________________
[૮.૧] ભગવાન
-
પ્રકાશ સ્વરૂપ
પ્રશ્નકર્તા : બુદ્ધિમાંથી જ્ઞાન આવે છે ?
દાદાશ્રી : ના, (વિભાવિક) જ્ઞાનનું ઉત્પાદન, (વિભાવિક) જ્ઞાનમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય. જે જાણોને, જે સંસારનું જ્ઞાન જાણો તેમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય અને વિજ્ઞાન જાણવાથી આત્માનું જ્ઞાન ઉત્પન્ન થાય. એ જ્ઞાન સ્વયં પ્રકાશિત હોય. વિજ્ઞાન જાણો એટલે સ્વ-પર પ્રકાશિત જ્ઞાન ઉત્પન્ન થાય.
કશું જ અડે નહીં, સ્વ-પર પ્રકાશકને
૧૩૧
પ્રશ્નકર્તા : સ્વ-પર પ્રકાશક જ્ઞાન એટલે ?
દાદાશ્રી : સ્વ-પર એટલે પરનુંય પણ જ્ઞાન અને પોતાનું પણ જ્ઞાન, સ્વ-પર પ્રકાશક એ સાચું જ્ઞાન, વિજ્ઞાન કહેવાય. એ ચેતનવંતું હોય.
અને એ સ્વ-પર પ્રકાશકને કશું અડે નહીં. સ્વ-પર પ્રકાશક એટલે શુદ્ધ પ્રકાશક. આ મોટરની લાઈટ વાંદરાની ખાડી પરથી પસાર થાય તોય ના ગંધાય અને કાદવ ના અડે, બસ એવો શુદ્ધ પ્રકાશ છે. એ ક્યારેય બગડ્યો નથી. શુદ્ધને જોઈને શુદ્ધ થવાય. ‘શુદ્ધ છું’ એવું ભાન થાય એટલે શુદ્ધ જ રહે. જે ક્યારેય બગડ્યો નથી. પર પ્રકાશક હોય તે બગડે, પણ સ્વ-પર પ્રકાશક તો પોતાનેય પ્રકાશે અને પરનેય પ્રકાશે.
સૂર્યને પણ પ્રકાશે આત્મપ્રકાશ
પ્રશ્નકર્તા : એક કથામાં સાંભળ્યું હતું કે હજારો સૂર્ય એક સાથે પ્રકાશે એવો પ્રકાશ આત્માનો હોય.
દાદાશ્રી : બધા દાખલા આપેલા. હજારો નહીં, લાખો સૂર્યના જેટલો પ્રકાશ હોય, પણ આવો પ્રકાશ ના હોય. સૂર્યનો પ્રકાશ તો આના જેવો હોય, આ લાઈટ જેવો હોય છે. જેના પ્રકાશથી છાંયડો પડે એ પૌદ્ગલિક પ્રકાશ કહેવાય અને આત્માના પ્રકાશનો છાંયડો ના હોય, એનો પ્રકાશ જુદો હોય. આ પ્રકાશને પ્રકાશ કેમ કહેવાય ?
એવો કયો પ્રકાશ હોય કે આત્માનો છાંયડો પાડે ? આપણે છીએ