________________
૧૪૪
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – બને તે વાત જુદી, પણ શહેર કે ગામના આગેવાનોને આવડે તો પોતે રાજા છે. શેઠિયાઓ એવી જ સત્તા ભોગવીને ગયા છે, પણ તેઓ ધર્મરક્ષાના પ્રસંગે પોતાના સર્વસ્વને લાત મારવા તૈયાર હતા. આજે તો દુનિયાદારીમાંથી પરવારે ત્યારે ધર્મની વાત ! પરવાર્યા પછી પણ ગપ્પાં મારનારા મળે તો ધર્મનું કામ રહી પણ જાય !! રાજા પણ ઊંધે માર્ગે ચાલે તો એની આજ્ઞા કોઈ માનતું નથી. અનીતિમાન રાજા, રાજ્યને ઘણી વખત ટકાવી શકતો નથી ! અને નીતિમાન નાનો રાજા પણ સત્તા જમાવી શકે છે. તમે પણ ઉદાર, નીતિમાન અને શીલસંપન્ન બનો, તો ગામના રાજા છો.
પતિહીન સ્ત્રીઓ સુસંસ્કારના યોગે સન્માર્ગમાં છે. એમને જૈન સમાજના પૈસે ભણેલા શા માટે અવળી વાતો કરી પાપમાં પ્રેરે છે? જો એ એમ કરે છે, તો હું કેમ સમાજને ન ચેતવું ? સમાજને એવા ભણેલાની જરૂર નથી. અભણથી ચલાવાય, કેમકે-તેઓ દોરાયા દોરાય. જે ભણેલા વાંકા હોય, તે ન હોય તો , ચાલે. આંગણે આંબા ન હોય તો બાવળિયોન વવાય. આંબો ન હોય તો કેરી ન મળે, પણ બાવળિયો વાવીએ તો ધોળે દિવસે પણ કાંટા વાગે. એ સ્થિતિ ઊભી ન કરો.
આજની નિર્બળતાનો પ્રતાપ શ્રી જૈનશાસનનો નથી, પણ દુનિયાની આસક્તિનો-વિષયકષાયની આસક્તિનો છે, માટે એને જ મોળી પાડો. જૈનશાસનનું શિક્ષણ જુદું છે. જૈનસમાજ જૈનશાસનની રીતે આગળ કેમ વધે, એ બરાબર વિચારો. પૈસા ટકાથી જૈનત્વ આવે એમ ન માનો. લક્ષ્મીવાન કે સામાન્ય એક જૈનને જોઈ હજાર ઇતરને પણ શિર ઝુકાવવાનું મન થાય, એવું વર્તન એ જૈનત્વ છે. જૈન જ્યાં જાય ત્યાં ઝળકે. ઇતરને ત્યાં ખાવા બેસે ત્યારે અભક્ષ્ય ન ખાય તો ઇતર પણ પ્રશંસા કરે, પણ આજની તો માન્યતા જુદી છે. પાર્ટીમાં જાય તો જે મળે તે ખાય, પણ અસલ તો એવી પાર્ટીમાં જવું જ ન જોઈએ અને જવું પડે તો પોતાનું સાચવવામાં શિથિલ ન થવું જોઈએ.
બંગલા દેખીને કોઈ ધર્મ પામી જાય, એમ ન માનતા. ભિખારી અવસ્થામાં પણ સુખ દેખાડી શકાય, આજે અન્યાયનો પાર નથી અને સ્વેચ્છાચારનો સુમાર નથી. એ જોઈને ઇતર પણ કહે કે-એમના દેવ, ગુરુ અને ધર્મ સારા, પણ આમના ઉપર આવી ખરાબ છાયા પાડી માટે જેવા આ તેવા એ કેમ ન હોય ? એથી જ કહેવું પડે છે કે-જૈન શાસ્ત્રથી વિપરીત કાર્યવાહી કરનારા જૈન શાસનના આરાધકો તો નથી જ, પણ વિરાધકો છે.