________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૨૨૭
ધનેશ્વર શ્રેષ્ઠીનો અંતસમય સમીપ આવ્યો ત્યારે પાસે સ્વજન સંબંધી હતા. તેમણે શ્રેષ્ઠીને દ્રવ્ય આદિનું સ્વરૂપ પૂછયું. શ્રેષ્ઠીએ કહ્યું કે-"પરદેશ ઉપાર્જન કરેલું બહુ દ્રવ્ય છે, તો પણ તે જ્યાં ત્યાં વિખરાયેલું હોવાથી મારા પુત્રોથી તે લેવાય તેમ નથી; પણ મારા એક મિત્રની પાસે મેં આઠ રત્ન અમાનત મૂકયાં છે, તે મારા સ્ત્રી-પુત્રાદિકને અપાવજો." એમ કહી ધનેશ્વર શેઠ મરણ પામ્યો.
સ્વજનોએ આવી ધનેશ્વર શેઠના પુત્રાદિકને એ વાત કહી. ત્યારે તેમણે પોતાના પિતાના મિત્રને વિનયથી, પ્રેમથી અને બહુમાનથી ઘેર બોલાવ્યો અને અભયદાનાદિ અનેક પ્રકારની યુક્તિથી રત્નોની માગણી કરી; તો પણ લોભી મિત્રે તે વાત માની નહીં અને રત્ન પણ આપ્યાં નહીં. પછી તે વિવાદ ન્યાયસભામાં ગયો. સાક્ષી, લેખ વગેરે પુરાવો નહીં હોવાથી રાજા, મંત્રી વગેરે ન્યાયાધીશો રત્નો અપાવી શકયા નહીં. આ રીતે સાક્ષી રાખીને દ્રવ્ય આપવા ઉપર ધનેશ્વર શેઠનું દષ્ટાંત કહ્યું છે.
કોઈને પણ સાક્ષી રાખીને દ્રવ્ય આપવું. સાક્ષી રાખ્યો હોય તો ચોરને આપેલું દ્રવ્ય પણ પાછું મળે છે. એ ઉપર એક દષ્ટાંત કહે છે :
ધન આપતાં સાક્ષી રાખવાથી થતો લાભ એક વણિક ધનવાન હતો પરંતુ સાથે સાથે તેટલો જ ઠગ પણ હતો. પરદેશ જતાં માર્ગમાં તેને ચોરોની ઘાડ નડી. ચોરોએ જાહાર કરીને તેની પાસે દ્રવ્ય માગ્યું. વણિકે કહ્યું "સાક્ષી રાખીને આ સર્વ દ્રવ્ય તમે ગ્રહણ કરો અને અવસર આવે પાછું આપજો, પણ મને મારશો નહીં." પછી ચોરોએ "આ કોઈ પરદેશી મૂર્ખ માણસ છે." એમ ધારી એક જંગલી કાબરચિત્ર વર્ણના બિલાડાને સાક્ષી રાખી સર્વ દ્રવ્ય લઈ વણિકને છોડી દીધો, તે વણિક અનુક્રમે તે સ્થાન બરાબર ધ્યાનમાં રાખીને પાછો પોતાને ગામ ગયો.
કેટલોક વખત જતાં એક દિવસે ચોરો વણિકના ગામના કેટલાક ચોરોની સાથે ઘણી વસ્તુ લઈને (વણિકના ગામમાં) આવ્યા. તે વણિકે ચોરોને ઓળખી પોતાના દ્રવ્યની માગણી કરી તેથી કલહ થયો, અને છેવટે તે વાત રાજકારે ચઢી. ન્યાયાધીશોએ વણિકને પૂછયું, "દ્રવ્ય આપ્યું તે વખતે કોઈ સાક્ષી હતું?” વણિકે પાંજરામાં રાખેલા એક કાળા બિલાડાને આગળ મૂકીને કહ્યું, "આ મારો સાક્ષી છે." ચોરોએ કહ્યું, "તારો કેવો સાક્ષી છે તે દેખાડ” વણિકે દેખાડયો. ત્યારે ચોરોએ કહ્યું, "તે આ નથી. તે કાબરચિત્ર વર્ણનો હતો અને આ તો કાળો છે.” આ રીતે પોતાના મુખે જ ચોરોએ કબૂલ કર્યું, ત્યારે ન્યાયાધીશોએ તેમની પાસેથી વણિકને તેનું સર્વ ધન પાછું અપાવ્યું. એ પ્રકારે સાક્ષી રાખવા ઉપર દષ્ટાંત છે.
થાપણ કેમ રાખવી અને કેમ વાપરવી? થાપણ મૂકવી કે લેવી હોય તો છાની મૂકવી નહીં, કે લેવી નહીં. પણ સ્વજનોને સાક્ષી રાખીને જ મૂકવી તથા લેવી. ધણીની સંમતિ વિના થાપણ હલાવાય પણ નહીં. તો પછી વાપરવાની તો વાત જ શી? કદાચિત થાપણ મૂકનાર માણસ પરદેશે મરણ પામે તો તે થાપણ તેના પુત્રોને આપવી. તેને પુત્ર