________________
૬૪
મૂળશુદ્ધિ ભાગ-૧
છે. ધર્મ સ્વામીઓનો પણ પરમ સ્વામી છે. બંધુઓનો પરમબંધુ છે. મિત્રોનો પરમમિત્ર છે. ધર્મ યુદ્ધમાં વિજય આપનાર છે. દેવલોક ઉપર (માં) ચડવા માટે પગથિયા રૂપે છે. મોક્ષમાર્ગના વટેમાર્ગુ માટે ધર્મ શ્રેષ્ઠ ૨થ સમાન છે. જો ભવ ભ્રમણની પરંપરાથી જન્ય દુઃખથી નિર્વેદ (ઉદ્વેગ) પામ્યા હો તો જિનપ્રણીત ઉદાર ધર્મનો સ્વીકાર કરો.
પછી કથાંતર-વિષય બદલાતો જાણી રાજાએ પુત્ર સંબંધી કારણ પૂછ્યું. હે ભગવંત ! અનેક રીતે સમજાવવા છતાં મારા પુત્રો ધર્મને કેમ નથી સ્વીકારતાં ? અને કીર્તિવર્ષને રોગ કેમ થયો ! ત્યારે કેવલીભગવંતે કહ્યું – એમાં કારણ છે, પરંતુ તું કુમારોને મારી પાસે લાવ, કે જેથી બધી વાત વિસ્તાર પૂર્વક કહું.
ત્યારે બીજા દિવસે મા બાપે આગ્રહ કરી બંનેને ગુરુ પાસે લાવ્યા. ત્યારે ભગવાને પુનઃ ધર્મદેશના આપી આ સંસારરૂપ જંગલમાં રખડતા પ્રાણિઓને બોધિ પ્રાપ્તિ ઘણી જ દુર્લભ છે. ક્યારેક જીવ કર્મવિવર દ્વારા તેને પ્રાપ્ત કરીને પણ અજ્ઞાન અને મોહથી મૂઢાત્મા વિરાધી દે છે. અને શંકાદિના કારણે દુઃખરૂપી પહાડને ભેદનાર એવા સમકિતને ફરીથી પામી શક્તા નથી. અને તેથી શારીરિક અને માનસિક દુઃખોને મેળવે છે. તે તીક્ષ્ણ ભયંકર દુઃખોને કોઈ ઉપમા આપી શકાય એમ નથી. તે વિશે એક કથા કહું છું તે ધ્યાનથી સાંભળો. કે જેથી તમને વિશ્વાસ બેસશે.
આ જંબુદ્વીપનાં સલિલાવતી વિજયમાં તિલકપુર નગર છે. ત્યાં સૂરપ્રભ રાજા છે. તેને ચંદ્રશ્રી નામે રાણી છે. તે નગરમાં નાગશ્રેષ્ઠી રહે છે. તેને નાગશ્રી નામે ભાર્યા છે. સર્વ ઈન્દ્રિયોને આનંદ દાયક, મનોહર પાંચ પ્રકારનાં વિષયસુખને અનુભવતાં તે બેઓનો સમય પસાર થઈ રહ્યો છે. એક વખત નાગશ્રીએ પ્રધાન સ્વપ્નથી સૂચિત પુત્ર યુગલને જન્મ આપ્યો. પ્રિયંકરા દાસીએ વધામણી આપી. શેઠે તેને ઈનામ આપી વધામણાં મહોત્સવ કર્યો. બાર દિવસ થતાં વીરચંદ્ર અને શૂરચંદ્ર નામ પાડ્યા. પાંચ ધાવમાતાથી પાલન પોષણ પામેલાં તે બંને ય આઠ વરસના થયાં. કલા શિક્ષણ ગ્રહણ કર્યું. અને યૌવનવનના મુસાફર બન્યા. તેના ફળનો સ્વાદ માણવા પોતાનાં અનુરૂપ કન્યાઓ સાથે લગ્નગ્રંથીથી જોડાણા અને તેઓની સાથે સુખમાં કાલ પસાર કરવાં લાગ્યા.
એક વખત પિતા સાથે મહેલ જોવાં ઉપર ચઢ્યાં. નગરની શોભાને જોતાં જોતાં પૂજાનાં ઉપકરણ લઈ લોકોને જતાં જોઈ એક પુરુષને કારણે પૂછ્યું. તેણે કહ્યું કે અતિશયજ્ઞાની પધાર્યા છે. તેનાં વંદન માટે બધા લોકો જાય છે. તે સાંભળી તેઓનાં આદેશાનુસાર નિયુક્ત પુરુષોએ સર્વસામગ્રી તૈયાર કરી અને રથમાં બેસી તેઓ પણ મહાવિભુતિ સાથે ઉદ્યાનમાં ગયા. ત્યાં મૂર્તિમાન્ ધર્મસમા, ચારજ્ઞાનનાં અતિશય યુક્ત, જેનાં ચરણોને અનેક જન ચૂમી રહ્યા છે, વિશુદ્ધ ધર્મદેશના આપતા એવાં મુનિચંદ્રસૂરિને જોયાં. વંદન કરીને ઉચિત સ્થાને બેઠા. એ અરસામાં ભગવાને કહ્યું કે, ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ ચ્યારને પુરુષાર્થ છે, તેમાં મોક્ષ પ્રધાન પુરુષાર્થ છે, તે મોક્ષ પુરુષાર્થ માટે બુદ્ધિશાળીએ સમ્યક્ જ્ઞાન-દર્શન ચારિત્રમાં યત્ન કરવો જોઈએ. અને તેમને બરાબર સમજવા જોઇએ. જિનેશ્વરે ભાખેલ પદાર્થોની શ્રદ્ધા કરવી તે સમકિત, સમજવું તે જ્ઞાન અને કાયાથી આચરવું તે ચારિત્ર છે. કહ્યું છે કે...