________________
ક્ષત્રપકાલીન ગુજરાત
૧૫૬
પુછુમાવિ છે એવો રેપ્સનનો મત સ્વીકાર્ય બનતો નથી; કેમ કે રુદ્રદામાએ જે શાતકર્ણિને બે વાર હરાવ્યો તે તેનો દૂરનો સગો ન હતો. સંબંધાવિ પૂરતયા આ શબ્દ-સમાસ અહીં ધ્યાનાર્હ છે. વાસિષ્ઠીપુત્ર પુછુમાવિ તો રુદ્રદામાના જમાઈ તરીકે અતિ નજીકનો સગો ગણાય તે આપણે અવલોક્યું; જ્યારે દૂરના નહીં એવા નજીકના સગા તરીકે તો જમાઈના પિતા ગૌતમીપુત્ર શાતકર્ણ ગણાવી શકાય.
દે.રા.ભાંડારકરનું સૂચન વધારે સ્વીકાર્ય જણાય છે. પણ તે કાજે સહરાજ્યામલની તેમની દલીલ શિથિલ ભાસે છે; કેમ કે પુછુમાવિ એ ચાષ્ટનનો સમકાલીન છે. આથી સ્પષ્ટ થાય છે કે ગૌતમીપુત્ર શાતકર્ણિ વિદ્યમાન નથી, અને તેથી ગાદી ઉપર તેનો પુત્ર પુછુમાવિ છે.
આથી, સ્પષ્ટતઃ અનુમિત થાય છે કે મહાક્ષત્રપ રુદ્રદામાના જૂનાગઢસ્થિત અશોકશૈલથી ઓળખાતા ખડક ઉપર ઉત્કીર્ણ લખાણમાં નિર્દિષ્ટ અને દૂરના નહીં એવા સગપણને કારણે સીધી લડાઈમાં બે વાર હરાવ્યા છતાં જીવિત જવા દીધો તે શાતકર્ણિ બીજો કોઈ નહીં પણ ગૌતમીપુત્ર શાતકર્ણ અર્થાત્ વાસિષ્ઠીપુત્ર પુલુમાવિ (શાતકર્ણિ)નો પુરોગામી સાતવાહન રાજા હોઈ શકે.
પાદનોંધ
૧. સાતવાહનોની વંશાવળી વાસ્તે જુઓ અજય મિત્ર શાસ્ત્રીકૃત ધ સાતવાહન્સ ઍન્ડ ધ વેસ્ટર્ન ક્ષત્રપ્સ, માં પરિશિષ્ટ ૩, પૃષ્ઠ ૧૩૧. આઠ શાતકર્ણ આ મુજબ છે : શાતકર્ણિ, ગૌતમીપુત્ર શાતકર્ણિ, વાસિષ્ઠીપુત્ર શાતકર્ણિ, વાસિષ્ઠીપુત્ર સ્કંદ શાતકર્ણિ, ગૌતમીપુત્ર યજ્ઞ શાતકર્ણ, ગૌતમીપુત્ર વિજય શાતકર્ણિ, વાસિષ્ઠીપુત્ર ચણ્ડ શાતકર્ણ અને વાસિષ્ઠીપુત્ર વિજય શાતકર્ણિ
૨. બાઁગે., પુસ્તક ૧, ભાગ ૧, પૃષ્ઠ ૩૮; અજયમિત્ર શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૭૩-૭૪.
૩. ઇએ., પુસ્તક ૧૨, પૃષ્ઠ ૨૭૩; અજયમિત્ર શાસ્ત્રી, એજન, પૃષ્ઠ ૭૪.
૪. અહિડે., પૃષ્ઠ ૨૩ અને ૨૭.
૫. કેટલૉગ., પ્રસ્તાવના ફકરો ૪૬.
૬. જબૉબ્રારાઁએસો., ૧૯૧૪, પુસ્તક ૧૩, પૃષ્ઠ ૬૬થી ૭૩.
૭. અજયમિત્ર શાસ્ત્રી એમના છેલ્લા ગ્રંથ (પાદનોંધ ૧ મુજબ)માં સ્પષ્ટ જણાવે છે કે જૂનાગઢના શૈલલેખોમાં નિર્દિષ્ટ શાતકર્ણિ તે વાસિષ્ઠીપુત્ર શાતકર્ણિ છે અને જે એની અનામી પત્નીના કણ્ડેરીના શિલાલેખમાં જણાવ્યા મુજબ તે રુદ્ર(દામા)નો જમાઈ હતો (પૃષ્ઠ ૭૪ અને ૧૫૭). પણ શાસ્ત્રીનો આ મત એટલાં માટે સ્વીકાર્ય જણાતો નથી કેમ કે વાસિષ્ઠીપુત્ર શાતકર્ણિનો રાજ્યકાળ એમના જ જણાવ્યા મુજબ ઈસ્વી ૧૧૯થી ૧૪૭નો હતો (પૃષ્ઠ ૧૩૧, વંશાવળી). જ્યારે રુદ્રદામાનો ગિરનાર શૈલલેખ શક વર્ષ ૭૨ એટલે કે ઈસ્વી ૧૫૦નો છે, જે સમયે વાસિષ્ઠીપુત્ર શાતકણિ જીવિત ન હતો; બલકે તેના અવસાનને ત્રણ વર્ષ થઈ ગયાં હતાં.
બીજું, ગૌતમીપુત્ર શાતકર્ણિએ આશરે ૨૪ વર્ષ રાજ્ય કર્યું હતું. એના શિલાલેખોમાં ક્યાંય ક્ષહરાત ક્ષત્રપોના પરાજયની વાત નથી. આથી આ ઘટના તે પછી બની હોવી જોઈએ. સંભવ છે ગૌતમીપુત્ર શાતકર્ણિ એના રાજ્ય-અમલનાં છેલ્લાં વર્ષોમાં કેટલોક પ્રદેશ ગુમાવી બેઠો હોય. તો તેના મૃત્યુ પછી વાસિષ્ઠીપુત્ર તેનાં પરાક્રમોનું વર્ણન કરે ખરો ? આથી એવું અનુમાન થઈ શકે કે ગૌતમીપુત્રે જીતેલા પ્રદેશો એના મૃત્યુ પછી એના વારસદારો એના પરાક્રમોની યશોગાથા વર્ણવે એ અસંભવિત નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org