Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨-૧૦-૩૪
કે શ્રીમંત પાસેથી તેની મરજી નહિ છતાં ફરજ પાડીને દબાવીને કે કોઈપણ જાતનો બળાત્કાર કરીને લેવામાં કે અપાવવામાં આવે તો તેમાં જ લોહીથી ખરડાયેલાપણું છે, પણ જે વસ્તુ પોતાના આત્માના હિતને માટે ધર્મબુદ્ધિથી કે કલ્યાણબુદ્ધિથી કરવામાં આવે તે વસ્તુ વાસ્તવિક રીતે લોહીથી ખરડાયેલી જ નથી પણ જેઓને હિત કે કલ્યાણની રૂચિ છે નહિ, એટલું જ નહિ પણ બીજાઓના હિત અને કલ્યાણને અંગે અરૂચિવાળા હોઈ હિત કે કલ્યાણના અર્થી જીવોની આત્મહત્યાને કરવા તૈયાર થયેલા જીવો જ તેવી હિત અને કલ્યાણને માટે કરાતી વસ્તુને લોહીથી ખરડાયેલી કહેવાને તૈયાર થાય. તત્ત્વથી તો તે હિત અને કલ્યાણને માટે કરાતી વસ્તુ લોહીથી ખરડાયેલી હોતી નથી, પણ તે વસ્તુને દેખનારાઓ લોહીથી ખરડાયેલાં ચશ્માને જ ધારણ કરનારા હોઈ તેઓને હિત અને કલ્યાણની વસ્તુ લોહીથી ખરડાયેલી લાગે છે, પણ આશ્ચર્યની વાત છે કે દુનિયાદારી, કુટુંબ, મિત્ર, સગાંસંબંધી કે પોતાના પેટને માટે કરાતી વસ્તુમાં તે ચશ્માઓ ઉતરી જાય છે અને કોઈ વિચિત્ર ચશ્માથી દેખતા હોઈને તે દુનિયાદારી વિગેરેની વસ્તુઓને લોહીથી ખરડાયેલી માનવી તો દૂર રહી પણ પ્રથમ કર્તવ્ય તરીકે તે વસ્તુ ગણવામાં આવે છે. હવે મૂળ વસ્તુ ઉપર આવતાં કોઈપણ અધિકારી પોતાના અધિકારની બહાર જે પણ પોતાના તાબેદાર માણસ પાસે કાર્ય કરાવે અગર વસ્તુ પડાવે કે તે તાબેદાર માણસની સ્થિતિ દેખ્યા સિવાય તેની ઉપર કાર્યનો બોજો નાખે એ બધું ગરીબના લોહીએ ખરડાયેલું ગણાય અને તેથી જ આ નયસાર કે જે ભગવાન મહાવીર મહારાજાનો જીવ હતો તે તલાટીની સ્થિતિમાં છતાં પણ પોતાને બાળવાનાં લાકડાં જોઈએ તે સરખી ચીજ પણ ગરીબના લોહીથી ખરડાયેલી લેતો ન હતો, અને તેથી જ બાળવાનાં ) લાકડાં માટે પણ તલાટીને જંગલમાં લાકડાં કાપવા જવું પડે તે ન્યાય પુરસ્સર હોઈ તીર્થકરના જીવને માટે લાયક જ હતું. નિઃસ્વાર્થપણાની સીમા. બાહુબળથી ઉપાર્જન. સ્વકષ્ટનું ગૌણપણું.
એક બાળવાના લાકડા જેવી ચીજ તલાટીની સ્થિતિમાં છતાં જે લેવા ન માગે અને તેવી સામાન્ય ચીજને માટે ખરા બપોરે જંગલમાં નિવાસ કરે તે મનુષ્ય તે તલાટીની પદવીને અંગે અધિકાર બહારની ઘરગથ્થુ ચીજ લેવા માટે સ્વપ્ન પણ તૈયાર ન થાય તે હકીકત સુજ્ઞાથી સહેજે સમજી શકાય તેવી છે, અને જે પોતાના સ્વાર્થને માટે અધિકાર બહારની કોઈપણ ચીજ ગરીબના લોહીએ કરી ખરડાયેલી લેવા ન માગે, તે મનુષ્ય રાજાના સ્વાર્થને પુષ્ટ કરવા ખાતર ગરીબોની આંતરડી કકળાવે નહિ તે સ્વાભાવિક જ છે, અર્થાત્ શાસ્ત્રકારો એ નયસારને તલાટીપણામાં છતાં બાળવાના લાકડાં લેવા માટે ખરે બપોરે જંગલમાં જવાનું જણાવીને તે નયસારના આખા ભવનું રહસ્ય સમજાવી દીધેલું છે, એટલે કે નથી તો