ જગતમાં લાકડી સમાન સમજવા.
માતાપિતાનું પોષણ ન કરનારો, ક્રિયાને ઉદ્દેશીને યાચના કરનારો અને મૃત પુરુષનું શય્યાદાન લેનારો એ ત્રણે જણાને ફરીથી મનુષ્યનો અવતાર દુર્લભ છે. કોઈ કાળે પાછી ન જાય એવી લક્ષ્મીની ઈચ્છા કરનાર પુરુષે પોતે બલિષ્ઠ પુરુષના સપાટામાં આવતાં નેતરની જેમ નમ્ર થવું, પણ સર્ષની જેમ કદાપિ ધસી ન જવું. નેતર માફક નમ્ર રહેનારો પુરુષ અવસર આવે અનુક્રમે ફરીથી મોટી લક્ષ્મી પેદા કરે છે, પણ સર્પની જેમ ધસી જનાર માણસ કેવળ વધ માત્ર પામવા યોગ્ય થાય છે.
બુદ્ધિશાળી પુરુષે અવસર આવે કાચબાની જેમ અંગોપાંગનો સંકોચ કરી તાડનાઓ સહન કરવી, અને તેવો અવસર આવે કાળા સાપની માફક ધસી જવું. એક સંપમાં રહેલા ગમે તેવા તુચ્છ લોકો હોય તો પણ તેમને બલિષ્ઠ લોકો ઉપદ્રવ કરી શકતા નથી. જુઓ, સામો પવન હોય તો પણ એક જથ્થામાં રહેલી વેલડીઓને તે કાંઈ પણ બાધા ઉત્પન્ન કરી શકતો નથી. વિદ્વાન પુરુષો શત્રુને એકવાર વધારીને તેનો તદન નાશ કરે છે, કારણ કે, પ્રથમ ગોળ ખાઈને સારી પેઠે વધારેલો કફ, સુખે બહાર કાઢી શકાય છે. જેમ સમુદ્ર વડવાનળને દરરોજ નિયમિત જળ આપે છે તેમ બુદ્ધિશાળી પુરુષો સર્વસ્વ હરણ કરવા સમર્થ એવા શત્રુને અલ્પ-અલ્પ દાન કરીને પ્રસન્ન કરે છે.
લોકો પગમાં ભાંગેલા કાંટાને જેમ હાથમાંના કાંટાથી કાઢી નાખે છે, તેમ ડાહ્યા પુરુષ એક તીક્ષ્ણ શત્રુથી બીજા તીક્ષ્ણ શત્રુને જીતી શકે છે. જેમ અષ્ટાપદ પ્રાણી મેઘનો શબ્દ સાંભળી તેની તરફ કૂદકા મારી પોતાનું અંગ ભાંગી નાંખે છે, તેમ પોતાની તથા શત્રુની શક્તિનો વિચાર ન કરતાં જે મનુષ્ય શત્રુ ઉપર દોડે છે તે નાશ પામે છે. જેમ કાગડીએ સુવર્ણસૂત્રથી કૃષ્ણ સર્પને નીચે પાડર્યો, તેમ ડાહ્યા પુરુષે બળથી નહીં થઈ શકે એવું કાર્ય યુક્તિથી કરવું. નખવાળા અને શીંગડાવાળા જાનવરો, નદીઓ, શસ્ત્રધારી પુરુષો, સ્ત્રીઓ અને રાજાઓ-એમનો વિશ્વાસ કોઈ કાળે કરવો નહીં.
પશુ અને પંખીથી લેવાના ગુણો સિંહથી એક, બગલાથી એક, કૂકડાથી ચાર, કાગડાથી પાંચ, કૂતરાથી છ અને ગધેડાથી ત્રણ શિખામણો લેવી, સિંહ જેમ સર્વ શક્તિ વડે એક ફાળ મારી પોતાનું કામ સાધે છે તેમ ડાહ્યા પુરુષે થોડું અથવા ઘણું જે કામ કરવું હોય તે સર્વ શક્તિથી કરવું. બગલાની જેમ અર્થનો વિચાર કરવો. સિંહની જેમ પરાક્રમ કરવું, વરુની માફક લૂંટવું અને સસલાની જેમ નાસી જવું. ૧. સૌના પહેલાં ઉઠવું, ૨. લઢવું, ૩. બંધુવર્ગમાં ખાવાની વસ્તુ વહેંચવી અને ૪. સ્ત્રીને પ્રથમ તાબામાં લઈ પછી ભોગવવી, એ ચાર શિખામણો કૂકડા પાસેથી લેવી.
૧. એકાંતમાં સ્ત્રીસંભોગ કરવો, ૨. ધિઠાઈ રાખવી, ૩. અવસર આવે ઘર બાંધવું, ૪. પ્રમાદન કરવો અને ૫. કોઈ ઉપર વિશ્વાસ ન રાખવો, એ પાંચ શિખામણો કાગડા પાસેથી લેવી. ૧. મરજી માફક ભોજન, ૨. અવસરે અલ્પ માત્રમાં સંતોષ રાખવો, ૩. સુખે નિદ્રા લેવી, ૪. સહજમાં જાગૃત થવું, ૫. સ્વામી ઉપર ભક્તિ રાખવી અને ૬. શૂરવીર રહેવું. એ છ શીખામણો કૂતરા પાસેથી લેવી.