________________
જો આ દગ્ધકાળમાં તું શક્તિહીન હો તો તારે કેવળ નિજ પરમાત્મ તત્ત્વનું શ્રદ્ધાન જ કર્તવ્ય છે. સ્વાભાવિક વસ્તુ સ્વભાવથી જ પ્રગટ થાય એવી શ્રદ્ધા પાકી રાખજે પણ ખોટો બચાવ કરીશ નહિ કે થોડીક ગુરુની સહાય તો હોવી જોઈએ ને! નિમિત્તથી થોડું તો થાય ને!-એવી ખોટી શ્રદ્ધા કરીશ નહિ.
કાળ હલકો છે ને શક્તિહીન હોય તો તું એવી ખોટી શ્રદ્ધા કરીશ નહિ. વીતરાગતા ન પ્રગટે તો આડું અવળું ગોટો વાળીશ નહિ. શક્તિહીન હો તો કેવળ નિજ પરમાત્મતત્ત્વનું શ્રદ્ધાન કરજે. એ જ કર્તવ્ય છે.
શ્રદ્ધામાં ગોટા વાળ્યા તો ૮૪ ના અવતારમાં હાથ નહિ આવે, મરી જઈશ! કેવળ એક નિજ પરમાત્મ તત્ત્વનું શ્રદ્ધાને જ કર્તવ્ય છે.
વસ્તુ તો ત્રિકાળ નિરાવરણ છે, તેના અવલંબને જ મુક્તિની અને મુક્તિના માર્ગની ઉત્પત્તિ છે, બીજો કોઈ રસ્તો છે નહિ. દર્શન પાહુડમાં કહ્યું છે કે શ્રદ્ધા ભ્રષ્ટ નહિ હોય ને ચારિત્ર ભ્રષ્ટ હશે તો તેની મુક્તિ થવાની જ. કેમ કે તેને ખ્યાલ છે કે આ દોષ છે તેથી તે દોષ ટાળશે ને મુક્તિ પામશે. માટે નિજ ભગવાનને પકડી રાખજે, તેની શ્રદ્ધાન રાખજે, એ જ કર્તવ્ય છે. વિદ્યમાન મહાપ્રભુને તું જાણ! ભૂતકાળની અનંતી પર્યાયો અને ભવિષ્યકાળની અનંતી પર્યાયો કે જે થઈ ગઈ છે અને જે હજુ થઈ નથી તે પર્યાયો ખરેખર પ્રગટ નથી, વિદ્યમાન નથી, અવિદ્યમાન છે. છતાં જ્ઞાન તેને પ્રત્યક્ષ જાણતું હોવાથી તે પર્યાયો વિદ્યમાન છે, ભૂતાર્થ છે, એમ જાણે છે. અહાહા.....! ભૂત-ભાવી પર્યાયો અવિદ્યમાન હોવા છતાં જ્ઞાનમાં સીધા જણાતા હોવાથી જ્ઞાનમાં વિદ્યમાન જ છે, ભૂતાર્થ છે એમ જાણે છે-એ જ્ઞાનની દિવ્યતા છે! એ જ્ઞાનસ્વભાવની અચિંત્યતા છે! - જે પર્યાયો વિદ્યમાન નથી છતાં જ્ઞાન તેને વિદ્યમાનપણે જાણે છે તો ચૈતન્ય મહા પ્રભુ તો વિદ્યમાન જ છે, ભૂતાર્થ જ છે તેને જ્ઞાન વિદ્યમાનરૂપે કેમ ન જાણે? વસ્તુ સત્ છે ને ! વિદ્યમાન છે ને ! તો એ મહાપ્રભુને તું વિદ્યમાનરૂપે જાણને!
આહાહા.! જેની હયાતી નથી તેને હયાત જાણે ! તો પૂર્ણાનંદનો નાથ પ્રભુ વર્તમાન વિદ્યમાન જ છે, હયાત જ છે તેને જાણ ને! ભાઈ ! તારી નજરની આળસે વિદ્યમાન પ્રભુને દેખવો રહી ગયો. જેમાં જ્ઞાન, આનંદઆદિ ગુણોની અનંતતાનો અંત નથી એવો સચ્ચિદાનંદ પ્રભુ વિદ્યમાન જ છે તેને જાણ !