________________
યુગે યુગે પાટણની પ્રભુતા
હ) પાટણના મહાન કવિ અને આખ્યાન સાહિત્યના પિતા ભાલણ
પ્રા. મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય આપણા નવા વસેલા પાટણમાં ઘીવટામાં “ભાલણ કવિની ખડકી” આવેલી છે. હજારો માણસો હજારો વખત આ ભાલણ કવિની ખડકી પાસેથી પસાર થાય છે, છતાં આ ભાલણ કવિ કોણ હતો ? એ હકીકત જાણવાની બહુ ઓછા નગરજનોએ દરકાર કરી છે.
- કુમારપાળના શાસનમાં અને કુમારપાળના અવસાન પછી વિક્રમ સંવતના સોળમા શતક સુધી ગુજરાતી સાહિત્ય ઉપર માત્ર જૈન સાધુઓનો ઇજારો હતો. તે કાળમાં સૌરાષ્ટ્રમાં નરસિંહ મહેતા અને પાટણમાં જૈનોના અભેદ ગઢમાં ભાલણ જેવા વૈદિક સાહિત્યકારે પ્રવેશ કર્યો. ગુજરાતીમાં પણ ઉત્તમ કાવ્યો લખી શકાય છે તે હકીકત ભાલણે અનેક આખ્યાનો રચીને સિદ્ધ કરી બતાવી. ગુર્જર ભાષા આવો શબ્દ પ્રયોગ ભાલણે પ્રથમ વખતે કર્યો હતો.
ભાલણના જન્મનું ચોક્કસ વર્ષ મળતું નથી, પરંતુ ભાલણ વિક્રમ સંવતના સોળમાં શતકમાં વિદ્યમાન હતો એ નિશ્ચિત છે. વળી તેમનું અવસાન વિક્રમ સંવત ૧૫૭૦ના આશરામાં થયાનું જણાય છે. ભાલણના જમાનામાં પાટણની જાહોજલાલી નષ્ટ પામી હતી. અસલી પાટણ ખંડેર અવસ્થામાં હતું. ભાલણના સમયમાં ગુજરાતનો સુલતાન મહંમદ બેગડો હતો. :
ભીમ નામનો કવિ ભાલણનો શિષ્ય હતો. આ ભીમે રચેલ હરિલીલા નામના કાવ્ય ઉપરથી ભાલણ અંગે ઘણી વિશ્વાસપાત્ર માહિતી મળે છે. વિક્રમ સંવત ૧૫૪૧માં કવિ ભીમે ગુરૂ સ્વામી પુરૂષોત્તમના આર્શીવાદ માગ્યા હોવાનો ઉલ્લેખ છે. કવિ ભાલણનું મૂળ નામ પુરૂષોત્તમ હતું જે પાછળથી ભાલણના નામે પ્રચલિત થયા હતા. કેટલાક વિદ્વાનોનું અનુમાન એવું છે કે, જન્મનું નામ ભાલણ છે અને પુરૂષોત્તમ નામ પાછળનું છે. સ્વ. નારાયણ ભારતીએ ભાલણના જન્મનું વર્ષ વિક્રમ સંવત ૧૪૬૧ જણાવ્યું છે. આ રીતે ગણતાં ભાલણે ઘણું લાબું આયુષ્ય ભોગવ્યું હોવું જોઈએ. પાછલી અવસ્થામાં ભાલણ લોકોમાં શ્રી પુરૂષોત્તમ મહારાજ” તરીકે સારી ખ્યાતિ પામી ચૂક્યા છે.
ભાલણ મોઢ બ્રાહ્મણ અને ત્રિવેદી કુળમાં જન્મયા હોવાનો મત પ્રચલિત છે. કાદમ્બરી આખ્યાનમાં “ત્રવાડી' અટક જણાવેલ છે. ભાલણના માતા-પિતાના સંબંધી કોઇ પુરાવા મળતા નથી. ભાલણની બાલ્યાવસ્થા સંબંધી પણ કોઇ વિશ્વસનીય જાણકારી મળતી નથી. પરંતુ તેને બાલ્યાવસ્થાનું હૃદયંગમ ચિત્ર દોર્યું છે. જે ઉપરથી અનુમાન કરી શકાય કે તેના માતા-પિતાએ તેને બહુ જ લાડકોડમાં ઉછેર્યો હોવો જોઇએ.
ભાલણે સંસ્કૃત સાહિત્ય તથા વ્યાકરણનો સારો અભ્યાસ કર્યો હતો. ભાલણના ગુરૂજી શ્રીપાતાજી હતા. વળી આખ્યાનમાં ભાલણના ગુરૂશ્રી બહ્મપ્રિયાનંદનાથ હોવાનો પણ ઉલ્લેખ છે.