Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
જેમને સિદ્ધિ નજીક છે એવા એમના જેવા જીવોને એવી ઈચ્છા થાય એ વ્યાજબી છે. અનેક સુકૃત્યો કરેલા હોવાને લીધે ઉજ્વળ છે દેહ જેમનો એવી એ બંને ચારિત્ર ગ્રહણ કરવાને ઉત્સુક થઈ રહી છે તેથી એમને ધન્યવાદ ઘટે છે. પરંતુ એમની સાથે હું પણ દીક્ષા લઈશ, કારણકે પછી સંસારમાં રહીને હું શું કરું ? હવે ચારિત્રને માટે જે જે સામગ્રી જોઈએ તે તે તૈયાર થાય એટલામાં અમે તીર્થયાત્રા કરવા નીકળ્યા છીએ.
હે શ્રાવકશિરોમણિ ! જેમ ચૂર્ણિ અને વિવૃત્તિ ટીકાઓ સૂત્રના અર્થનું પ્રતિપાદન કરે છે તેમ એમણે મારું વચન પ્રતિપાદન કર્યું-માન્ય રાખ્યું. હે રાજપુત્ર ! સમેતશિખર-ભ્રુગુકચ્છ-ઉજ્જયંત-શત્રુંજય આદિ પ્રસિદ્ધ તીર્થોની વિધિ સહિત યાત્રા કરી અમારા સર્વ દ્રવ્યનો વ્યય કરી અમે ખરે જ બહુ કૃતાર્થ થયા છીએ. યાત્રા કરી ઘેર પાછા ફરતાં અમે સાંભળ્યું કે મગધેશ્વર-શ્રેણિકરાજાએ જિનમંદિરો બંધાવ્યા છે તેમાં ઉત્તમ રત્નોનાં જિનબિંબ પધરાવ્યા છે. એટલે એ દેવમંદિરોના દર્શન કરવાની અમને અત્યંત ઉત્સુકતા થઈ તેથી અમે અત્રે આવ્યા છીએ.” આવી આવી તદ્દન અસત્ય વાતો એ વેશ્યાએ અભયકુમારને કહી; પૂરેપૂરું ચાતુર્ય દાખવવાની આવડત હોય તો પછી વાંધો શાનો આવે ?
એ ચતુર વેશ્યાની વાત સાંભળીને ઉદાર પ્રકૃતિના અભયકુમારે એને કહ્યું “તમે આ યાત્રાદિ સર્વ કાર્ય કર્યાં તે બહુ સારું કર્યું છે. તો હવે તમે આજે મારા અતિથિ થાઓ-મારો ભોજનસત્કાર ગ્રહણ કરો, કારણકે આવો પર્વ દિવસ (હર્ષનો પ્રસંગ) કોઈક જ વાર આવે છે. દુષ્ટવૃત્તિવાળી વેશ્યાએ ઉત્તરમાં કહ્યું કે આપના જેવા ઉદાર સજ્જનોને એ ઉચિત જ છે. પરંતુ આજે તો મેં પ્રભાતના પ્રતિક્રમણ સમયે ઉપવાસનું પચ્ચખ્ખાણ લીધું છે. (આજે મારે ઉપવાસ છે.) હે બુદ્ધિમાન શ્રાવકશિરોમણિ ! દેવગુરુની કૃપાથી માર્ગને વિષે-યાત્રામાં પણ હું મારાં ધર્મકૃત્ય ચુકી નથી. એમ કરવાથી જો મારો દીક્ષાનો મનોરથ સત્વર પૂર્ણ થશે તો હું મને સમસ્ત વસ્તુ પ્રાપ્ત થઈ સમજીશ. આવું આવું કહીને એણે અભયકુમારનું મન પૂરું હરી લીધું.
પછી એણે એને છેવટે વળતે દિવસ પોતાને ઘેર પારણું કરવાને અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો)
૧૧૩