Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર’, ‘શ્રી રત્નકરંડશ્રાવકાચાર’, ‘સાગારધર્મ’ આદિ ગ્રંથોમાં પણ ઉક્ત પાંચ અતિચારનું કથન છે પરંતુ તેના ક્રમમાં તેમ જ શબ્દપ્રયોગમાં ફેરફાર છે, છતાં ભાવની દૃષ્ટિથી સમાનતા છે.
સૂત્રકારે સામાયિક વ્રતની નિર્મળતા માટે પાંચ અતિચારોનું કથન કર્યું છે. આ અતિચારો જાણવા જરૂરી છે પરંતુ આચરવા યોગ્ય નથી. કારણ કે અતિચાર આચરણથી વ્રત દૂષિત બને છે. સામાયિક વ્રતનું ફળ
સામાયિક તે સ્વરક્ષાથી સર્વરક્ષા સુધી પહોંચાડનારો સેતુ છે. સામાયિકથી સાધકના અંતરમાં દયા, પરોપકાર, કરુણા, ક્ષમા, ઉદારતા જેવા અનેક આત્મગુણોનો વિકાસ થાય છે. સામાયિક વિનાની સર્વ સાધના શૂન્ય છે, તેથી જ પૂર્વાચાર્યોએ કહ્યું છે કે,
तिव्वतवं तवमाणे जं न वि निट्ठवड़ जम्म कोडीहिं ।
तं समभाविअ चित्तो खवेइ कम्मं खणद्वेण ॥
અર્થાત્ : કરોડો જન્મો સુધી નિરંતર ઉગ્ર તપ કરનાર તપસ્વી જે કર્મોને નષ્ટ કરી શકતા નથી, તે કર્મોને સમભાવપૂર્વક સામાયિક કરનાર સાધક માત્ર અડધી ક્ષણમાં જ નષ્ટ કરી નાંખે છે.૧૦ સંબોધ સિત્તરીમાં પણ સામાયિકનું ફળ દર્શાવતાં કહ્યું છે કે,
दिवस दिवस लक्खं देइ सुवणस्स खंडियं एगो ।
इयरो पुण्य सामाइयं, न पहुप्पहो तस्स कोइ ||
અર્થાત્ ઃ નિત્ય પ્રતિ લાખ ખાંડી સોનાનું લાખ વર્ષ પર્યંત કોઈ દાન આપે તેનું પુણ્ય તે એક સામાયિક વ્રતના ફળની બરાબર કરી શકે નહિ.
‘પુણ્ય પ્રમાણ’ નામના ગ્રંથમાં કહ્યું છે કે એક શુદ્ધ સામાયિક કરનાર ૯૨,૫૯,૨૫,૯૨૫Ż પલ્યોપમનું દેવાયુષ્ય બાંધે છે.
તેમ જ ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર' ૭/૧૬માં પણ દર્શાવ્યું છે કે, આ વ્રતથી સમતાનો અનુભવ થાય છે. અનેક પ્રકારના પૂર્વ સંચિત પાપોનો નાશ થાય છે. જ્ઞાનાદિ ત્રણ રત્નોનો લાભ થાય છે. આત્માની અનંત શક્તિ પ્રગટ થાય છે. ગૃહસ્થ હોવા છતાં સાધુ જેવું જીવન બને છે. અતઃ સામાયિકની સમ્યક્ પ્રકારની આરાધના દ્વારા સાધક પોતાનું આત્મકલ્યાણ કરી શકે છે. દસમું વ્રત – દેશાવગાસિક વ્રત (બીજું શિક્ષાવ્રત)
‘દેશ’ અને ‘અવકાશ' આ બે શબ્દો મળીને દેશાવગાસિક શબ્દ બન્યો છે. ‘શ્રી આવશ્યક સૂત્ર’માં દેશાવગાસિક વ્રતની પરિભાષા આપતા કહ્યું છે કે, दिग्वते गृहीतं यद्दिक परिमाणं तस्यैकदेशो देश: तत्रावकाश: गमनाद्यवस्थानं देशावकाश: तेन निवृत्तं देशावकाशिकम् ।।
અર્થાત્ : છઠ્ઠા વ્રતમાં જે દિશાનું ક્ષેત્ર પરિમાણ નિશ્ચિત કર્યું છે તેના એક દેશમાં, એક વિભાગમાં અવકાશ એટલે ગમનાદિ પ્રવૃત્તિ કરવી અને તે સિવાયના ક્ષેત્રમાં ગમનાદિ દરેક પ્રવૃત્તિના