________________
૧૭ર
શ્રાદ્ધવિધિ પ્રકરણ
થયો. પછી તે પોતે કરાવેલા તથા બીજા પણ સર્વ જિનમંદિરોની સારસંભાળ દરરોજ પોતાની સર્વ શક્તિથી કરે, દરરોજ મોટી પૂજા તથા પ્રભાવના કરાવે, અને દેવદ્રવ્યનું ઉત્તમ પ્રકારે રક્ષણ કરી તેની યુક્તિથી વૃદ્ધિ કરે. એવા સત્કૃત્યથી ચિરકાલ પુણ્ય ઉપાર્જીને છેવટે તેણે જિનનામકર્મ બાંધ્યું. પછી તે નિપુણ્યકે અવસરે દીક્ષા લઈ ગીતાર્થ થઈ, યથાયોગ્ય ઘણી ધર્મદેશના આદિથી જિનભક્તિરૂપ પ્રથમ
સ્થાનકની આરાધના કરી અને તેથી જિનનામકર્મ નિકાચિત કર્યું. ત્યાંથી મરણ પામીને, ચ્યવી સર્વાર્થસિદ્ધ મહાવિમાને દેવતાપણું પામી, અવીને અનુક્રમે મહાવિદેહ ક્ષેત્રમાં અરિહંતની ઋદ્ધિ ભોગવી મોક્ષે જશે.
જ્ઞાન અને સાધારણ દ્રવ્ય ઉપર કર્મસાર અને પુણ્યસારનું દષ્ટાંત ભોગપુર નગરમાં ચોવીસ ક્રોડ સોનૈયાનો ધણી ધનાવહ નામે શેઠ હતો, તથા ધનવતી નામે તેની સ્ત્રી હતી. તે દંપતિને પુણ્યસાર અને કર્મસાર નામે બે સુંદર પુત્ર એક સાથે જન્મ્યા હતા, એક દિવસે ધનાવહ શ્રેષ્ઠીએ કોઈ નિમિત્તિયાને પૂછયું કે, "હારા બન્ને પુત્રો આગળ જતાં કેવા નીડવશે ?” નિમિત્તિયાએ કહ્યું કર્મસાર જડ સ્વભાવનો અને ઘણો જ મંદમતિ હોવાથી આડું અવળું ડહાપણ વાપરીને ઘણા ઉદ્યમ કરશે, પણ પિતાનું સર્વ દ્રવ્ય ખોઈ દેવાથી અને નવું ન મેળવવાથી તે ઘણા કાળ સુધી દુઃખી અને દરિદ્રી રહેશે. પુણ્યસાર પણ પિતાનું તથા પોતે નવું કમાએલું સર્વ દ્રવ્ય વારંવાર જતું રહેવાથી કર્મસાર જેવો જ દુઃખી થશે, તથાપિ પુણ્યસાર વેપાર વગેરે કળામાં બહુ નિપુણ થશે. બન્ને પુત્રોને પાછલી અવસ્થામાં ધન, સુખ, સંતતિ વગેરેની ઘણી સમૃદ્ધિ થશે.”
શેઠે બને પુત્રોને એક પછી એક સર્વ વિદ્યા તથા કળામાં નિપુણ એવા ઉપાધ્યાય પાસે ભણવાને મૂકયા. પુણ્યસાર સર્વ વિદ્યાઓ ભણ્યો. કર્મસાર તો ઘણો પરિશ્રમ કરે, પણ વાંચતાં એક અક્ષર આવડે નહીં. ઘણું શું કહીએ? લખતાં વાંચતાં વગેરે પણ ન આવડે. ત્યારે વિદ્યાગુરુએ પણ "એ સર્વથા પશુ છે." એવો નિશ્ચય કરી તેને ભણાવવાનું મૂકી દીધું, પછી બન્ને પુત્ર યુવાવસ્થામાં આવ્યા ત્યારે મા-બાપે ધન ઘણું હોવાથી સુખે મળેલી બે શેઠની પુત્રીઓની સાથે બંને જણને વાજતે ગાજતે પરણાવ્યા. માંહોમાંહે કલહન થવો જોઈએ એમ વિચારી ધનાવહ શેઠે એકેક પુત્રને બાર બાર ક્રોડ સોનૈયા જેટલો ભાગ વહેંચી આપી બન્ને પુત્રોને જુદા રાખ્યા અને ધનાવહ શેઠ પોતાની પત્ની સાથે સ્વર્ગે ગયો.
હવે કર્મસાર પોતાના સ્વજન-સંબંધીનું વચન ન માનતાં પોતાની કુબુદ્ધિથી એવા એવા વ્યાપાર કરવા લાગ્યો છે, જેમાં તેને પૈસે ટકે નુકશાન ન થયું. થોડા દિવસમાં પિતાએ આપેલા બાર ક્રોડ સોનૈયા તે ખોઈ બેઠો, પુણ્યસારના બાર ક્રોડ સોનૈયા તો ચોરોએ ખાતર પાડીને લૂંટી લીધા. બન્ને ભાઈ દરિદ્રી થયા. સ્વજન સંબંધી આદિ લોકોએ તેમનું નામ પણ મૂકી દીધું, બન્ને જણાની સ્ત્રીઓ અન્ન-વસ્ત્ર પણ ન મળવાથી પોતાના પિયર ગઈ. કહ્યું છે કે-લોકો ધનવંતની સાથે પોતાનું ખોટું પણ સગપણ જગતમાં દેખાડે છે અને કોઈ નિર્ધન સાથે ખરેખર નજીકનું સગપણ હોય તે કહેતાં પણ શરમાય છે. ધન જતું રહે છે, ત્યારે ગુણવાન પુરુષને પણ તેના પરિવારના લોકો તજી દે છે અને ધનવાન પુરુષોનાં ગીત ગાય છે. "તમે બુદ્ધિહીન તથા ભાગ્યહીન છો.” એમ લોકો ઘણી નિંદા કરવા લાગ્યા. ત્યારે લજ્જા પામીને તે બન્ને ભાઈ દેશાંતર ગયા.