Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
શબ્દચિત્રશક્તિ, પ્રકૃતિવર્ણનશક્તિ, કાવ્યચાતુરી તેમ જ કરુણ, શૃંગાર, હાસ્ય આદિ કાવ્યરસો ઉત્તમ કવિત્વની ઝાંખી કરાવે છે.
આ કૃતિની ભાષા સરળ અને પ્રાસાદિક છે. અંત સુધી રસ જાળવી રાખે છે. સંવાદ શૈલી સજીવતા પ્રગટ કરે છે. તો સુભાષિતો શાશ્વત બોધના પ્રતિકરૂપે આલેખાયાં છે. ભિન્ન ભિન્ન રાગોની ઢાળો ગેયતામાં વધારો કરે છે. આ કૃતિ ભાવપક્ષે તેમ જ કલાપક્ષે અજોડ છે.
કૃતિના સર્જનનું મુખ્ય ધ્યેય બતાવતા કવિ કહે છે કે જે સુગુરુ - સુદેવના ગુણ ગાય છે તે આ ભવ અને પરભવમાં સુખી થાય છે. ગુરુ-દેવની સ્તુતિ કરતા ભાવ-વિભોર થઈ જવાય તો કર્મ ક્ષય થતાં મોક્ષપદ પ્રાપ્ત થાય છે. ગુરુ દેવની સ્તુતિ કરતા ભાવવિભોર થઈ જવાય તો કર્મ ક્ષય થતાં મોક્ષપદ પ્રાપ્ત થાય. આમ ગુરુભક્તિનો અન્યન્ય મહિમા બતાવ્યો છે. ૨૦. વીશ સ્થાનક તપ રાસ – સંવત ૧૬૮૫ ખંભાત.
આ કૃતિના નામ ઉપરથી જણાય છે કે જૈનધર્મમાં જણાવેલા વીશ સ્થાનકો ઉપર આ રાસ રચાયેલો છે. પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાને પોતાના પૂર્વભવમાં આ વીશ સ્થાનક્ની ભાવપૂર્વક આરાધના કરવાથી તીર્થકર નામકર્મ બાંધ્યું હતું અને તેથી તેઓ પ્રથમ તીર્થંકર બન્યા. પ્રભુ મહાવીરે પણ પોતાના પૂર્વભવમાં આ વીશ સ્થાનકોની આરાધના કરી હતી.
જેની આરાધનાથી આ મહાન તીર્થંકરપદ પ્રાપ્ત થાય છે, તે ૨૦ સ્થાનકો આ પ્રમાણે છે,
૧) અરિહંત, ૨) સિધ્ધ, ૩) પ્રવચન, ૪) આચાર્ય, ૫) સ્થવીર, ૬) ઉપાધ્યાય, ૭) સાધુ, ૮) સમ્યક જ્ઞાન, ૯) શ્રી સમ્યકદર્શન, ૧૦) વિનય, ૧૧) ચારિત્ર, ૧૨) બ્રહ્મચર્ય, ૧૩) ક્રિયા, ૧૪) તપ, ૧૫) ગોયમ, ૧૬) જિન, ૧૭) સંયમ, ૧૮) અભિનવ જ્ઞાન, ૧૯) શ્રુત ભક્તિ અને ૨૦) તીર્થ. ૨૧. અભયકુમાર રાસ - સંવત ૧૬૮૭ કાર્તિક સુદ-૯ ગુરુવાર – ખંભાત
આ કૃતિમાં અભયકુમારનું ચરિત્ર આલેખવામાં આવ્યું છે. અભયકુમાર પ્રભુ મહાવીરના સમયમાં મગધના રાજા શ્રેણિક યાને બિંબિસારનો કુમાર અને મંત્રી હતો. તે ઘણો જ બુદ્ધિશાળી અને ધર્મપ્રેમી ગણાતો હતો. શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈએ આપેલી તેની અંતપ્રશસ્તિમાંથી ખંભાતની ટૂંકી માહિતી મળે છે. ૨૨. રોહણિયા રાસ - સંવત ૧૬૮૮ – પોષ સુદ-૭ – ખંભાત
આ કૃતિની ૩૪૫ ગાથા છે. (વિકલ્પ ૨૫૦૦)
રોહણિયા ચોર પોતાની અનિચ્છા છતાં અકસ્માત પગમાં કાંટો વાગતાં પ્રભુ મહાવીરની વાણી માત્ર એકવાર સાંભળીને પ્રતિબોધ પામી તેમની પાસે દીક્ષા લઈ સંયમનું સુંદર પાલન કરી મોક્ષપદને પામે છે. તે પ્રસિદ્ધ કથા ઉપરથી આ રાસ રચાયેલો છે.
આદિ – રોહણિયા રાસનો પ્રારંભ સરસ્વતીની સ્તુતિથી કરવામાં આવે છે. રાજગૃહીમાં ભારગિરિની ગુફામાં રોહણિયાનો વાસ હતો. એની પાંચ પેઢીથી ચોરીનો ધંધો ચાલ્યો આવતો હતો. રોહણિયાના પિતાનું નામ લોહખરો અને માતાનું નામ રોહિણી હતું. તેના જન્મ વખતે પંડિતોએ તેની જન્મકુંડળી જોઈને કહ્યું હતું કે, આ પુત્ર મહાનધર્મી અને જિનેશ્વરના હાથે દીક્ષા લેશે.