________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૨૭૫
નાળિયેરનું તથા સ્વચ્છ સરોવરનું જળ, શાકને ઠેકાણે કાચાં આમ્બવેતસ, આમલી, નિંબૂવિગેરે; સ્વાદિમને ઠેકાણે કાંઈક લીલી તથા કાંઈક સૂકી હારબંધ સોપારીઓ, પહોળા અને નિર્મળ પાન, એલચી, લવિંગ, લવલીફળ, જાયફળ વગેરે, તથા ભોગ સુખને અર્થે શતપત્ર બકુલ, ચંપક, કેતકી, માલતી, મોગરા, કુંદ, મચકુંદ, ઘણા જ સુગંધી જાત જાતનાં કમળો, હર્ષ ઉત્પન્ન કરનારા ડમરો આદિ પુષ્પો તથા પત્રો; તેમજ કપૂરવૃક્ષથી ઉત્પન્ન થયેલાં કૂરનાં રજકણ અને જેટલી મળી તેટલી કસ્તુરી, વગેરે તાપસકુમારે ઉપર કહેલી સર્વ ઉત્તમ વસ્તુઓ બરોબર ગોઠવીને રત્નસાર કુમારની આગળ મૂકી. એટલી બધી વસ્તુઓ મૂકવાનું કારણ એ છે કે, તે અટવીમાં સર્વ ઋતુનાં ફળ-ફૂલ હંમેશાં સુખે મળતાં હતાં. તથા પ્રત્યેક માણસના મનની રૂચિ ભિન્ન ભિન્ન હોય છે, માટે વિસ્તારથી સર્વે વસ્તુ તાપસકુમારે મૂકી.
પછી મોટા મનને ધારણ કરનારા રત્નકુમાર તાપસ કુમારે કરેલી ભક્તિની રચના અંગીકાર કરવાને માટે તે સર્વે વસ્તુઓ ઉપર ઘણા આદરથી એકવાર નજર ફેરવી, અને જાણે પૂર્વે કોઈ વખતે ભક્ષણ કરી જ ન હોય! એવી તે સર્વ વસ્તુઓ ઉપયોગમાં આવી તે રીતે થોડી થોડી ભક્ષણ કરી. દાતાર પુરુષની એવી જ મહેરબાની હોય છે ! પછી તાપસકુમારે, રાજા ભોજન કરી રહ્યા પછી જેમ તેના સેવકને જમાડે તેમ તે પોપટને તેની જાતિને ઉચિત એવાં ફળોથી તૃપ્ત કર્યો. ઘોડાને પણ તેની જાતિને લાયક આસના-વાસના કરી, તથા યોગ્ય વસ્તુ ખવરાવી તાપસકુમારે થાક વિનાનો તથા તૃપ્ત કર્યો. ઠીક જ છે. મોટા મનવાળો પોપટ રત્નસારકુમારનો અભિપ્રાય સમ્યફ પ્રકારે જાણી પ્રીતિથી તાપસકુમારને પૂછવા લાગ્યો કે –
હે તાપસકુમાર ! જેને જોતાં જ રોમરોજી વિકસ્વર થાય એવા આ નવયૌવનમાં કલ્પના પણ ન કરી શકાય એવું આ વ્રત તે કેમ આદર્યું! સર્વે સંપદાઓનો જાણે એક સુરક્ષિત કોટ જ ન હોય ! એવું આ તારું સ્વરૂપ કયાં? અને સંસાર ઉપર તિરસ્કાર ઉત્પન્ન કરનારું એવું આ તાપસ વ્રત તે કયાં? જેમ અરણ્યમાં માલતીનું પુષ્પ કોઈના ભોગમાં ન આવતાં વ્યર્થ સૂકાઈ જાય છે, તેમ તે તારું આ ચાતુર્ય અને સૌંદર્ય પ્રથમથી જ તાપસ વ્રત લઈ નિષ્ફળ કેમ કરી નાંખ્યું? દિવ્ય અલંકાર અને દિવ્ય વેશ પહેરવા લાયક એવું આ કમળ કરતાં પણ કોમળ શરીર અતિશય કઠોર એવા વલ્કલોને શી રીતે સહન કરી શકે? જોનારની નજરે મૃગજળની જેમ બંધનમાં નાંખનાર એવો આ તારો કેશપાશ કૂર એવા જટાબંધનો સંબંધ સહેવા લાયક નથી. આ તારું સુંદર તારૂણ્ય અને પવિત્ર લાવણ્ય તેને યોગ્ય એવા નવનવા ભોગોપભોગે શૂન્ય હોવાથી હાલમાં અમને ઘણી દયા ઉત્પન્ન કરે છે, માટે હે તાપસકુમાર ! વૈરાગ્યથી, કપટ કરવામાં ડહાપણ હોવાથી, ભાગ્યયોગથી, માઠા કર્મથી, કોઈના બલાત્કારથી, કોઈ મહાતપસ્વીનો શાપ હોવાથી અથવા બીજા કયા કારણથી આ કઠણ તપસ્યાનો સ્વીકાર કર્યો ? તે કહે."
પોપટ આ રીતે પ્રશ્ન કરી રહ્યા પછી તાપસકુમારે એક સરખી નેત્રમાંથી ઝરતી આંસુધારાના બહાનાથી અંદર રહેલા દુઃખને વમતો ન હોય ! તેવી ગદ્ગદ્ સ્વરથી કહેવા લાગ્યો - "હે ભલા પોપટ ! હે ઉત્તમકુમાર ! તમારી બરાબરી કરી શકે એવો જગતમાં કોણ છે? કારણ કે અનુકંપાપાત્ર એવા મારે વિષે તમારી દયા સાક્ષાત્ દેખાય છે. પોતાને અથવા પોતાના કુટુંબીઓને દુઃખી જોઈ દુઃખી