Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
!!
પસંદ કરે છે. પછી તૃણ-કાષ્ટ આદિ લાવી એની એક ઝુંપડી બનાવી શેઠ સહકુટુંબ એમાં રહેવા લાગ્યા, કમળ કાદવને વિષે રહે તેમ. શેઠના ચારે પુત્રો લોકોના ક્ષેત્રોને વિષે હળ ફેરવવા રહ્યા; અથવા તો આ સંસારમાં કોનો ઉદયાસ્ત નથી થતો ? શેઠની પુત્રવધુઓ પણ ઘરમાં પાણી ભરી લાવવું વગેરે કાર્યો કરવા લાગી; અથવા તો જેમ વિધિ નચાવે તેમ નાચવું પડે છે. શેઠની સ્ત્રી જિનદાસી ઘરની અંદરનું સર્વ કામકાજ કરવા લાગી; કારણ કે ઘરમાં (બેસીને) કોણે પુણ્ય કર્યું છે ? શેઠ પોતે પોતાના પુત્રોનાં બાળ બચ્ચાંને રમાડવાનું કામ કરવા લાગ્યા. અહો આવા ધર્મિષ્ઠ પ્રાણીઓની પણ દુર્દશા કરનાર વિધિને ધિક્કાર છે. એમાં યે વળી આ પ્રમાણે નિરંતર મહેનત મજુરીનું કામ કરતાં છતાં પણ એમને ખાવાને ઘેંશ અને તેલ જ મળતાં, તથાપિ (આવું આવું દુઃખ છતાં પણ) સત્ત્વનો ભંડાર એવો જિનદત્ત શેઠ કિંચિત્ પણ ખેદ પામ્યો નહીં, તેમ એણે ધર્મકાર્યને વિષે પણ ઉદ્યમ ત્યજ્યો નહીં.
આવી દુઃખી અવસ્થાને વિષે માંડમાંડ કેટલોક સમય વ્યતીત થયો એવામાં એકદા શેઠે ચારે પુત્રોને બોલાવીને કહ્યું- હું જિનેશ્વર ભગવાનના દર્શન કરવા શહેરમાં જાઉં છું. પુત્રોએ એકમુખે કહ્યું-તાત ! ગાંડા થઈ ગયા જણાઓ છે. ધર્મ ધર્મ એમ કરી કરીને તમે તો અમારો જીવ લીધો. દેહથી-વર્ણથી તથા લક્ષ્મીથી ભ્રષ્ટ થયા તોપણ ધર્મ ધર્મ કર્યા કરો છો. હે ધર્મઘેલા તાત ! તમે ધર્માર્થે દ્રવ્ય વાપરી વાપરીને ઘરને ચારે ખુણે ભુખ તો લાવીને મૂકી છે ! માટે હવે મૌન ધારણ કરીને અહીં પડ્યા રહો. તમારે દેવને શું કરવા છે ? એ તો તમારા ચિત્તમાં છે જ. એ સાંભળીને શેઠે કહ્યું, અરે બાળકો તમે કંઈજ સમજતા નથી તેથી જ આવું નાના બાળકો જેવું બોલો છો. યુક્ત દાનભોગથી લક્ષ્મી કવચિત નાશ પામતી નથી. નિરંતર પાણી કાઢીએ તો પણ કુવો કદિ ખાલી થાય ખરો ? પરંતુ લક્ષ્મીનો નાશ તો પાપકર્મના ઉદયથી જ થાય છે, ક્ષયરોગથી ઘેરાયેલા મનુષ્યના શરીરનો નાશ થાય છે તેમ. અથવા તો તમારા જેવા અવિવેકીઓની સાથે શું વાદ કરવો ? હું મારું ધાર્યું કરીશ કારણ કે, વિજ્ઞપુરુષો સ્વાર્થ બગાડતા નથી. એમ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૨૫