________________
૩૪૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
.... ત્યાં પોતે સ્વતંત્ર, નિરાલંબ તે સ્વાભાવિક સુખમાં
પ્રશ્નકર્તા સિદ્ધગતિમાં પછી આત્મા એનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી શકે ?
દાદાશ્રી : હા, રહે જ. એ સ્વતંત્ર અને નિરાલંબ. અવલંબન કોઈ જાતનું નહીં અને સ્વતંત્ર બિલકુલ. ભગવાનેય ઉપરી નહીં, એ જ ભગવાન.
પ્રશ્નકર્તા સ્વતંત્ર છે અને ત્યાં સિદ્ધશિલાની અંદર દરેકની સ્વતંત્ર જગ્યા પણ છે ?
દાદાશ્રી : સ્વતંત્રતા સાથે ત્યાં આગળ.
પ્રશ્નકર્તા તો પછી પોતે સ્વતંત્ર છે, તો દરેકમાં એકતા કેવી રીતે જોઈ શકે એ ?
દાદાશ્રી : એકતા જોવાની જરૂર જ નહીં, પોતપોતાના સુખમાં બિરાજમાન છે.
દેખાય એક જ પ્રકાશ પણ જુદા જુદા સ્વભાવથી
પ્રશ્નકર્તા: એ સિદ્ધલોક છે તેમાં સિદ્ધોને કોઈ દિવ્ય દેહ હશે, કઈ રીતે કામ કરે ? એ ખાય-પીવે, બેસે-ઊઠે એ કંઈ કરતા હશે ?
દાદાશ્રી : ના, ના. ખાવા-પીવાનું એમને કશું હોય નહીં. જ્યોતિસ્વરૂપ, તદન જ્યોતિ સ્વરૂપ પણ આવી આ લાઈટ જેવી જ્યોતિ નહીં. શુદ્ધ આત્મસ્વરૂપ ભાવે, લાઈટ (પ્રકાશ) ભાવે જ રહેવાનું. એને શરીર-બરીર કશું ના હોય. એને કશું જોઈએ જ નહીં. પોતપોતાના સ્વાભાવિક સુખમાં જ રહ્યા કરે. નિરંતર પોતાના સ્વાભાવિક સુખમાં, જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદી !
પ્રશ્નકર્તા અને દરેક વ્યક્તિત્વ ભાવે જુદા હશે એ બધા આત્માઓ?
દાદાશ્રી : નહીં, આમ અજવાળું એક જ દેખાય, બધો પ્રકાશ અને દરેક પ્રકાશ પાછા પોતે જુદા જુદા સ્વભાવથી રહે. એકમાં અનેક, અનંતા.