________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
વિશ્વસેન સમ્યક્ત્વ પામ્યો. નિરંતર ગુરુના ભાવનાવાહી ઉપદેશથી દૃઢ બની એ સમ્યક્ત્વને મહાચિંતામણિ રત્નની જેમ સાચવવા લાગ્યો અને મિથ્યાત્વી ગુરુ તેમજ મિથ્યાત્વી ધર્મથી દૂર રહી તેમાં દુષણ ન લાગે તે માટે પૂરતી કાળજી રાખવા લાગ્યો. આ વાત વિશ્વભૂતિ ત્રિદંડીએ સાંભળી અને તેથી તે પોતાના ઉપાસકને ફરી પોતાનો કરવા મલયાપુર નગરમાં આવ્યો. ત્યાં આવી તેણે ઘોર તપશ્ચર્યા અને મંત્ર તંત્રથી નગરના લોકોને ખેંચવા માંડયા.
૫
નગરના ઘણા લોકો તેના દર્શને ગયા. સમ્યક્ત્વની મલિનતાના ભયે રાજા ન ગયો. છેવટે થાકી વિશ્વભૂતિએ રાજાને કહેવરાવ્યું કે પૂર્વ પરિચયનો આમ જલદી અંત આવી ગયો ? મળવામાં કે વાતચિતમાં શું નુકશાન થશે ?' રાજા દાક્ષિણ્યતાથી ગયો એટલે ત્રિદંડીએ અનેક ચમત્કાર અને મંત્રો શિખવ્યા, રાજા લોભાયો અને તેને પૂર્વનો કુદૃષ્ટિરોગ સ્ફૂર્યો. સમકિત વમી નાંખ્યું અને પહેલાં કરતાં પણ વધુ વિશ્વભૂતિનો ભક્ત બન્યો એટલું જ નહિ પણ જૈનધર્મ અને ગુરુની નિંદામાં તત્પર થયો અને ધર્મ હારી ગયો આ રીતે દ્રષ્ટિરાગી ધર્મ પાળી શકતો નથી.
વિશ્વસેનના ભવ પછી બીજા ભવે ધન શ્રેષ્ઠિના પુત્ર સુભગ થયો ત્યાં વિષયરાગથી ધર્મને હારી જઈ ત્રીજા ભવે ગૃહપતિનો પુત્ર સિંહ, ચોથા ભવે જિનદત્તસૂતા જિનશ્રી, પાંચમાં ભવે ધનંજય પુત્ર કુબેર, છઠ્ઠા ભવે ધનાઢયનો પુત્ર કુબેર, અને સાતમા ભવે શ્રેષ્ઠિપુત્ર સોમદત્ત થઈ ક્રોધ, માન, માયા, લોભથી સમ્યક્ત્વરત્ન હારી ગયો. ત્યાર પછી ધનશ્રેષ્ઠિના સુત સુંદરના ભવમાં હિંસાથી, મણિભદ્રના ભવમાં મૃષાવાદથી રોહિણી શ્રાવિકાના ભવમાં વિકથાથી હારતાં હારતાં પુંડરિકના ભવમાં સર્વવિરતિધર થઈ ચૌદપૂર્વ ભણ્યો. ત્યારપછી સિંહવિક્રમ, ભાનુકુમા૨, ઈન્દ્રદત્ત થઈ સર્વાર્થસિદ્ધમાં જઈ બલિનરેન્દ્ર થયો. અને બલિનરેન્દ્ર થયા પછી કુવલયચંદ્ર કેવળી પાસેથી પોતાનો વૃતાન્ત સાંભળી ચારિત્ર પાળી કેવળજ્ઞાન પામ્યો અને આજે પણ ગુણ નિષ્પન્ન નામથી મને ભુવન ભાનુકેવળી કહે છે, 'હે રાજા ! જિનશાસન ને હું શરણે થયો તેથી મારો નિસ્તાર થયો તેમ તારો પણ તેથી નિસ્તાર થશે.’ છેવટે ચંદ્રમૌલિ રાજાએ કેવળી ભગવંત પાસે દીક્ષા લીધી અને કેવળજ્ઞાન પામ્યો.
૨. ધર્મદ્વેષી પણ ભદ્રબાહુ સ્વામિના ગુરૂભાઈ વરાહમિહિરની જેમ ધર્મને અયોગ્ય છે. તે પ્રસંગ આ પ્રમાણે છે.
વરાહમિહિરની કથા
ભદ્રબાહુ અને વરાહમિહિર બન્ને જ્ઞાતિએ બ્રાહ્મણ અને સગા ભાઈ હતા. વૈરાગ્ય પામી બન્ને જણાએ શ્રી યશોભદ્રસૂરિ મહારાજ પાસે દીક્ષા લીધી. ગુણી અને યોગ્ય માની યશોભદ્રસૂરિ મહારાજે ભદ્રબાહુ સ્વામીને પોતાના પટ્ટધર સ્થાપ્યા. આ કારણથી અને ચારિત્રના ભગ્ન પરિણામથી વરાહમિહિર ચારિત્રનો ત્યાગ કરી જૈનધર્મનો દ્વેષી થયો. દીક્ષા છોડયા બાદ જ્યોતિષશાસ્ત્રથી પોતાનો નિર્વાહ કરવા લાગ્યો તેમાં તેણે સારી પ્રસિદ્ધિ મેળવી અને વરાહમિહિરસંહિતા જેવા જ્યોતિષ ગ્રંથો પણ રચ્યા.