Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
અધિષ્ઠાત્રી (દેવી) હોય નહીં એવી એક સ્ત્રીને રૂદન કરતી દીઠી. એણે પોતાનું અરધું મુખ ઉત્તરીયવસ્ત્રથી ઢાંકેલું હતું અને એના હાથમાં એક કંઈ ભાજન જેવું હતું. કરૂણા લાવીને મેં એને નિર્ભયતાથી પૂછયું- (કારણકે ક્ષત્રિય જાતિ મૂળથી જ નિર્ભય ગણાય છે) હે ભદ્રે ! તું શા માટે રૂદન કરે છે ? તને કોઈ ચોરલોકો લુંટી ગયા છે ? અથવા તારું કોઈ સ્નેહી પરલોક-મૃત્યુ પામ્યું છે ? અથવા તારા પતિએ મૂઢતાને લઈને બીજી સ્ત્રી પર આસક્ત થઈ તને ત્યજી દીધી છે ? અથવા તારી સાસુ કે નણંદે તને દુ:ખ દઈ કાઢી મૂકી છે ? અથવા તને કોઈ એવી બીજી વિપત્તિ આવી છે ? મને નિઃશંકપણે તારા રૂદનનું કારણ કહે. એ પરથી એ જાણે દૂરથી દોડતી આવવાથી થાકી ગઈ હોય એમ શ્વાસ ખાતી તથા દીનતા દાખવતી મને કહેવા લાગી; હે મહાભાગ ! શાસ્ત્રને વિષે, આપણું દુઃખ એવા પુરુષની આગળ કહેવાનું કહ્યું છે કે જેના દર્પણ સમાન ચિત્તને વિષે એનું પ્રતિબિંબ પડે અથવા જે દુઃખસમુદ્રથી આપણને તારી શકે. જેની તેની પાસે નિષ્કારણ દીનતા (દુઃખ) શા માટે બતાવવી ? પારકે દુઃખે દુઃખી અને એવા દુઃખીનું દુ:ખ ટાળવાના સામર્થ્યવાળા વર્તમાન કાળમાં પૃથ્વી પર છે જ ક્યાં ? એ સાંભળી મેં એને કહ્યું-તારા દુઃખનું કારણ કહે કારણકે એવા સમર્થ પુરુષો પણ છે. સર્વત્ર પંઢ હોતા નથી, ક્યાંય સાંઢ પણ હોય છે.
એ દુષ્ટાએ કહ્યું–જો એમ હોય તો, સાંભળ હું જે કહું છું તે આ શૂળીએ ચઢાવેલ છે તે મારો પતિ છે. હું એને પ્રાણ કરતાં પણ અતિ વ્હાલી હતી અને મને એમના પર એટલો જ સ્નેહ હતો. કારણકે બે હાથ સિવાય તાળી પડતી નથી. મારા પતિ મારા તરફ કદિ વિપરીતપણે વર્તતા નહીં. તેમ હું પણ એમને અપ્રિય એવું કંઈ કરતી નહીં. કારણકે
ક્યો માણસ પોતાના હિતકર્તા તરફ પ્રતિકૂળપણે વર્તે ? એવામાં આજે નહીં જેવું દૂષણ બતાવીને નીતિ કે દયા વિનાના પાપી તોફાની પોલીસે એની આ દશા કરી છે. કારણકે સર્વ અધિકારમાં આ પોલીસનો અધિકાર અધમ છે. મારા પતિની આ સ્થિતિ જોઈ મેં બહુ બહુ વિલાપ કર્યા. અથવા તો કુલસ્ત્રીઓનો એ ધર્મ જ છે. હે સજ્જન ! બહુ વિલાપ કરીને પણ હું શું કરું ? એવા નિર્દયના હાથમાં સપડાયેલા પ્રત્યે મારા જેવી
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો)
૭૩