________________
૧૫૮ “દેવી ! લંકાપતિ ચંદ્રકેતુનો કુમાર આ સમરકેતુ સમુદ્રમાંના દ્વિપો જીતતો જીતતો પ્રસંગે અહીં આવી ચડ્યો છે. સુભાગ્ય વિના પ્રવેશ ન કરી શકાય તેવું આ તમારા હૃદય જેવું મંદિર દીઠું, પણ તેમાં પ્રવેશ કરવાનો માર્ગ બતાવે તેવા તમારા કોઈ પરિજનને હુકમ આપો.”
ત્યારે અવંતી રાજ્યમાં માન પામેલી વસંતસેના નામની ચતુર સ્ત્રીને મેં કહ્યું
“સખી ! આ મહાભાગને આપણો આજનો બનાવ યથાર્થ સંભળાવ.”
વસંતસેના–“ભાઈ શું કહું ? આપની ધારણા સફળ કરવાનું અમારા ભાગ્યમાં નથી. મારું એવું ભાગ્ય નથી કે તમારા સ્વામીનો મનોરથ સફળ કરી શકું. આજ રાતમાં જ આ અમારી નાયિકાને કોઈક અહીં લાવેલ છે. બીજી પણ આ રાજકન્યાઓ પરદેશી જ છે. અત્યંત સુંદર આ મંદિરકુમારના રૂપ પ્રમાણે આણે આજે જ જોયું છે. તેથી તેની વિશેષ હકીકત શી રીતે જાણી શકે ? અને તેથી ઈચ્છા છતાં તમારા નાયકને શી રીતે રસ્તો બતાવી શકે ? બીજી ચિંતા તો દૂર રહી. એને પોતાની જાતની ચિંતા થાય છે–હું સમુદ્રમાં જ વખત ગાળીશ? યા બીજે ઠેકાણે જઈ કોઈ વિચિત્ર દશામાં આવી પડીશ? યા પોતાને ઘેર જઈ શકીશ ? પણ વિધિની વિચિત્રતા કોણ જાણી શકે ?”
તારક-“કુમાર ! તો રહ્યું દેવ દર્શન.”
પણ, કામદેવે તેના સામે ખૂબ ધનુષ ખેંચેલ હોવાથી તેને મારું દર્શન જ શરણ હતું. તેથી આ નિરસ વચન સાંભળી જરા પણ ખેદ પામ્યો નહીં. થોડી વારે પાછો પેલો નાવિક બોલ્યો