________________
“જીવન્મુક્ત”, અન્ય સામાન્ય મનુષ્યોથી, કઈ બાબતમાં, જૂદો પડે છે, તે દર્શાવતાં, એનાં પોતીકાં જ કહી શકાય, એવાં, એનાં સ્વકીય “લક્ષણો''નું વર્ણન, આ શ્લોકથી, હવે શરૂ થાય છે.
દરેક મનુષ્યને ઈશ્વરે દેહ આપ્યો છે અને સામાન્ય અને સ્વાભાવિક રીતે જ, “આ દેહ' એટલે હું”, “આ મસ્તક એટલે ‘મારું' મસ્તક”, એમ તે માને-સમજે-અનુભવે છે. ટૂંકમાં, દેહ વિશે, તે આવો અહં-ભાવ અને મમ-ભાવ સેવે છે.
“જીવન્મુક્ત”ની, પોતાના સ્થૂળ દેહ વિશેની, ભાવના-વિભાવના કેવી છે ? એ મુદ્દાની અહીં વિશેષતા દર્શાવવામાં આવી છે અને એ વિશેષતા તેને સર્વ સામાન્ય મનુષ્યોથી નોખો-નિરાળો સાબિત કરતી હોવાથી, તે વિશેષતાને તેનાં લક્ષણ તરીકે સ્થાપવામાં આવ્યું છે.
શરીરનો પડછાયો, શરીરની પાછળ-પાછળ જાય, એને અનુસરે તે, સ્વાભાવિક છે; અને શરીર છે તો જ એને પડછાયો હોય, તે પણ એટલું જ સ્વાભાવિક છે; પરંતુ પડછાયો પોતે ‘માત્ર પડછાયો’ જ છે, શરીર નથી, ન હોઈ શકે. શરીરથી જૂદું, પોતાનું જ કહી શકાય, એવું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ પણ, પડછાયો ધરાવતો નથી. ટૂંકમાં, ‘પડછાયો' એટલે, ‘છે' છતાં ‘નથી’, એવી ‘માત્ર આભાસી' . વસ્તુ ! એનું ફક્ત એક જ કામ ઃ શરીરને અનુસરવાનું !
‘જીવન્મુક્ત’ મહાપુરુષ તો પોતાના દેહને પણ, દેહની સાથે રહેતા અને દેહને અનુસરતા પડછાયા જેવો જ સમજે છે, સ્વીકારે છે. સુખ-દુ:ખ, રંગ-રાગ, ભોગવિલાસ, આવા બધા અનુભવો તો માત્ર દેહને જ હોય છે, પડછાયાને કદી નહીં ! “જીવન્મુક્ત”ને મન, પોતાનો દેહ આવો પડછાયો જ છે. એનો તાત્પર્યાર્થ એ જ કે દેહ અને એમાંની, ઇન્દ્રિયો-પ્રાણ-મન વગેરેની ક્રિયાઓ-પ્રવૃત્તિઓઅનુભૂતિઓથી તે પર’ છે.
દેહથી પર' હોવાની એની આવી વિભાવનાને કારણે જ, એને પોતાના દેહ વિશે કશો ‘અહં’–ભાવ ('I'-ness) કે મમ’-ભાવ ("My"-ness) હોતો જ નથી : પ્રારબ્ધવશાત્ તે જીવતો હોય, એટલે દેહ પણ હયાત (વર્તમાને અપિ) હોય તે છતાં, તે ‘દેહાતીત' અવસ્થામાં જ રહેતો હોય, - દેહ વિશેનો તેનો આવો, અનોખો-આગવો-અનન્ય અભિગમ, એ જ “જીવન્મુક્ત”નું લક્ષણ !
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૪૩૨)
-
૮૫૦ | વિવેકચૂડામણિ
-