________________
૨૬૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
તે તેને આપે. અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ઔષધ (એક વસ્તુથી બનેલું) અને ભૈષજ્ય (ઘણા દ્રવ્યના મિશ્રણથી બનેલું) એ સર્વે વસ્તુ પ્રાસુક અને એષણીય હોય તો મુનિરાજને આપે. મુનિરાજને શી રીતે નિમંત્રણા કરવી? તથા ગોચરી શી રીતે આપવી? ઈત્યાદિ વિધિ મેં બનાવેલ શ્રાદ્ધપ્રતિક્રમણ વૃત્તિથી જાણી લેવો. એ સુપાત્રદાન જ અતિથિસંવિભાગ દ્રત કહેવાય છે.
કહ્યું છે કે ન્યાયથી ઉપાર્જન કરેલા તથા કલ્પનીય એવા અન્ન-પાન આદિ વસ્તુનુ દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર અને ક્રમ સાચવીને પરમ ભક્તિએ પોતાના આત્મા ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિએ સાધુ મુનિરાજને દાન આપવું, તે જ અતિથિસંવિભાગ કહેવાય છે. સુપાત્રદાનથી દિવ્ય તથા ઔદારિક વગેરે વાંછિત ભોગની પ્રાપ્તિ થાય છે. સર્વ સુખની સૃદ્ધિ થાય છે, તથા ચક્રવર્તી વગેરેની પદવી પણ મળે છે, અને અંતે થોડા સમયમાં જ નિર્વાણ સુખનો લાભ થાય છે. કહ્યું છે કે – ૧. અભયદાન, ૨. સુપાત્રદાન, ૩. અનુકંપાદાન, ૪. ઉચિતદાન અને ૫. કીર્તિદાન એવા દાનના પાંચ પ્રકાર છે. તેમાં પહેલા બે પ્રકારના દાનથી ભોગ અને સુખપૂર્વક મોક્ષની પ્રાપ્તિ થાય છે અને છેલ્લા ત્રણ પ્રકારના દાનથી માત્ર ભોગ-સુખાદિક મળે છે.
સુપાત્રનું લક્ષણ આ રીતે કહ્યું છે. ઉત્તમ પાત્ર સાધુ, મધ્યમ પાત્ર શ્રાવકો અને જઘન્ય પાત્ર અવિરતિ સમ્યગુદષ્ટિ જાણવા. તેમજ કહ્યું છે કે-હજારો મિથ્યાદષ્ટિ કરતાં એક બાર વ્રતધારી શ્રાવક ઉત્તમ છે, અને હજારો બાર વ્રતધારી શ્રાવકો કરતાં એક પંચ મહાવ્રતધારી મુનિરાજ ઉત્તમ છે. હજારો મુનિરાજ કરતાં એક તત્ત્વજ્ઞાની ઉત્તમ છે. તત્ત્વજ્ઞાની જેવું પાત્ર થયું નથી અને થશે પણ નહીં. સત્પાત્ર, મોટી શ્રદ્ધા, યોગ્ય કાળ, ઉચિત એવી આપવાની વસ્તુ, એવી ધર્મસાધનની સામગ્રી ઘણા પુણ્યથી મેળવાય છે. - ૧. અનાદર, ૨. વિલંબ, ૩. પરામુખપણું, ૪. કડવું વચન અને ૫. પશ્ચાત્તાપ એ પાંચ વાનાં શુદ્ધ દાનને પણ દૂષિત કરે છે. ૧. ભ્રમર ઊંચી ચઢાવવી, ૨. દષ્ટિ ઊંચી કરવી, ૩. અંતવૃત્તિ રાખવી, ૪. પરાગમુખ થવું, ૫. મૌન કરવું અને ૬. કાળવિલંબ કરવો, એ છ પ્રકારનો નકારો કહેવાય છે. ૧. આંખમાં આનંદનાં આંસુ, ૨. શરીરના રૂવાટાં ઊંચા થવાં, ૩. બહુમાન, ૪. પ્રિય વચન અને પ. અનુમોદના એ પાંચ પાત્રદાનનાં ભૂષણ કહેવાય છે. સુપાત્રદાન ઉપર અને પરિગ્રહ પરિમાણવ્રત પાળવા ઉપર નીચે પ્રમાણે રત્નસારકુમારની કથા છે.
સુપાત્ર દાન અને પરિગ્રહ પરિમાણ ઉપર રત્નસારની કથા સંપત્તિના મોટા નિવાસસ્થાનરૂપ રત્નવિશાળા નામની નગરી હતી, તેમાં સમરસિંહ એવું યથાર્થ નામ ધારણ કરનારો રાજા રાજ્ય કરતો હતો. માઠી અવસ્થામાં આવી પડેલા લોકોનાં દુઃખોને હરણ કરનારો વસુસાર નામનો એક મોટો ધનાઢય વ્યાપારી તે રવિશાળામાં રહેતો હતો. તેની વસુંધરા નામે સ્ત્રી હતી. તેમને રત્ન સરખા ઉત્કૃષ્ટ ગુણોને ધારણ કરનાર રત્નસાર નામે એક પુત્ર હતો. તે એક વખતે પોતાના દોસ્તો સાથે વનમાં ગયો. વિચક્ષણ રત્નસારે ત્યાં વિનયંધર આચાર્યને જોઈ વંદન કરી તેમને પૂછયું કે, "હે મહારાજ ! આ લોકમાં પણ સુખ શી રીતે મળે છે?”