Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(ટાઇટલ પાના ૪ અનુસંધાન)
તેને નિષેધનારા હોઈ તેવા મહાપુરુષોને વંદનીય નહિ ગણનારા ચક્રવર્તી રાજા જેવા મહાપુરુષને પણ સમ્યક્ત્વનું હોવું કોઇપણ પ્રકારે સંભવિત નથી. પૂર્વે જણાવેલું સમ્યક્ત્વ જો કે ભક્તિ, માન્યતા અને વંદનીયતાની બુદ્ધિરૂપ હોઈ દર્શનમોહનીયના ક્ષયોપશમાદિવાળા આત્માના પરિણામરૂપ છે અને તેથી પરજીવમાં કે સ્વમાં થયેલું હોય તો પણ તે જાણવું મુશ્કેલ પડે પણ અન્ય ગૃહમાં પણ અપ્રત્યક્ષપણે રહેલો અગ્નિ જેમ ઘૂમાડારૂપી બાહ્ય ચિહ્નથી જણાય છે તેવીજ રીતે આ સમ્યક્ત્વરૂપી ગુણ પણ અનંતાનુબંધીનો તે કષાયનો શમ હોવાથી મોક્ષની અદ્વિતીય અભિલાષાથી દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકરૂપી ચારે ગતિથી સર્વથા ઉદ્વેગ થાય તેનાથી સંસારભરના જીવોની ઉપર દ્રવ્ય ને ભાવથી અનુકંપા હોવાથી અને જીવની અસ્તિતા વિગેરે માનવા આદિ ચિહ્નોથી આ સમ્યક્ત્વ સ્વ કે પરમાં થયેલું જાણી શકાય છે. જે જીવો પોતાના આત્માનો સમ્યગ્દર્શન છે એવું પ્રશમાદિ ચિહ્નોથી સમજતા હોય તેઓએ જીવ માત્રને વિષે હિત બુદ્ધિ, ગુણવાનને દેખી આનંદ અને ખેદાતાઓને દેખી કણ્ણા અને જેઓને સન્માર્ગે ન લાવી શકાય તેવાઓમાં જરૂર માધ્યસ્થ્ય (ઉદાસીનભાવ) કરવો જોઇએ. આવું સમ્યક્ત્વ અંગીકાર કરેલું હોય, પ્રશમાદિ પ્રગટ થયા હોય અને મૈત્રી આદિ આચરાતા હોય, તો પણ માર્ગમાં સ્થિરતા, જીનેશ્વરના મંદિરાદિ પવિત્ર સ્થાનોની સેવા, શાસકથિત પદાર્થોની સમજવાની કુશળતા, સમ્યગ્દર્શનાદિ મોક્ષ માર્ગ ધારણ કરનારાઓની ભક્તિ અને શાસનની ઉન્નતિ એ પાંચ વસ્તુઓ જ્યારે જ્યારે પણ કરવામાં આવે ત્યારે ત્યારે તે કરનારના સમ્યગ્દર્શનને જળહળતું બનાવે છે. આવા આત્મપરિણામવાળા, પ્રશમાદિલિંગવાળા, મૈત્રી આદિના આચરણવાળા તેમજ સ્થિરતાદિક પાંચ ભૂષણવાળાઓએ જીનેશ્વરના વચનોમાં અંશે પણ શંકા કરવી, અન્ય મતોના તત્ત્વો તરફ લેશે પણ ઇચ્છા કરવી, જીનેશ્વર મહારાજાઓએ દર્શાવેલા મોક્ષ માર્ગના અનુષ્ઠાનોમાં સંદિગ્ધ થવું, આરંભપરિગ્રહમાં આસક્ત પાખંડીઓની પ્રશંસા કરવી અને તેવા આરંભીપરિગ્રહીના પરિચયમાં રહેવું એ કોઈપણ પ્રકારે સમ્યક્ત્વવાળાને યોગ્ય નથી, માટે સકલ કલ્યાણને કરનારા દર્શન મોહનીય કર્મના ક્ષયોપશમથી પ્રગટ થયેલા આત્મપરિણામરૂપી વિશુદ્ધ સમ્યગ્દર્શનને ધારણ કરનારાઓએ સતત સાવચેતીથી કલ્યાણમાર્ગમાં પ્રવર્તવાની જરૂર છે.