Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
અને પોતાના કાર્યની સિદ્ધિને અર્થે એ હારના દોરાઓને મધવાળા કર્યા. કારણકે મધવાળું એટલે કે મીઠું બોલનારું મુખ હોય છે એવા જનોનાં કાર્ય સિદ્ધ જ થાય છે. પછી વરવધુના વસ્ત્રના છેડાની જેમ પેલા દોરાઓના છેડાને અને મોતીઓને બરાબર મેળવીને મુક્યા. એટલે એ દિવ્ય મોતીઓના વેધને વિષે મધની લાલચે કીડીઓ આવીને પ્રવેશ કરવા લાગી અને દોરાના છેડા મુખમાં લઈને બહાર નીકળવા લાગી કારણકે કાર્ય સિદ્ધ થયા પછી કોણ બીજે જાય ? જ્યારે સર્વે દોરા મોતીઓના વેધને વિષે પરોવાઈ ગયા ત્યારે મણીઆરે દોરાના છેડા કાપી નાખીને જોઈએ તે
પ્રમાણે બંધ દીધા. આ પ્રમાણે બુદ્ધિના પ્રયોગથી એણે પૂર્વે હતો તેવો હાર બનાવી દીધો. અથવા તો એવા મહાબુદ્ધિમાનની બુદ્ધિને શું અગમ્ય છે ? હાર તૈયાર થયો કે તુરત મણિકારના મસ્તકના ફૂટીને સાત કટકા થયા.
પિતાના મૃત્યુથી શોકાતુર પુત્રોએ એનું મૃત્યુકાર્ય કર્યું. આવા પ્રાણ દઈને પણ દ્રવ્ય મુકી જનાર પિતાના વિયોગથી કોને દુ:ખ ન લાગે ? પછી તેઓ હાર લઈને રાજાને દેવા ગયા. કોઈ અવરની વસ્તુ વિનાકારણ ઘરમાં રાખી મુકવી જોઈએ નહીં-તો પછી રાજાની વસ્તુનું શું જ કહેવું ? રાજાએ એમનો પાન સોપારીથી જ સત્કાર કર્યો અને હાર લીધો; પણ એમના દેવા અધુરા હતા તે પચાસ સહસ્ત્ર દ્રવ્ય એમને દીધા નહીં. એટલે વિલખે મોંએ ઘેર આવ્યા ને કહેવા લાગ્યા “રાજાએ તો આપણને છેતર્યાં ! એવો અન્યાય કરનારા રાજાનું કામ તે કોણ કરે ? મોટા લોકો જ્યાં સુધી પોતાનું કાર્ય ન સિદ્ધ થયું હોય ત્યાં સુધી જ નાનાઓની પાસે નીચા નમીને આદરભાવ બતાવે છે. જ્યાં સુધી કાર્ય સિદ્ધ ન થયું હોય ત્યાં સુધી જ આસન, શયન, દાન, ભોજન અને વાતચીતમાં ગૌરવ દેખાય છે. કામ થઈ રહ્યા પછી કોઈ પૂછતું યે નથી કે તું શું કરે છે? આપણે અર્ધલક્ષદ્રવ્યની આશાએ રાજાના દરબારમાં ગયા હતા પણ તેની જગ્યાએ હજાર કે સો પણ મળ્યા નહીં.
અહા ! જો શ્રેણિકરાજા આવો ન્યાય આપે તો બીજા દ્રવ્યાનુરાગી રાજા શું ન કરે ? હાથીને ભલે કેડ સુધી પાણી હોય પણ ત્યાં જવામાં રાસભ એટલે ગધેડાઓનું તો નિશ્ચયે મૃત્યુ જ થાય છે. અથવા એટલો
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
૪૨