Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
સ્ત્રીઓથી થાય પણ શું ? મેં વિચાર કર્યો કે મારા પતિને મારે હાથે છેલ્લી વખત ભોજન કરાવું. કારણકે પતિ સ્ત્રીના હાથથી કઈ સેવાને યોગ્ય નથી ? દિવસે તો દંડપાશિક અધિકારીઓનો ભય હોવાથી અહીં આવી નહીં કારણકે સ્ત્રીઓ ને જ્યાં ત્યાં ભય જ છે. વળી જો કે મારા જેવી કુળસ્ત્રીને શીલરક્ષણને કારણે રાત્રિએ ઘરની બહાર પગ પણ મુકવો ઉચિત નથી તોપણ ઉત્કૃષ્ટ પ્રેમને લીધે પતિને ભોજન કરાવવા અત્રે આવી છું. પણ હું નીચી છું અને એ શૂલિ ઉપર છે તેથી મારો હાથ પહોંચતો નથી; અને એને જમાડવાનો મારો સર્વ પ્રયાસ વૃથા જાય છે. આ મારા રૂદનનું કારણ છે.
હવે તમે આવ્યા છો તો મને સહાય કરો. અથવા તો ધાન્યને (સારા પાકને માટે) હસ્ત નક્ષત્રના વર્ષાદની જરૂર હોય છે. મારા સ્વર્ગપ્રતિ પ્રયાણ કરતા પતિને હું ભક્તિસહિત એમનું પ્રિય ભોજન-દહીંભાત જમાડવા લાવી છું. તે સાંભળી મને પણ લાગ્યું કે-અહો ! આ સ્ત્રીની પતિભક્તિ અસાધારણ છે. પાઘડીને વિષે કીરમજના રંગની જેમ મનુષ્યને વિષે પણ અતિશય રાગ-સ્નેહ હોય છે. આવું સ્ત્રીરત્ન ઘેરઘેર હોતું નથી; જેમ શાલના ચોખા દરેક ક્ષેત્રમાં પાકતા નથી તેમ. એમ ધારીને મેં એને મારી પીઠ પર ચઢી એનો મનોરથ સંપૂર્ણ કરવાને કહ્યું.
મારું વાક્ય સાંભળીને એ રડતી બંધ થઈ; નારંગી આદિ ફળ મળવાથી એક બાળક રડતું બંધ થાય તેમ. પછી એણે યુદ્ધમાં જવાને તૈયાર થતા સુભટની પેઠે હર્ષ સહિત પોતાના વસ્ત્ર તથા વાળ બરાબર બાંધ્યા; અને એકદમ પોતાનું ભાજન લઈને મારી પીઠ પર ચઢી ગઈ. તે વખતે તે કૈલાસ પર રહેતી રૂદ્રની સ્ત્રી હોય નહીં એવી દેખાવા લાગી. એણે મને વળી કહ્યું-જ્યાંસુધી હું આને ઘેબર આદિ જમાડી ન લઉં ત્યાં સુધી તારે મારી સામે જોવું નહીં કારણકે એમ થાય તો મારા જેવી શરમાળ કુલસ્ત્રીના હાથમાંથી પાત્ર તત્ક્ષણ નીચે પડી જાય. “જે મારી પૃષ્ઠે (પુ૪) લાગશે તેનો હું અધઃપાત કરીશ.” એમ એ મારી પૃષ્ટ (પીઠ) પર રહી છતી સૂચવતી હોય નહીં ! પછી ઘણો વખત થયો છતાં તે નીચે ઉતરી નહીં ત્યારે મને એનો ભાર લાગવાથી વિચાર આવ્યો કે આ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
૭૪