________________
155
- ૧૩: આજ્ઞાનો આરાધક સંઘ - 13 - – ૧૫૫ ક્રિયાઓમાં થતા લક્ષ્મીવ્યયને ધુમાડા તરીકે નાસ્તિક સિવાય બીજું કોણ ઓળખાવે ? પૂજા, પ્રતિકમણ, પૌષધ, ઉજમણું, રથયાત્રા, ઉદ્યાન, આ બધી ધર્મક્રિયાઓ ખરી કે નહિ ? જો ખરી, તો એ ધર્મક્રિયાઓમાં ખર્ચાતા પૈસાને ધુમાડો કહેવા જેવા વિચારો કોના હોય ? કહેવું જ પડશે કે - “નાસ્તિકના !!
ટીકાકાર મહર્ષિ કહે છે કે – “અક્રિયાવાદીરૂપ કાળમુખા રાહુ જેવા મોંવાળા રાહુઓ શ્રીસંઘરૂપ ચંદ્રને કનડવા તેની પાછળ પાછળ ફરે છે. પરલોક સુધારવાની જેઓની ક્રિયા જ નથી, જેઓ પરલોકની ક્રિયામાં માનતા જ નથી, જેઓ કલ્યાણ કરનારી ક્રિયાઓનો ઉચ્છેદ જ કરે છે અને જેઓ પોતાના દોષોનાં કલંકો મહાપુરુષો ઉપર મૂકે છે, તેઓ નાસ્તિકો છે.”
વ્યવહારમાં પણ જુઓ તો માલૂમ પડે કે-જેનું કામ તેનું પૂરું સ્વાગત. છેલ્લી રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ જવાહરલાલ નેહરુને લેવા બે લાખ માણસ સામે ગયું, એ તમે સાંભળ્યું કે નહિ ? “એ સ્વાગતમાં થતો લક્ષ્મીનો વ્યય એ ધુમાડો નથી” - એમ કહેનારા દેવમહોત્સવ તથા ગુરુઓના પ્રવેશમહોત્સવ આદિમાં થતા લક્ષ્મીના વ્યયને ધુમાડો કહી ઘોંઘાટ શા માટે મચાવે છે ? હિંદુસ્તાનમાં ગરીબાઈ ઘણી છે, બેકારી બહુ છે, એવી બુમરાણ રોજ ચાલુ હોવા છતાં-કરોડો માણસોને એક ટંક પણ અનાજ પુરું નથી મળતું, એ બૂમ પડતી હોવા છતાં આ ખર્ચ શા માટે ? એના જવાબમાં કહેવાય છે કે “એમના જ ઉદય માટે આ ખર્ચ છે.'
. એ જ રીતે જૈનશાસનમાં પણ જેઓનાં પેટ નથી ભરાતાં, તેઓના પણ પાપોદયના ક્ષય માટે આ બધી ધર્મક્રિયાઓ છે. સાધર્મિક વાત્સલ્ય, વરઘોડો, વગેરે પણ એમના ઉદય માટે જ છે. પૂર્વે આરાધના કરી નથી, અશુભ કર્મના યોગે અનાજ મળતું નથી, એવાઓ વરઘોડો વગેરે જુએ, ભાવના ખીલે, અશુભ કર્મ ઘટે, શુભ કર્મનો બંધ પડે, તો સૌ સુખી થાય અને પરિણામે મુક્તિપદને સાધે, એવી આ શાસનની માન્યતા છે; પરંતુ ધાર્મિક વરઘોડા સામે આંખો કાઢે તો આ ભવમાં તો ભૂખે મરે છે અને ભવાંતરમાં એથી પણ અધિક ભૂખે મરશે. શાસનના આ સત્યને નહિ સમજી શકનારા જ, અક્રિયાવાદી. નાસ્તિકોની વાગુજાળમાં ફસાય છે. ખરેખર, પ્રભુપ્રણીત પરલોકને સુધારનારાં તેમજ કલ્યાણકર અનુષ્ઠાનોની આરાધનામાં થતા લક્ષ્મીના વ્યયને ધુમાડા તરીકે ઓળખાવનારાઓ, બહારથી પોતાની જાતને આસ્તિક તરીકે ઓળખાવવાના આડંબરો કરવા છતાં પણ નાસ્તિકો જ છે, એ વાતમાં જરા પણ શંકાને સ્થાન નથી.