________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૯૨
વગેરે આવેલાં હતાં. આ પૈકી એક પણ પરૂં હાલ વિદ્યમાન નથી. ફક્ત આશાપુર છે જે હાંસાપુરથી આજે ઓળખાય છે. વાડીપુર અને દોલતપુર સંવત ૧૬૪૮ સુધી વિદ્યમાન હતાં, પરંતુ તેના સ્થાનો ક્યાં હતાં તેનો પણ પત્તો લાગતો નથી. બકરાતપુર અને સાંડેસરનાં કોટડા શહેરની દક્ષિણે આવેલાં છે.
શહેરમાં હિંદુ અને જૈન ધર્મના સેંકડો મંદિરો છે. આમાં જૈનનાં કેટલાંક મંદિરો તો શિલ્પ સ્થાપત્યની દૃષ્ટિએ અદ્વિતીય છે. આ પૈકી પંચાસર પાર્શ્વનાથનું મંદિર પ્રાચીન ગણાય છે. આજે તે મંદિર નવેસરથી લાખો રૂપિયાના ખર્ચે બંધાઇ રહ્યું છે. તેમાંની પ્રતિમા પ્રાચીન કાળની હોઇ સંવત ૧૬૫૨માં તેની પ્રતિષ્ઠા વિજયસૂરિના શિષ્ય વિજયસેનસૂરિના વરદ્ હસ્તે થઇ હોવાનો તેની નીચે લેખ છે. આ પાર્શ્વનાથનું પ્રાચીન મંદિર અણહિલપુરમાં હતું. જેની પહેલી પ્રતિષ્ઠા વનરાજે કરાવી હતી એમ કહેવાય છે. નવીન પાટણ સ્થપાતાં પંચાસર પાર્શ્વનાથનું મંદિર શહેરના ઉત્તર વિભાગમાં અઘારા દરવાજા નજદીક બંધાવવામાં આવ્યું. આજે પણ તે સ્થાનને પંચાસરથી ઓળખવામાં આવે છે. ત્યારબાદ નવીન પરિસ્થિતિ ઊભી થતાં ખડાખોટડીના પાડામાં હાલનું મંદિર બાંધવામાં આવેલ છે. . આ મંદિરની અંદર વનરાજ, સિદ્ધરાજનો પ્રધાન આસાક, વનરાજનો પ્રધાન જામ્બ, વનરાજના ગુરૂ શીલગુણસૂરિ, હીરવિજયસૂરિ અને આચાર્ય હેમચંદ્રસૂરિની પ્રાચીન પ્રતિમાઓ બેસાડેલી છે. આ પૈકી વનરાજની પ્રતિમા સંવત ૧૪૧૭માં બનાવી હોવાનો તેની નીચે લેખ છે. જેમા વનરાજનો ટૂંક ઇતિહાસ પણ નોંધવામાં આવેલ છે. પંચાસર પાર્શ્વનાથ મંદિરની નજદીક ટાંગડિયાવાડામાં સુપ્રસિદ્ધ જૈન કવિ અમરચંદ્રસૂરિની ચૌદમાં સૈકામા તૈયાર થયેલ પ્રતિમા મૂકેલી છે.
હિંદુ મંદિરો પણ કેટલાંક પ્રાચીન છે. તે પૈકી ત્રિપુરેશ્વર, ગુપ્તેશ્વર, સિદ્ધેશ્વર, નિલકંઠ વગેરે મહાદેવનાં શિવાલયો તેમજ મહાલક્ષ્મીજી, ગોવર્ધનનાથજી, હૃષિકેશ, ગુણવંતા હનુમાન, સોનીવાડામાં રધુનાથજી અને સાલવીવાડાના નારાયણજીની પ્રતિમાઓ પ્રાચીન છે. ત્રિપુરેશ્વર, ગુપ્તેશ્વર અને સિદ્ધેશ્વરનાં મંદિરોમાં જમીનથી દસ બાર ફૂટ નીચે મોટાં શિવાલયો બેસાડેલાં છે, જે કોઇ શંકરાચાર્ય સ્થાપન કર્યા હોવાનું કહેવાય છે. ત્રિપુરેશ્વરના મંદિરમાં ઉપરથી બાજુ આરસનો મોટો પોઠિયો બેસાડેલો છે. જેની સ્થાપના સંવત ૧૪૯૫માં નવીન રીતે કરવામાં આવી હોવાનો તેની નીચે પટ્ટીમાં લેખ છે. આથી હાલના પાટણની સ્થાપના થયા અગાઉ અણહિલપુર પાટણનું આ એક પ્રાચીન મંદિર હશે એમ જણાય છે. મહાલક્ષ્મીજીની પ્રતિમા સંવતના ચૌદમા સૈકામાં શ્રીમાળથી શ્રીમાળી બ્રાહ્મણો લાવ્યા હતા એવા પુરાવા છે. આ મંદિરની અંદર મહાલક્ષ્મીજીની સાથે આવેલી, શ્રીમાળના સુપ્રસિદ્ધ જગતસ્વામીના મંદિરની, સૂર્ય તથા રન્નાદેવીની ચંપાના કાષ્ટમાંથી બનાવેલ બે ઊભી પ્રતિમાઓ મૂકેલી છે.
ગુજરાતમાંથી મળતી પ્રાચીન પ્રતિમાઓમાં આ કાષ્ટ વિગ્રહો અનન્ય અને અદ્વિતીય છે. ગોવર્ધનનાથજીની ઊભી પ્રતિમાઓ ગોવર્ધન પર્વતને ધારણ કરતી અદ્ભુત બનાવવામાં આવી હોઇ તેની પીઠિકામાં પ્રહ્લાદ, નારદ, અંબરીષ વગેરે પરમ ભાગવતોને મૂકેલા છે. આ પ્રતિમાનું શિલ્પ અને કલાવિધાન ઉપરથી તે અગિયારમાં કે બારમાં સૈકાથી પણ પ્રાચીન હોવાનું માલુમ પડે છે. કુંભારિયાપાડો અને કપુર મહેતાના પાડાનાં જૈન મંદિરોમાં લાકડાનું અત્યુત્તમ કોતરકામ બનાવ્યું હોઇ તેમાં મહાવીર