Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
ગુરુ મહારાજને વંદન કરી કુમાર ઘરે આવ્યા. અને માતા-પિતા પાસે વિનયપૂર્વક દીક્ષાની રજા માંગે છે. પરંતુ માતા પિતા અપાર સ્નેહના કારણે દીક્ષા માટે રજા આપતા નથી. આથી કુમાર ભોજનનો ત્યાગ કરે છે. ત્યારે રાજા કુમારને સમજાવવા તેના મિત્ર દઢધર્મને મોકલે છે. દઢધમી આવીને તેને નમસ્કાર કરે છે, અને ભોજન ગ્રહણ કરવાનું કહે છે, પરંતુ શિવકુમાર મિત્રને પૂછે છે કે, “તે મને નમસ્કાર કેમ કર્યા?” ત્યારે તેના જવાબમાં દઢધર્મી કહે છે કે, “જે સમકિતી છે, સાચા ધર્મ ઉપર અડગ શ્રદ્ધાવાળો આત્મા છે અને સમભાવમાં વર્તે છે તે ભાવથી યતિ છે. તેને માટે આવા પ્રકારનો વિનય ઉચિત છે.” આમ દઢધર્મી કુમારને સમજાવે છે ત્યારે કુમાર પણ આયબંલિને પારણે છઠ્ઠ કરવાનું સ્વીકારી ધર્મમાં વધુને વધુ ઊંડા ઉતરતા જાય છે. આમ બાર વર્ષ વીતી જાય છે. છતાં માતા પિતાએ દીક્ષાની રજા આપી નહિ. કુમારે પણ ભાવયતિપણું છોડ્યું નહિ. શીલવ્રતનું અખંડ પાલન કરી આયુષ્યપૂર્ણ થયું ત્યારે સમાધિપૂર્વક મરણ પામીને તે પાંચમા બ્રહ્મદેવ લોકમાં વિદ્યુતમાળી નામનો ઈન્દ્રનો સામાનિક ઈન્દ્ર જેવા વૈભવવાળો દેવ થયા.
આમ રાજાના મહેલમાં રહેવા છતાં, દઢભાવે બાર બાર વર્ષે ભાવયતિપણામાં ગાળ્યાં અને અડગ રહીને પોતાના જીવનનું શ્રેય સાધ્યું.
: સંદર્ભસૂચિ :. શ્રી જિનામૃત ગ્રંથમાળા - મુનિશ્રી નિરંજનાવિજયજી.
............ પૃ. ૧૧૭
સ્થૂલિભદ્રસ્વામી ઢાલ-૫૮ સીલ સમુ નહી કો પચખણ, જોયું જ્યુબ વિમાસી જાણ /
લાછલદે સુત તે પણિ ગ્રહું, થુલિભદ્રનું નામ જ રહ્યુ // ૬૦ // ઉપરોક્ત કડીમાં કવિ રાષભદાસ ત્રિભુવનની કોઈ તાકાત જેમના શીલવ્રતને ખંડિત કરવાનું સામર્થ્ય ધરાવતી ન હતી, એવા “મુનિ સ્થૂલિભદ્રના દષ્ટાંત દ્વારા શીલવ્રતનો મહિમા સમજાવે છે જે નીચેની કથા દ્વારા જાણવા મળે છે.
પાટલીપુત્રના નંદ રાજાને શકવાલ નામના મંત્રી હતા. તે મંત્રીની લાછલદે નામની સ્ત્રી હતી. તેઓને સ્થૂલિભદ્ર અને શ્રીયક નામના બે પુત્રો હતા. અને યક્ષા, યક્ષદિન્ના વગેરે સાત પુત્રીઓ હતી.
સ્થૂલિભદ્ર રૂપવતી કોશા વેશ્યાના પ્રેમમાં હતા. બાર વર્ષ એમણે વેશ્યાના ઘરે વિતાવ્યાં હતાં. પરંતુ પિતા-શકહાલનું રાજકીય કાવાદાવાથી મૃત્યુ થતાં સ્થૂલિભદ્રના જીવનમાં પરિવર્તન આવી ગયું. તેમની મોહદશા ઊતરી ગઈ. નાના ભાઈ શ્રીયકને મંત્રી પદ સોંપીને પોતે આર્ય સંભૂતિવિજયજીની પાસે દીક્ષા લીધી. કર્મ મલથી લેપાયેલા આ આત્માને નિર્મલ બનાવવા જ્ઞાનગંગામાં ઝંપલાવ્યું. અને જૈનાગમનાં અગિયાર અંગોનો અભ્યાસ કર્યો. આમ પ્રચંડ સાધના કરતાં કરતાં બાર વર્ષ વીતી ગયા.
એકવાર વર્ષાઋતુ આવતાં સ્થૂલિભદ્ર ગુરુ મહારાજ પાસે કોશા વેશ્યાના ઘરે ચોમાસું વ્યતીત કરવા આજ્ઞા માંગે છે. ગુરુએ પણ તેને યોગ્ય ધારીને તેમ કરવાની આજ્ઞા આપી. સ્થૂલિભદ્ર કોશાને ઘેર ગયા. ત્યાં તેમને આવતા જોઈને કોશાએ વિચાર્યું કે, “આ સ્થૂલિભદ્ર ચારિત્રથી ઉદ્વેગ પામી વ્રતનો ભંગ કરવા આવ્યા જણાય છે. માટે હજુ સુધી મારું ભાગ્ય જાગતું છે.” એમ વિચારી કોશા ખુશ થઈ ગઈ