Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પરિશીલનની પૂર્વે દેવાધિદેવ શ્રી અરિહંતપરમાત્માના પરમતારક શાસનને છોડીને અન્ય કોઈ પણ શાસનથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. એનું કારણ એ છે કે મોક્ષને પ્રાપ્ત કરાવનારાં સાધનોનો પારમાર્થિક ઉપદેશ માત્ર શ્રી તીર્થંકર પરમાત્માના શાસનમાં છે. “અન્ય દર્શનકારોના શાસનમાં પરમાર્થથી મોક્ષનાં સાધનોનો ઉપદેશ જ નથી.' - આ વાત જયાં સુધી સમજવામાં આવે નહિ ત્યાં સુધી શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલાં મોક્ષસાધનોની સુદઢ પ્રતિપત્તિ શક્ય નથી.
આ પૂર્વેની દશમી બત્રીશીમાં મોક્ષના કારણભૂત સઘળાય આત્મવ્યાપારને યોગ તરીકે વર્ણવીને; આ બત્રીશીમાં પતંજલિ ઋષિએ યોગાનુશાસનમાં જે યોગનું લક્ષણ-સ્વરૂપ વર્ણવ્યું છે તેની વિચારણા કરી છે. “ચિત્તવૃત્તિઓના નિરોધને યોગ કહેવાય છે' આ લક્ષણની નિર્દોષતાદિનો વિચાર કરતાં પૂર્વે શરૂઆતમાં સાખ્યદર્શનપ્રસિદ્ધ તત્ત્વોનું સ્વરૂપ વર્ણવ્યું છે.
સાંખ્યદર્શનની માન્યતા મુજબ પુરુષ અને પ્રકૃતિ: આ બે મૂળભૂત તત્ત્વો છે. એમાં પુરુષ ચેતન છે. શુદ્ધ નિરુપાલિક) સ્ફટિકાદિની જેમ શુદ્ધ, નિરંજન અને નિરાકાર છે. ઉત્પન્ન નહીં થયેલો, ક્યારે ય નાશ નહીં પામનારો અને સદાને માટે સ્થિર એક સ્વભાવવાળો એવો ફૂટસ્થ નિત્ય છે. તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલું પણ જેમાં પરિવર્તન આવતું નથી, એવો તે અપરિણામી નિત્ય છે.
પ્રકૃતિ જડ છે. પરિણામી નિત્ય છે. તેનાથી બુદ્ધિ (ચિત્ત-મહત્ત્વ) ઉત્પન્ન થાય છે. તેનાથી અહંકાર(અસ્મિતા) ઉત્પન્ન થાય છે. તેથી અગિયાર ઇન્દ્રિયો અને રૂપાદિ પંચતન્માત્રા-આ સોળનો ગણ ઉત્પન્ન થાય છે અને તે બધાથી યથાયોગ્ય પાંચ મહાભૂતોની(પૃથ્વી-જલાદિની) ઉત્પત્તિ થાય છે. અનાદિકાળથી પુરુષ અને પ્રકૃતિના નિરંતર સન્નિધાનથી બંન્ને વચ્ચેના ભેદનો અગ્રહ હોવાથી પુરુષને કર્તુત્વનું અને પ્રકૃતિને ચૈતન્યનું અભિમાન છે. આ જ પુરુષના સંસારનું મુખ્ય બીજ છે. યોગના પરિશીલનથી ભેદનો ગ્રહ થવાથી પુરુષ સ્વરૂપસ્થ બને છે. એ જ પુરુષનો મોક્ષ છે. પ્રથમ દૃષ્ટિએ આ બધું વિચારતાં રમણીય ભાસે છે. પરંતુ પરમાર્થથી આ બધું વિચારીએ તો ખૂબ જ વિચિત્ર જણાયા વિના રહેતું નથી.
ગ્રંથકાર પરમર્ષિએ પ્રારંભમાં સાંખ્યોના મતનું સંક્ષેપથી પણ સ્પષ્ટપણે નિદર્શન કરાવીને ગ્રંથના મધ્યભાગમાં તેમાં રહેલા દોષોનું દર્શન કરાવ્યું છે. એ બધું વિચારવાથી એક વાત સ્પષ્ટ રીતે સમજાય છે કે આટલી આત્મલક્ષી તાત્ત્વિક વાતો કરવા છતાં અન્યદર્શનકારો પરમાર્થનો લેશ પણ પામી શક્યા નથી અને એમની વાતોમાં આપણે આવી જઇએ તો આપણને પણ પરમાર્થનો અંશ પણ પ્રાપ્ત નહીં થાય.
૧૧૦
પાતંજલયોગલક્ષણ બત્રીશી