Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
પવછે.
તા.૨૪-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર તે કરવાં જ જોઈએ એમ ધારણાપૂર્વક હોય તો તે શુદ્ધ પચ્ચકખાણને લાવનારા છે. દ્રવ્યપચ્ચકખાણમાં પચ્ચકખાણનું ઉપાદેયપણું છે, માત્ર તેમાં દ્રવ્યતાના કારણરૂપ અપેક્ષા વગેરે જ નિષેધવા યોગ્ય છે માટે જ ભગવાને મરીચિને દીક્ષા આપી, શા કારણથી આપી? તૂટવાવાળી હોવાથી તેમજ સમવસરણની ઋદ્ધિ દેખીને દીક્ષા લેવાતી હોવાથી આ દ્રવ્યદીક્ષા પણ અંતે આત્માના ઉદ્ધારને કરનારી થશે એમ ધારીને જ, આ સીધી ભરતના ઘરમાં જશે એમજ નહિ, પણ આ તો ત્રીજો રસ્તો કાઢશે, શાસનને નુકશાન કરશે એમ જાણ્યા છતાં પણ આ દીક્ષા ઋષભદેવ ભગવાને આપી ને તેનું પરિણામ સુંદર આવ્યું તે તો સ્પષ્ટ જ છે.
પ્રશ્નકાર-ભગવાન તો કેવળજ્ઞાનવાળા હોવાથી જાણનાર છે માટે ભલે કરે, પણ નહિ જાણનાર કેમ કરે ?
ઉત્તર-ભગવાન ઋષભદેવજીએ આવી રીતની દીક્ષા પણ નિષેધવા લાયક ગણી નહિ ને તેવી દીક્ષાથી કલ્યાણ થવાનું જાણ્યું ને તેથી દીક્ષા આપી તો એવી ભગવાને આપેલી અને નિષેધ નહિ કરેલી દીક્ષાને ભગવાનની આજ્ઞાને અનુસરનારા છદ્મસ્થો આપે તેમાં આશ્ચર્ય શું ? મરીચિ ભરતને ઘેર પણ નહિ જાય, નવું મિથ્યાત્વ પ્રવર્તાવશે, ઉલટું ભાષણ કરવાનો એના માટે વખત આવશે, આ તમામ હકીકત જાણવા છતાં ભગવાને મરીચિને દીક્ષા આપી, કેમકે એમાં શુભ જ દેખ્યું, કેમકે જાણ્યું હતું કે આ તમામ થશે છતાં મોક્ષમાર્ગની બુદ્ધિએ એ ચારિત્ર લે અને કેટલીક મુદત પાળે એ ઉત્તમ જ છે. આ જ કારણથી તો દીક્ષાના અયોગ્યને માટે જે અઢાર દોષો જણાવ્યા છે તેમાં ભવિષ્યમાં પડી જાય તો ન દેવી એમ જણાવ્યું નથી.
પ્રશ્ન-એક માણસ બધાને આડે માર્ગે ઉતારનાર થશે એમ જાણવા છતાં તેવાને દીક્ષા આપવાથી શો ફાયદો?
ઉત્તર-પ્રથમ તો મરીચિને દીક્ષા ભગવાને જ આપી છે તેથી એમાં ફાયદો જ હોય છતાં આપણે કંઈક વિચાર કરીએ. અસંખ્યાત ચોથા ગુણસ્થાનકવાળાની નિર્જરા કરતાં પાંચમા ગુણસ્થાનકવાળાની નિર્જરા અસંખ્યાત ગુણી હોવાથી સજ્જડ છે. એમ ઉત્તરોત્તર સમજવું. સંયમથી પતિત થનાર છે, મિથ્યાત્વનો માર્ગ પ્રવર્તાવનાર છે એ નિશ્ચિયથી જાણ્યું છતાં દીક્ષા આપી એનું એક કારણ કે અત્યારે કલ્યાણની બુદ્ધિ છે, તેથી ભવિષ્યમાં જરૂર ભાવ પ્રાપ્ત થવાનો છે અને કલ્યાણ થવાનું છે.
નંદિષણ વેશ્યાને ત્યાં જશે એમ જાણવા છતાં ભગવાને દીક્ષા કેમ આપી? આટલા જ કારણે કે, જિનેશ્વર મહારાજાએ આ જ (દીક્ષા જ) મોક્ષનું સાધન બતાવેલ છે. આના વિના મોક્ષ થવાનો નથી, આવી બુદ્ધિથી જે દીક્ષા અંગીકાર કરે તે કદાચ અવિધિ પણ સેવે, મંદ વર્ષોલ્લાસ થઈને પતિત પણ થાય, એવી અનેક રીતે દ્રવ્યપચ્ચકખાણવાળો પણ થઈ જાય, છતાં પણ તે ભાવપચ્ચકખાણનું કારણ થવાનું છે અને તેનાથી જ આત્મકલ્યાણ થવાનું છે. જેને દીક્ષાની મોક્ષના સાધન તરીકે પ્રતીતિ હોય તો તેની તે દીક્ષા ભાવને જરૂર લાવનાર છે.