________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
૬૭ પાપનું મૂળ લોભ જ હોવાથી લોભ દુઃખ દાયી છે. વળી પણ ઉપાધ્યાયજી મહારાજ સંસારનું વર્ણન કેવી રીતે કરે છે તે આગળની ગાથામાં જોઈએ..
गलत्येका चिन्ता, भवति पुनरन्या तदधिका मनोवाक्ये हा विकृति रति रोषात्तरजस : । विपद् गर्तावर्ते झटिति पतयालो : प्रतिपदं न जन्तो : संसारे भवति कथमप्यति विरति :॥२
આ સંસારમાં મનુષ્યની એક ચિંતા પુરી થાય છે અને બીજી ચિંતા એના કરતાં પણ અધિક થાય છે. મન-વચન અને કાયાની વિકૃતિ થયા કરે. રજોગુણ અને તમોગુણના પ્રભાવે ડગલે પગલે આપત્તિ-વિપત્તિના ખાડામાં પડતા જીવના દુ:ખનો આ સંસારમાં કેવી રીતે અંત થશે?
સંસાર એટલે ચિંતાનો સાગર. તમારા માથાના વાળ ગણી શકાય પણ ચિંતાઓ ન ગણી શકાય. સંસારને સાગરની ઉપમા આપવામાં આવી છે. સાગર વિશાળ છે. અગાધ છે. સાથે સાથે વમળ અને તુફાનો છે આ બધું જ સંસારમાં છે. પણ એક વાત એ છે કે.. સાગરને કોઈ પણ જગ્યાથી ચાખો. મુંબઈના કિનારેથી જામનગરના કાંઠેથી કે અમેરિકાના કિનારેથી અથવા વચમાંથી પણ કેવો લાગશે? ખારો જ ને? બસ એવી જ રીતે સંસારને કોઈ પણ એંગલથી જુઓ, ચાખો, ખારો જ લાગવાનો. આ સંસારમાં જીવને કોઈ જગ્યાએ સુખ-મીઠાશ કે આનંદ મળતા નથી.
ચારે બાજુ દાવાનળ સળગી રહ્યો છે. આ સંસાર ભડકે બળી રહ્યો છે. “તાવડી ઉપર જેમ શેકેલા શેકાય તેમ સંસારમાં જીવો શેકાઈ રહ્યા છે.”
ગલત્યેકા ચિંતા -
એક ચિંતા માંડ-માંડ પૂરી થઈ અને ત્યાં અધિક દુઃખ દેનારી બીજી ચિંતા આવી ગઈ. એક કામ સુલઝાવ્યું ત્યાં માથે દુઃખનો ભાર આવી ગયો.
જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી આધિ- વ્યાધિ-ઉપાધિ રહેવાની જ. જન્મ મરણ ના ફેરા ચાલ્યા જ કરવાના. દાવાનળ સમો આ સંસાર છે અને કહેવતમાં કહ્યું છે કે.
“આગ અને પાણીનો કદી વિશ્વાસ કરવો નહિ”