________________
[૧૨] દાદાએ કર્યું ત્રાગું પણ નાટકીય
સામા ઘરવાળાએ ચઢાવ્યા હીરાબાને પ્રશ્નકર્તા: “તીખા ભમરા જેવા તમને કહેતા તો તમે કોઈ વખતે એવી તીખાશ બતાવેલી ?
દાદાશ્રી : હા, એ તો હીરાબા અને અમારે બેને મતભેદ પડતો નહોતો, પણ એક દહાડો સંજોગ એવો થયો'તો કે મારે આવું કરવું પડ્યું, ધૂણવું પડ્યું. કારણ કે સામે ઘેર છે તે બ્રાહ્મણ રહે. એ ત્યાં આગળ બાના વખતથી મેળાપ, ત્રીસ-ચાલીસ વર્ષથી. તે હીરાબાની બેઠક ત્યાં, હુંય ત્યાં બેસતો, પણ પછી આ જ્ઞાન થયા પછી લોકો અહીં દર્શન કરવા આવવા માંડ્યા ને, તે હીરાબા ત્યાં બેઠા હોય. તે એમણે ફટવ્યા હીરાબાને સહેજ.
પ્રશ્નકર્તા : ફટવ્યા ?
દાદાશ્રી : એ ધણીને વઢતી હોય, તે એણે આમને હઉ શિખવાડ્યું થોડું. તે હું જાણું કે આ ફટવે છે. એ એના ધણીને છે તે કૂતરાની પેઠ રાખે અને મારે ત્યાં તો અક્ષરેય બોલાય નહીં ને ચાલે નહીં કંઈ. એ જે બઈ હતી ને, તે ત્યાં આગળ માથું ઓઢ્યા વગર બેસતી હતી ઓટલા ઉપર, પાછી કહે, “આ તો તમારા આવ્યા પછી અમે માથે ઓઢીએ છીએ બા.' દેખતા જ ઓઢી લે. “દાદા આવ્યા” કહે છે.