________________
ટિપ્પણ :
વૈરાગ્ય, જ્ઞાન અને ઉપરતિની પરાકાષ્ઠા ગયા શ્લોકમાં નિરૂપ્યા પછી, આવા સુ-વિરલ સાધકની, એવી જ સુ-વિરલ અને અનન્યસાધારણ જીવનચર્યાનું એક પ્રેરકપ્રભાવક શબ્દચિત્ર, આચાર્યશ્રી વડે, અહીં આપવામાં આવ્યું છે.
ઉપર્યુક્ત ત્રિવિધ પરાકાષ્ઠાને પામેલો સાધક, સૌપ્રથમ તો, બહિર્મુખ (Extrovert) મટીને, પૂરેપૂરો અંતર્મુખ (Introvert) બની જાય છે. પરિણામે, તે નિરંતર બાહ્મીસ્થિતિમાં જ રહે છે, બહારના વિષયો પ્રત્યેની આસક્તિથી તેની બુદ્ધિ સંપૂર્ણરીતે મુક્ત થઈ જાય છે, એટલું જ નહીં, પરંતુ શરીરનાં પાલનપોષણ માટેની લઘુતમ (Minimum) અને અનિવાર્ય જરૂરિયાતોની બાબતો પ્રત્યે પણ તે એટલો ઉદાસીન અને બે-પરવા બની જાય છે કે તેની આવી બધી જરૂરિયાતો પણ, તેના માગ્યા વગર અને તેને ખ્યાલ પણ ન રહે એ રીતે, બીજાઓ દ્વારા પૂરી પાડવાની રહે છે. કોઈ માણસ ઊંઘતો હોય અને શિયાળો હોવાને કારણે, તેને ટાઢ વાતી હોવા છતાં, તે આ બાબતમાં તદ્દન અ-ભાન બનીને, ટૂંટિયું-વાળીને પડ્યો હોય ત્યારે, તેને બીજું કોઈક આવીને ગરમ ધાબળો ઓઢાડી જાય; અથવા બાળકની ભૂખ-તરસની જરૂરિયાતો તેની માતા પૂરી પાડે; - આવી જ કોઈક વિચિત્ર જીવનશૈલી પ્રસ્તુત સાધકની બની. જાય છે.
' વળી, આ જાગ્રત જગતમાં જ તે જીવતો હોવા છતાં, સ્વપ્નમાં જોયેલી દુનિયા જેવું જ આ જગત છે, એવી મિથ્યાત્વ-દષ્ટિમાં જ, ઉપેક્ષાભાવે તે સદા રહેતો હોય છે : ટૂંકમાં, જીવન-જગતની એની જાગ્રત-અવસ્થાની અનુભૂતિ પણ સ્વપ્નઅવસ્થા જેવી જ બની જાય છે !
અને છતાં, પોતાનાં લાખો-કરોડો પૂર્વજન્મોનાં અનંત પુણ્યોનાં ફળ નિરાંતે ભોગવતો હોય તેમ, ધરતી પર તે ધન્ય અને આદરણીય બની રહે છે, સહુનાં પૂજાપ્રશંસાની પાત્રતા પ્રાપ્ત કરે છે.
આવી જ કોઈક ધન્ય વ્યક્તિની પ્રશંસા, આચાર્યશ્રીએ જ, એમના એક જાણીતા શ્લોકમાં, આ પ્રમાણે કરી છે તે, યાદ આવી જાય છે : દિવ્ય જ્ઞાન-સુખના અપાર સાગરરૂપી પરમબ્રહ્મમાં જેની ચિત્તવૃત્તિ પૂરેપૂરી લીન થઈ ગઈ છે, તેનું કુળ પવિત્ર છે, માતા કૃતાર્થ છે અને આ ધરતી પણ એને કારણે પાવન બની રહે છે :
कुलं पवित्रं जननी. कृतार्था
वसुन्धरा पुण्यवती च तेन । अपार-संवित्-सुख-सागरेऽस्मिन् । लीनं परब्रह्मणि यस्य चेतः ॥
વિવેકચૂડામણિ | ૮૩૭