________________
નય વિચાર, પ્રણામ અને નિક્ષેપ
૮૯
‘સાંવ્યવહારિક પ્રત્યક્ષ’ એવું નામ આપ્યું છે. આના પણ ચાર ભેદ છે. એ ચાર ભેદ માટે જૈન દર્શનમાં ‘અવગ્રહ, ઈંહા, અપાય અને ધારણા' એવા ચાર પારિભાષિક શબ્દો છે. આપણે એને ‘અસ્પષ્ટ ભાસ, આછું દર્શન, નિર્ણય અને સ્મરણાંકન, એવા ચાર નામથી ઓળખીશું તો ચાલશે.’
દુરથી કોઇ વસ્તુ દેખાય અને કશુંક છે એવું લાગે તે (અવગ્રહ) અસ્પષ્ટ ભાસ, નજીક આવતાં તે શું છે એની સમજ પડવા માંડે તે (ઈહા) આછું દર્શન, સમજ પડ્યા પછી તે ‘અમુક જ' છે એવું નક્કી થાય તે (અપાય) નિર્ણય અને પછી ગમે ત્યારે તે આપણને યાદ આવી શકે તેવી રીતે મનઃપ્રદેશમાં અંકિત થઇ જાય તે (ધારણા) સ્મરણાંકન.
દાખલા તરીકે દૂરથી કોઇ મનુષ્ય જેવી આકૃતિ દેખાય તે અસ્પષ્ટ ભાસ અથવા ‘અવગ્રહ’ છે. નજીક આવતાં તે પુરૂષ છે કે સ્ત્રી એવું શંકાપૂર્વક લાગવા માંડે તે આછું દર્શન અથવા ‘ઈહા’ છે. પછી, તે પુરૂષ જ છે અને સ્ત્રી નથી એવો નિશ્ચય થાય તે ‘નિર્ણય’ અથવા ‘અપાય’ છે; અને પછી, એ પુરૂષ ફરીવાર આપણને ક્યારેક મળે, ત્યારે આપણે તેને ઓળખી શકીએ એવી રીતે આપણા મનઃપ્રદેશમાં તે અંકિત થઇ જાય, તે ‘સ્મરણ’ અથવા ‘ધારણા’. અહીં એક વાત યાદ રાખવાની છે કે સાંવ્યવહારિક પ્રત્યક્ષના ધારણા-ભેદ અનુસાર વર્તમાનમાં જોયેલા પુરૂષનું મનમાં ચિત્ર અંકિત થઇ જાય ત્યારે, ત્યાં સુધી, એ પ્રત્યક્ષ પ્રમાણનો ભેદ છે. પરંતુ, ભવિષ્યમાં જ્યારે આપણે એને જોઇએ અને સ્મરણથી ઓળખીએ ત્યારે, તે
''
* વખતે, તે રીતે ઓળખવાનું પરોક્ષ પ્રમાણમાં આવશે.
અનુમાન પ્રમાણ ઃ લિંગથી થતું લિંગીનું જ્ઞાન, એટલે, કોઇ પણ એક વસ્તુ દ્વારા બીજી વસ્તુનું જે જ્ઞાન થાય તે ‘અનુમાન પ્રમાણ’ છે. દાખલા તરીકે ચોક્કસ પ્રકારની વાસ આવતાં કશુંક બળે છે એવો જે નિર્ણય આપણે કરીએ છીએ તે અનુમાન પ્રમાણ છે. આપણી આંખોથી દૂર, આસપાસમાં જો કપરું બળતું હોય ત્યારે આપણને ચોક્કસ પ્રકારની વાસ આવે છે, તેવો અનુભવ તો સૌનો છે. આ વાસ દ્વારા કશુંક બળે છે તેવો જે નિર્ણય કર્યો તેમાં ‘અનુમાન’ કામ કરે છે. આપણી બાજુના ઘરમાંથી અથવા દૂરથી ધુમાડો નીકળતો આપણે જોઇએ, તો તે વડે, ત્યાં અગ્નિ હોવો જોઇએ એવો જે નિર્ણય આપણે કરીએ છીએ તે અનુમાન પ્રમાણ દ્વારા જ થાય છે. દૂર દૂર ક્યાંક અગ્નિના ભડકા દેખાય ત્યારે ત્યાં આગ લાગી હોવી જોઇએ એવું આપણે સમજી જઇએ છીએ. આગ હોલવનાર બંબાને, ઘંટ વગાડતો વગાડતો, ઝડપભેર જતો આપણે જોઇએ ત્યારે પણ કોઇક સ્થળે આગ લાગી છે એવું આપણે માનીએ છીએ.