________________
[૧૬] સંકોચ-વિકાસશીલ
૨૮૩
દાદાશ્રી : આત્મા મહીં જ, પણ પેલું ભાન જતું રહ્યુંને ! અમુક ભાગમાં ભાન જતું રહ્યું. એટલે પેલું એને ખબર ના પડે, આપણે ટાંકણી મારીએ તોય. જેટલા ભાગમાં જતું રહ્યું એટલા ભાગમાં નથી આત્મા. એ ખસી જાય ત્યાંથી.
આ જે બેભાન કરે છે, જે ભાગ બેભાન કરે, તે ભાગમાંથી આત્મા ખસી જાય છે. ભાનમાં આવતો જાય તેમ તેમ આત્મા પાછો વિકાસ પામતો જાય. આત્મા સંકોચ-વિકાસ પામી શકે.
ભાન ના રહે પણ આત્મા છે ને ! પ્રશ્નકર્તા : એ ક્યાં હોય ?
દાદાશ્રી : આખા શરીરમાં, જેટલા ભાગમાં ખસી ગયો એટલા ભાગમાં નહીં. બીજે બધે આખા શરીરમાં હોય.
પ્રશ્નકર્તા ઃ એટલે એમાં બે પ્રકારના ઍનેસ્થેસિયા હોય છે; એક જનરલ (આખા શરીરમાં) હોય અને બીજું લોકલ (અમુક ભાગમાં) હોય. લોકલ હોય તો અમુક ભાગમાંથી ખસીને બીજામાં જતો રહે.
દાદાશ્રી : હંઅ. તે ઘડીએ કાં તો અહીં ચઢી જાય, કાં તો બીજા સ્થાનમાં. સંકોચ-વિકાસના સ્વભાવવાળો છે. પોતે સંકોચ-વિકાસ કરી શકે એમ છે.
પ્રશ્નકર્તા: પણ જે જનરલ હોયને, તો આખી ઉપરથી લઈને તે છેક તળિયા સુધી બધે જ બેભાન અવસ્થા હોય.
દાદાશ્રી : ના, એ બેભાન લાગે પોતાને. ઊંઘમાંય બેભાન જ હોય છે ને ! ખરેખર બેભાન નથી એ. ક્લૉરોફૉર્મ વખતે ઉપર (બ્રહ્મરંધ્રમાં) આવતો રહે.
આત્મા (જીવ) સંકોચાય પણ કપાય નહીં પ્રશ્નકર્તા: આત્મા શરીરના અણુએ અણુમાં વ્યાપેલ છે, તો કોઈના શરીરનો કોઈ ભાગ કપાઈ જાય તો તેટલી જ ખોટ આત્માને પડે ખરી ?