________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૨૦૫
સિંહની પેઠે શ્રી હીરસૂરિ મહેલમાં પધાર્યા. આજમખાન બહુ ભાવપૂર્વક ઊઠીને એમને મળ્યા. પૂછ્યું, “આપ કુશળ છો ને ? તમારા નામે અમારો જય થયો છે. તમને મળવાની અમને ખૂબ ઈચ્છા થઈ. તમે અકબર બાદશાહને મળ્યા અને એ દિલ્હીપતિને ખુશ કર્યા ત્યારથી જ તમને મળવાની ખૂબ ઈચ્છા હતી જ. તમારા આ રાહને – પંથને કેટલો સમય થયો અર્થાતુ ક્યારથી તમારો આ ધર્મ ચાલી રહ્યો છે ?” “અમારા આ ધર્મને બે હજાર વર્ષ થયાં છે. અમારા પયગંબર-પરમાત્મા મહાવીર જે કહી ગયા તે અમે કરીએ છીએ.” ત્યારે ખાને કહ્યું. “તો તો તમારો ધર્મ ખૂબ પુરાણો નથી. થોડાં વરસ પહેલાં જ તે શરૂ થયો છે.” હીર કહે કે “અમે ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીરના અનુયાયી કહેવાઈએ છીએ તે સાચું પણ તે પહેલાં ૨૩ પયગંબરો-તીર્થકરો થયા છે. તેમનો રાહ અમે અનુસરી રહ્યા છીએ.” તે સાંભળી ખાન બોલ્યો, “પહેલા અને છેલ્લા પયગંબરમાં કાંઈ ફરક ખરો ?' હીરે કહ્યું, “સાંભળો, પહેલા પરમાત્મા ઋષભદેવ હતા. તેમનું શરીર પાંચસો ધનુષ્ય ઊંચાઈનું હતું. પછી ક્રમશઃ એ ઊંચાઈ (પછીના તીર્થકરોમાં) ઘટતી ગઈ. લંછન, વસ્ત્ર અને વર્ણમાં પણ ફેર ખરો. પણ એ સૌનો માર્ગ તો એક જ. ઋષભદેવે ઉજ્વલ તથા પ્રમાણોપેત વસ્ત્ર કહ્યાં છે તથા હિંસા, અસત્ય, ચોરી, પરસ્ત્રી અને પરિગ્રહથી અળગા રહેવાનાં પાંચ વ્રત કહ્યાં છે. બધા પરમાત્માઓએ આ જ વાત કહી છે. પહેલા અને છેલ્લા (તીર્થંકર)નો માર્ગ લગભગ એકસરખો જ છે. વચ્ચે જે બાવીસ પરમાત્મા (તીર્થંકર) થયા તેમણે કેટલોક જુદો માર્ગ કહ્યો છે. પાંચ વર્ણનાં વસ્ત્રો તેઓ પહેરે તથા તેના માન – પ્રમાણનો કોઈ નિયમ નહીં. તેમને ચાર વ્રત હોય છે તેથી તેમને લગીરેય દોષ લાગતો નથી. વીર પ્રભુના સાધુ વક અને જડ કહ્યા છે તેથી અમે પૂરું પાળી શકતા નથી. પણ કાંઈક પાલન કરીએ છીએ. પહેલાંના સાધુ તે તો ઉત્તમ કોટિના સાધુ. જે પહેલા તીર્થકર ઋષભદેવ તેમને થયે તો અસંખ્ય કાળ થઈ ગયો. મહાવીરને બે હજાર વર્ષ થયાં. અમે એમનો માર્ગ અનુસરીએ છીએ.”
ત્યારે આજમખાન બોલ્યો, “હે ગુર, તમે બહુ સારી વાત કહી. હવે એક બીજી વાત પૂછું. તમને સાધુ થયે કેટલો સમય થયો ?' ત્યારે જગદ્ગુરુ હીર બોલ્યા, ‘બાવન વર્ષ.” આજમખાન ફરી કહે, ‘તમે આ જગતમાં કાંઈ પ્રાપ્ત કર્યું ?' હીર કહે, “હે આજમખાન, સાંભળ. મર્યા વિના સ્વર્ગે જવાય નહીં. ખુદા – ઈશ્વર અહીં આવતા નથી. તો દુનિયામાં તેની ભેટ કઈ રીતે થાય ? જમીન, સંપત્તિ, ઘર, સ્ત્રી બધું અમે છોડીને સાધુ થયા છીએ. કરામત – વિદ્યા એ તો મોટાઓની સાથે ગઈ.
અહીં પ્રસિદ્ધ કલિકાચાર્ય થયા. તેમણે ઈટનું સોનું બનાવ્યું. સનતકુમારના ઘૂંકથી બધા રોગ દૂર થતા. એવી અનેક વિદ્યાઓ હતી જે મોટાઓની સાથે ગઈ. અમને એ એટલા માટે આપી નહીં કે અનુગામી સાધુપણું લેશમાત્ર પણ જાળવશે નહીં. આગળના જે ઉત્તમ સાધુઓ હતા તેઓ વિદ્યા જીરવી શકતા હતા. જ્યારે કોઈ ધર્મનું કામ આવી પડતું ત્યારે તેઓ કરામત બતાવતા. જે સાધુ ગૃહસ્થને વિદ્યા દેખાડે અને મંત્ર, યંત્ર, તંત્ર કરે તે સાચો સાધુ ગણાય નહીં. અમે એવાં ટોણાં, તંત્ર, ઉંજણી કરતા નથી, માત્ર