________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ત્યારબાદ દેવ સુરલોકે ગયો અને મદનાવલી હવે પોતાના કંતને હર્ષપૂર્વક વિનંતી કરવા લાગી કે (૧૯)
દેવલોકના સુખ ભોગવ્યા. મનુષ્યગતિમાં આવી તમારી સાથે સાંસારિક સુખ ભોગવ્યા, આવા ભોગો તિર્યંચગતિ આદિ ગતિઓમાં અનંતીવાર ભોગવ્યા, હવે તે ભોગથી તૃપ્ત થઈ છું. હવે તે ભોગ ભોગવવા દ્વારા મારે દુર્ગતિને આમંત્રણ આપવું નથી. (૨૦)
અનાદિ અનંત કાલથી આ જીવ આધિ - વ્યાધિ – ઉપાધિની જંજાલમાં ફસાયો છે અને એકબીજાના સંયોગના સંબંધથી ભવ નિષ્ફલ જાય છે. (૨૧)
તે માટે હે સ્વામીન્ ! જો તમે મને આજ્ઞા આપો તો સંયમ લઉં અને વિષય વાસનાના પાપનો ત્યાગ કરું. (૨૨)
ત્યારે રાજા પણ કહેવા લાગ્યો કે પુણ્યસંયોગે તો તું આવી શુભગતિ અને શુભ સુખનો સંયોગ પામી છું, તો કોણ મૂર્ખ હોય કે જે આવા સુખનો ત્યાગ કરે ? તું તારી બુદ્ધિથી વિચાર કર. (૨૩)
ત્યારે મદનાવલી કહેવા લાગી કે હે સ્વામીન્ ! આ જીવે સંસારમાં અનંતા સગપણ કર્યા છે. જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ છે જ. ધર્મ વિનાનાં બધાં જ સંબંધ ફોગટ છે. (૨૪)
જીવ એકલો આવ્યો છે. એકલો જવાનો છે. કોઈ કોઈનો સગો થતો નથી. ધર્મ એક જ આપણો સગો છે. તે આપણો બેલી છે. માટે તમે અંતરમતિથી વિચાર કરો અને મનથી માયા છોડો ! (૨૫)
હવે સિંહધ્વજરાજા માયાવશ અને નેહસભર હૈયાથી હા કે ના કંઈ જ મુખથી કહી શકતો નથી. જાણે તે હા કે ના બંનેમાં સમરસ ન બન્યો હોય ! તેવો સમરસભાવી વિચાર કરે છે. (૨૬)
ત્યારે ‘મદનાવલી’ અનેક પ્રકારે ઉપદેશ આપી સિંહધ્વજ રાજાને પ્રતિબોધે છે અને ‘અમરતેજ’ નામના કેવલી પાસે સંયમ ગ્રહણ કર્યું. (૨૭)
ત્યારબાદ નરપતિ સજલનયણે સર્વ સાધુને વાંદી અનુક્રમે ‘મદનાવલી’ આર્યાને પણ આનંદે વાંદીને ફરી પણ ધર્મદેશના સાંભળી સિંહધ્વજરાજા સુંદર શ્રમણોપાસક થયો અને જીવ અજીવાદિ નવતત્ત્વોનો જાણ થયો.
તેમજ જીવનમાં નવતત્ત્વને ધારણ કર્યા. (૨૮, ૨૯)
ત્યારબાદ ગુરુભગવંતને વાંદીને સિંહધ્વજરાજા રાજમંદિર તરફ વળ્યો અને કેવલી ભગવંતે વિહાર કર્યો. ‘મદનાવલી’ એ પણ પોતાના ગુરુણી સાથે વિહાર કર્યો. (૩૦)
દેશ-વિદેશ વિચરતાં, માયાજાળને તોડતાં, જ્ઞાન-ધ્યાન અભ્યાસતા, શુદ્ધ સંયમ પાળે છે. એમ ઉદયરત્નજી મહારાજ ઢળતી પંદરમી ઢાળમાં કહી રહ્યાં છે. (૩૧)
૯૦
testat