Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
સજ્જનને વિષે ઉપકારની જેમ, મુદ્રિકા ગોમયને વિષે ચોંટી ગઈ. પછી એ ગોમયને સૂકવી નાંખવાને માટે એક ઘાસનો પૂળો મંગાવી સળગાવીને માંહે નાંખ્યો; ખરું છે કે સમયે ઉષ્ણનો પણ ખપ પડે છે. પછી એણે પાસે રહેલા એક જળ ભરેલા કૂવામાંથી નીકવાટે જળ અણાવી આ ખાલી કૂવાને ભરાવી નખાવ્યો. એટલે, જેમાં સ્ત્રીના ચિત્તને રાજી કર્યાથી ગુહ્મવાત પણ તેના હૃદયમાંથી મુખ પાસે આવે છે તેમ પેલું સુકાઈ ગયેલું ગોમય કૂવામાં ઉપર તરી આવ્યું. તે અભયે લઈ તેમાંથી અંગુઠી કાઢી લીધી; તે જાણે અસાર થકી પણ સાર વસ્તુને ગ્રહણ કરી લેવી એ નીતિના સ્મરણ થકી જ હોય નહીં !
લોકો તો નેત્ર વિકાસી રહ્યા અને મસ્તક ધુણાવવા લાગ્યા. વળી એમનાં હૃદય પણ આલેખાઈ ગયાં; એઓ વિચારવા લાગ્યા-આપણા જેવા વયોવૃદ્ધથી પણ ન બની શક્યું એવું દુષ્કર કાર્ય, શૈશવાવસ્થાને વિષે ધનુષ્ય ચઢાવનાર રામની પેઠે આ નાના બાળકે કર્યું; અથવા તો લઘુ પણ સગુણી નર સર્વકાર્યને સાધે છે; કારણ કે એક દીપક છે તે પોતાની નાની શી શિખાથી આખા ઘરને શું નથી પ્રકાશિત કરતો ? નાનું સરખું વજ પણ પર્વતોને નથી ભેદી શકતું ? અડદના દાણા જેવડું ચિન્તારન પણ શું મનવાંછિત નથી પૂરતું ? વયે વૃદ્ધ પણ જ્ઞાન વિહીન એવા જનો જ કંઈ પણ પ્રાપ્ત કરી શકતા નથી; કારણ કે મોટા તો ડુંગરાઓ પણ છે.
લોકો આમ વિચારે છે એવામાં રાજસેવકો હર્ષમાં ને હર્ષમાં રાજા પાસે ગયા ને તેને વિજ્ઞાપના કરવા લાગ્યા...હે રાજન ! વનથકી વીર પુરુષની જેમ, કોઈ એક વિદેશી બાળ અહીં આવી ચઢ્યો છે તેણે, સર્પના દરમાંથી મણિ ગ્રહણ કરનાર સાહસિક નરની પેઠે, પોતાની બુદ્ધિના પ્રભાવે, લોકોની સમક્ષ મુદ્રિકાને બહાર કાઢી છે. એ સાંભળીને નરપતિએ એ બાળક (અભય)ને ત્વરાથી બોલાવી મંગાવ્યો; કારણ કે એવા નાના બાળવીરને જોયા વિના એક ક્ષણ જાય છે તે પણ પ્રહર જેવો લાગે છે. અભય પણ આવીને પરમ ભક્તિ સહિત પિતાને ચરણે નમ્યો; કારણ કે અવરજન પ્રતિ પણ વિવેક કરવાનું રાજપુત્રોને શિક્ષણ આપવામાં આવે છે. રાજાએ તેને પોતાના પુત્રની જેમ આલિંગન દીધું; અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
૪૫