________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૬૮
અનેક પ્રકારની થાય છે. ઉપર લખેલી ગાથામાં "અપિ" ગ્રહણ કરેલ છે તેથી શ્રાવક પણ ગ્રહણ કરવા. એટલે શ્રાવક કે સાધુ જો દેવદ્રવ્યનો વિનાશ થતો ઉપેક્ષે તો અનંતસંસારી થાય છે.
પ્રશ્ન :- મન, વચન, કાયાથી સાવધ કરવા, કરાવવા અનુમોદવાનો પણ જેને ત્યાગ છે એવા સાધુઓએ દેવદ્રવ્યની રક્ષા શા માટે કરવી જોઈએ ?
ઉત્તર ઃ- સાધુ જો કોઈક રાજા, દીવાન, શેઠ વગેરેની પાસેથી યાચના કરી ઘર, હાટ, ગામ ગરાસ લઈ તેના દ્રવ્યથી જો નવું દેરાસર બંધાવે, તો તમે કહો છો તેમ દોષ લાગે, પણ કોઈક ભદ્રિક જીવોએ ધર્મના માટે પહેલાં આપેલું જિનદ્રવ્યનું અથવા બીજા કોઈ ચૈત્યદ્રવ્યનું સાધુ રક્ષણ કરે તો તેમાં કાંઈ દોષ નથી. પરંતુ ચારિત્રની પુષ્ટિ છે, કારણ કે જિનેશ્વરોની આજ્ઞાનું આરાધન થાય છે. જો દેરાસર નવીન બંધાવતા ન હોય પણ પૂર્વે કરાવેલાનો કે દેરાસર દ્વેષીનો તેને કષ્ટ આપીને પણ બચાવ કરવો તેમાં કાંઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. તેમ કાંઈ પ્રતિજ્ઞા ભંગ પણ થતો નથી. આગમમાં પણ એમ જ કહેલું છે કે –
દેરાસરના કામને માટે દેવદ્રવ્યની વૃદ્ધિ કરતાં ખેતર, સુવર્ણ, ચાંદી, ગામ, ગરાસ, ગાય, બળદ વિગેરે દેરાસરના નિમિત્તે ઉપજાવનાર સાધુને ત્રિકરણ યોગ (મન, વચન, કાયા)ની શુદ્ધિ કયાંથી હોય ? એમ પ્રશ્ન કરવાથી આચાર્ય ઉત્તર આપે છે કે, ઉપર લખેલાં કારણ જો પોતે કરે એટલે દેવદ્રવ્યની વૃદ્ધિ માટે પોતે યાચના કરે તો તેને ચારિત્રની શુદ્ધિ ન કહેવાય; પણ તે દેવદ્રવ્યની (ક્ષેત્ર, ગામ, ગરાસ વિગેરેની) કોઈ ચોરી કરે, તે ખાઈ જાય, કે લઈ લેતો હોય તો તેને ઉવેખે (અવગણના કરે) તો ત્રિકરણ વિશુદ્ધિ ન કહેવાય; છતી શક્તિયે જો ન નિવારે તો અભક્તિ ગણાય છે, માટે જો દેવદ્રવ્યનો કોઈ વિનાશ કરતો હોય તો તેને સાધુ અવશ્ય નિવારે-અટકાવે; ન નિવારે તો દોષ લાગે છે. દેવદ્રવ્યના ભક્ષણ કરનાર પાસેથી દ્રવ્ય પાછું લેવાના કાર્યમાં કદાપિ સર્વ સંઘનું કામ પડે તો સાધુ, શ્રાવકે પણ તે કાર્યમાં લાગીને (તે કાર્ય) પાર પાડવું, પણ ઉવેખવું નહીં. વળી બીજા ગ્રંથોમાં પણ કહેલું છે કે :
દેવદ્રવ્યનું ભક્ષણ કરે કે ભક્ષણ કરનારને ઉવેખે તથા પ્રજ્ઞા-હીનપણાથી દેવદ્રવ્યનો ઉપયોગ કરે તો પણ પાપકર્મથી લેપાય છે. પ્રજ્ઞાહીનપણું એટલે દેવદ્રવ્ય કોઈક અંગઉધાર આપે, થોડા મૂલ્યવાળા દાગીના રાખી વધારે દેવદ્રવ્ય આપે, આ પુરુષ પાસેથી આ કારણથી દેવદ્રવ્યનો છેવટ વિનાશ થાય, તે પ્રજ્ઞાહીનપણું ગણાય છે. પ્રજ્ઞાહીનપણું તે ખરેખરો વિચાર કીધા વિના આપે તે. જેથી છેવટે દેવદ્રવ્યનો વિનાશ કરે તે પ્રજ્ઞાહીન કહેવાય છે.
જે શ્રાવક દેરાસરની આવકને ભાંગે, દેવદ્રવ્યમાં આપવું કબૂલ કરીને પછી આપે જ નહીં, દેવદ્રવ્યનો નાશ થતો દેખી ઉવેખી નાખે તો તે પણ સંસારમાં પરિભ્રમણ કરે છે.
જિન-પ્રવચનની વૃદ્ધિ કરાવનારૂં, જ્ઞાન-દર્શન-ચારિત્ર વિગેરે ગુણોની વૃદ્ધિ કરાવનારૂં એવું જે દેવદ્રવ્ય છે તેનું જે પ્રાણી ભક્ષણ કરે તે અનંત સંસારી થાય છે. દેવદ્રવ્ય હોય તો મંદિરનું સમારકામ તથા મહાપૂજા, સત્કાર આદિ થવાનો સંભવ છે. ત્યાં મુનિરાજનો પણ યોગ મળી આવે છે. વ્યાખ્યાન સાંભળવા આદિ જિનપ્રવચનની વૃદ્ધિ થાય છે. એવી રીતે જ્ઞાન-દર્શન ગુણની પ્રભાવના થાય છે.