________________
પારાયણ તો હવે સારું થાય. વસાવડાજીને લાગ્યું હશે કે અમારા કામનાં વખાણ અમે શું કરીએ. કદાચ વખત પણ ના હોય. ભાલનળકાંઠામાં જે પ્રયોગ ચાલે છે તેની ટૂંકી માહિતી મારા જ મુખે આપું. દેશની અંદર જે જુદાં જુદાં કામો ચાલે છે. હમણાં કહ્યું તેમ ગામડાં અને શહેરનો સમન્વય અને ગામડાં અને દુનિયાનો સમન્વય કેમ થાય અને તે પણ નૈતિક રીતે. તેને માટે મારા મનમાં એક સવાલ છે.
કુદરત તરફ જોનારા મોટા ભાગના માનવીઓ ગામડાંમાંથી જોવા મળે છે. એથી જે કુદરતનિષ્ઠા પ્રેરણા આપી આગેકૂચ કરાવે છે તેવી વસ્તુ ગામડાંમાં હોય તો સમન્વય કરવો છે. તે કામ ગામડાં પૂરાં કરશે, એમ લાગવાથી હું ગામડાં તરફ વધારે ધ્યાન આપું છું. ગ્રામઉદ્યોગ, મજૂરો, પશુપાલકો અને ખેડૂતો આ ત્રણ ગામડાનું અંગ છે. ભારત ખેતીપ્રધાન દેશ છે તેને માટે ગાય જોઈએ. એટલે એ લક્ષમાં રાખીને ગોપાલક મંડળની વાત કરું છું. માત્ર પૈસા માટે નહિ કે આજીવિકા માટે નહિ, પણ જીવન અને જગતના સમન્વય માટે પ્રેરકબળ તરીકે આવાં મંડળો જોઈએ. આપમાના ઘણા જાણતા હશો કે નૈતિક ભાવોનો પ્રયોગ એ નવો પ્રયોગ છે. બજારમાં ગમે તે ભાવ હોય પણ નૈતિકભાવે વેચાણ કરવું. એ સામાન્ય વાત નહોતી છતાં એ કામ થયું. બાપુજીની ઈચ્છા કંઈક સર્વોદય મંડળની રચના કરવાની હતી પણ તે સ્વપ્ર અધૂરું રહ્યું.
મેં અને રવિશંકર મહારાજે જોયું કે કંટ્રોલથી નીતિ મરી પરવારતી જાય છે. ખેડૂતોને પોતાના ભાવ મળતા નથી એટલે શું કરવું ? તેનો પ્રયત્ન થયો. કંટ્રોલ ગયા અને નૈતિકભાવ બંધાયા. શરૂઆતમાં નીતિને માનનારા ૧૬ સભાસદ તૈયાર થયા, પછી વધતા રહ્યા. ૨૦ હજાર મણ કમોદ એ નૈતિકભાવે મળી. નૈતિકભાવ રૂ. ૧૦ હતો. બજારમાં છેવટે તેના ૨૬ થયા હતા. આમાંથી આગળ વધતાં લાગ્યું કે ગામડાનું નિયોજન કરવું હોય તો આર્થિક બાબતમાં સ્વાવલંબી થવું જોઈએ. તેમાંથી ફરજિયાત બચતનો સિદ્ધાંત આવ્યો, એ બચતથી ચમત્કારિક ફાયદો થયો. એક એક મંડળી લાખ રૂપિયા સુધી શેરભંડોળ કરી શકી છે. પહેલાં વેપારી વર્ગ ખેડૂતોને બચત શીખવતો પણ પછી તો લાલચ માટે ખોતાં શીખવતો થયો. વરાખરા ખર્ચમાં ખેડૂત પાયમાલ થતો ગયો તેમાંથી આ રીતે રસ્તો કાઢ્યો.
૧૬૨
સાધુતાની પગદંડી