________________
૨૬૬
- શ્રાવક કવિ ઋષભદાસકૃત
આમ, સકલ પ્રાણીઓને તેઓ ખમાવે છે અને અઢારે પાપસ્થાનક વોસિરાવે છે. હિંસા, જૂઠ, પરધનની ચોરી, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, પ્રેમ, દ્વેષ, કલેશ, કલંક, ચાડી, રતિઅરતિ, અવર્ણવાદ, માયામૃષાવાદ અને મિથ્યાત્વ – એ અઢાર પાપોને વોસરાવું છું. ચાર શરણ મનમાં ધારણ કરું છું. પહેલું શરણ અરિહંતનું જેઓ ચાર ઘાતી કર્મ ખપાવીને મોક્ષગતિને પામ્યા છે. બીજું શરણ સિદ્ધનું જેઓ આઠ કર્મ ખપાવીને અનંત સુખ પામ્યા છે. તથા જેઓ અનંત જ્ઞાન-દર્શન-ચારિત્ર અને અનંત વિર્ય એ અનંત ચતુષ્ટયના સ્વામી છે. ત્રીજું શરણ સાધુ ભગવંતનું, જેઓ નિર્મળ સમ્યકત્વ અને શિયળથી અલંકૃત છે, જે પંચમહાવ્રતના પાલણહાર છે અને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિવાળા છે. ચોથું શરણ ધર્મનું, જેનું સ્વરૂપ જ્ઞાની પુરુષોએ કહ્યું છે. જેમાં જીવહિંસા, અસત્ય, ચોરી અને પરદારગમન (પરિગ્રહ) નથી તે ધર્મ છે. આ ચાર શરણાંને મનમાં ધારણ કરી પછી દુકૃત્યની નિંદા કરે છે : “સાધુમાર્ગમાં સામાયિકનો ભંગ કર્યો, અસત્ય વચન કહ્યું, નીચનો ભંગ કર્યો, દાન દેતાં અંતરાય કર્યો, માતાપિતાને દુભવ્યાં, બીજાની થાપણ ઓળવી, કૂડ-કલંક કર્યું, પાપરૂપી કાદવમાં ખૂયો, અરિહંત-સિદ્ધ-સાધુની, જ્ઞાન, દર્શન, ચારિત્રની, આચાર્ય-ઉપાધ્યાય-સાધુની, સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાની, દેવ-દેવી-જિનપ્રતિમાની – આમ જે કાંઈ આશાતના કરી હોય અને આ દેહને જે કાંઈ પાપો લાગ્યાં હોય તે સઘળાંને હું નમાવું છું.
ઈહલોકમાં, પરલોકમાં, આ ભવમાં કરેલાં દુષ્કૃત્યોની આલોચના કરું છું. પૂર્વભવમાં એકેન્દ્રિય જીવગતિમાં હું વૃક્ષ બન્યો; લોહ બન્યો. લોહમાંથી હથિયાર બન્યાં. પશુ અને માણસના ગળે તે મારવાથી લોહીની ધાર નીકળી, વૃક્ષને કાપીને શૂળી બનાવી. વાહન, ઘાણી, ઉખલ (ખાંડણિયો), મુશળ (સાંબેલું) વગેરે બનાવ્યાં અને તે બીજાને આપ્યાં તેને હું વોસિરાવું છું. તેમ કરવાથી પંડિતમરણ થાય છે.'
ભવમાં ભમતાભમતાં જે દુષ્કૃત્ય થયાં હોય તેને આત્મસાક્ષીએ નિંદું છું. વળી જે કાંઈ સુકૃત કર્યા હોય તેને અનુમોદું છું. આવાં અન્ય વચનો તેઓ સ્વમુખે કહે છે : પ્રથમ તો સારભૂત સમ્યકત્વની પ્રશંસા કરું છું. વળી સદૈવતત્ત્વ, સદ્ગુરુતત્ત્વ અને સદ્ધર્મતત્ત્વ એ ત્રણ તત્ત્વો મેં પ્રાપ્ત કર્યા છે તેની પ્રશંસા કરું છું. એમ કરવાથી કર્મો ધોવાય છે. સમ્યકત્વ નિર્મળ કરવા માટે જિનપ્રતિમાની પૂજા કરી, શાશ્વતાં જિનચૈત્યો જુહાર્યા એની અનુમોદના કરું છું. ભુવનપતિમાં સાત કરોડ બોંતેર લાખ દેહરાં અને તેરસો ને નેવ્યાશી ક્રોડ ને સાઠ લાખ બિંબોને હું નમસ્કાર કરું છું.
(ચોપાઈ) પંચમહાવ્રત અંગિ ધરી, વિરાધના ભવ ભવ ભમતાં કરી;
અથવા અતિચાર મુજ જેહ, સિદ્ધ સાખિ ખમાવું તેહ. ૨૩૪૬ ફરી પંચમહાવ્રત ઉચરે, સકલ જીવસ્ય ખામણ કરે;
લાખ ચોરાસી યોનિ અનંત, ખમી ખમાવી સઘળી જંત. ૨૩૪૭ ટિ. ૨૩૪૬.૧ પંચમહાવ્રત = પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાન વિરમણ,
મૈથુન વિરમણ, પરિગ્રહવિરમણ એ સાધુજીવનનાં પાંચ મહાવ્રત.