________________
૩૭૦
370
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - પતિના પગમાં પડી અને કહેવા લાગી કે, “હે સ્વામિન્ ! અમારા એક અપરાધની ક્ષમા કરો અને પાછા ફરો. અમે આપનામાં જ અનુરક્ત છીએ. આપ અમારો કોઈ પણ રીતે ત્યાગ ન કરો !”
આ પ્રમાણે કહેવા છતાં પણ અષાઢાભૂતિ પોતાના નિર્ણયથી જરા પણ ચલિત ન થયા ત્યારે તે બંનેય બોલી કે, “હે સ્વામિન્ ! જો આપને પાછા ન જ ફરવું હોય તો અમને અમારી આજીવિકાની વ્યવસ્થા કરી આપો, કે જેથી પાછળથી પણ અમે આપની મહેરબાનીથી સુખપૂર્વક જીવી શકીએ.”
આ પ્રમાણે સાંભળીને કેવળ દાક્ષિણ્યતાના યોગે જ એ વાતને અષાઢાભૂતિએ માની લીધી અને પોતે પાછા ફર્યા. તે પછી તેમણે શ્રી ભરત ચક્રવર્તીના ચરિત્રને પ્રકાશિત કરતા “રાષ્ટ્રપાલ” નામના નાટકની રચના કરી. આ નાટકની રચના થઈ ગયા પછી નાટ્યકાર વિશ્વકર્માએ રાજા સિંહરથને વિજ્ઞપ્તિ કરી કે, “હે દેવ ! અષાઢાભૂતિએ “રાષ્ટ્રપાલ' નામના નાટકની રચના કરી છે, તે નાટક હાલ આપ કરાવો; પરંતુ એ નાટકમાં આભરણોથી ભૂષિત પાંચસો રાજપુત્રોની જરૂર પડશે; આ વિનંતીનો રાજાએ સ્વીકાર કર્યો અને પાંચસો રાજપુત્રો આવ્યા. એ પાંચસોય રાજપુત્રોને અષાઢાભૂતિએ એ નાટકમાં ભરતચક્રી પોતે થયા અને પાંચસો રાજપુત્રોને યોગ્યતા મુજબ સામંત વગેરે બનાવ્યા. આ પછી એ નાટકમાં જેમ શ્રી ભરત ચક્રવર્તીએ છ ખંડ સાધ્યા, ચૌદ રત્નો અને નવ નિધિઓ પ્રાપ્ત કર્યા તથા તેમને આરિસાભવનમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને જે રીતે પાંચસોના પરિવાર સાથે તેમણે પ્રવજ્યા અંગીકાર કરી, તે બધું જ કરી બતાવ્યું, આથી ખુશ થઈને રાજાએ તથા લોકોએ શક્તિ પ્રમાણે હાર, કુંડલ આદિ આભરણો અને ઘણા જ સોનૈયા તથા વસ્ત્રો તેની ઉપર ફેંક્યાં, પણ આ તો પાંચસોના પરિવારની સાથે સઘળાય લોકોને ધર્મલાભ આપીને ચાલવા જ માંડ્યા.
આ રીતે અષાઢાભૂતિને ચાલી નીકળતા જોઈને રાજા તેમને તેમ કરતાં રોકવા લાગ્યો, ત્યારે શ્રી અષાઢાભૂતિ કહેવા લાગ્યા કે, “શું ભરત ચક્રવર્તી દીક્ષા લીધા પછી પાછા ફર્યા હતા કે જેથી હું પાછો ફરું ?' આ પ્રમાણે કહીને તે પાંચસોયના પરિવારની સાથે ગુરુદેવની પાસે ગયા અને વસ્ત્ર, આભરણ વગેરે તેમની ભાર્યાઓએ લીધું. આ રીતે ભાર્યાઓની આજીવિકા થઈ ગઈ અને શ્રી અષાઢાભૂતિએ પાંચસોય રાજપુત્રોની સાથે દીક્ષા ગ્રહણ કરી.
આ પછી એ નાટક નાટ્યકાર “વિશ્વકર્મા'એ 'કુસુમપુર નગરમાં કરવા માંડ્યું. ત્યાં પણ પાંચસો ક્ષત્રિયોએ દીક્ષા અંગીકાર કરી. આ રીતે ક્ષત્રિયોને