________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ અવિધિથી થતા અલ્પ લાભ ઉપર દૃષ્ટાંત.
સંભળાય છે કે દ્રવ્યાર્થી કોઈ બે પુરુષ દેશાંતરે જઈ કોઈક સિદ્ધપુરુષની સેવા કરતા હતા. ઘણી સેવાથી તેના ઉપર તુષ્ટમાન થઈને સિદ્ધપુરુષે તેઓને દેવાધિષ્ઠિત મહિમાવંત તુંબ ફળના બીજ આપી તેનો આમ્નાય બતાવ્યો કે સો વાર ખેડેલા ખેતરમાં મંડપની છાયા કરી અમુક નક્ષત્ર, વાર, યોગે એને વાવવાં. જ્યારે તેનો વેલો ઉત્પન્ન થાય ત્યારે પ્રથમથી ફળનાં બીજ લઈ સંગ્રહ કરી રાખવો અને પછી પત્ર, પુષ્પ, ફળ, ડાંખળી સહિત તે વેલાને ખેતરમાં જ એમને એમ રાખી નીચે એવો કાંઈક સંસ્કાર કરવો કે જેથી એના ઉપર પડેલી રાખ વ્યર્થ ન જાય. પછી તે સૂકાયેલા વેલાને બાળી નાંખવો. તેની જે રાખ થાય તે સિદ્ધ ભસ્મ ગણાય છે. ચોસઠ તોલા તાપ્ર ગાળી તેમાં એક રતી સિદ્ધ ભસ્મ નાંખવી કે જેથી તે તત્કાળ સુવર્ણ બની જશે. - એમ બંને જણાને સરખી રીતે શિખવી રજા આપી. તે બંને જણ પોતપોતાને ઘેર ગયા. તે બેમાંથી એક જણે યથાવિધિ કરવાથી તેને તેના કહ્યા પ્રમાણે સવર્ણ થયું અને બીજાએ તેની વિધિમાં કાંઈક ચૂક કરી તેથી તેને સુવર્ણને બદલે ચાંદી થઈ પણ સુવર્ણ ન થયું. માટે યથાવિધિ થાય તો જ સંપૂર્ણ ફળદાયક નીવડે છે.
દરેક ધર્માનુષ્ઠાન પોતાની શક્તિ પ્રમાણે યથાવિધિ કરીને છેવટે અજાણતાં બનેલી અવિધિઆશાતનાનો દોષ દૂર કરવા માટે “અવિધિ-આશાતના મિચ્છા મિ દુક્કડ' એમ બોલવું કે જેથી તેનો વધારે દોષ લાગતો નથી. ત્રણ પ્રકારની પૂજાનું ફળ.
પહેલી અંગપૂજા વિનોપશમની (વિનોનો નાશ કરનારી); બીજી અગ્રપૂજા અભ્યદય પ્રસાધની (મોટો લાભ આપનારી); અને ત્રીજી ભાવપૂજા નિવૃત્તિકારિણી (મોક્ષપદ આપનારી); એમ ત્રણેના અનુક્રમે નામથી ગુણ યથાર્થ જાણવા.
અહીં આગળ કહી ગયા છીએ કે અંગપૂજા, અગ્રપૂજા, દેરાસર કરાવવાં, બિમ્બ ભરાવવાં, સંઘયાત્રા વગેરેનું કરવું એ બધાં દ્રવ્યસ્તવ છે. એ વિષે શાસ્ત્રમાં લખેલ છે કે :
સૂત્રમાં બતાવેલી વિધિ પ્રમાણે દેરાસર કરાવવાં, બિંબ ભરાવવાં, પ્રતિષ્ઠા-સ્થાપના કરાવવી, તીર્થયાત્રા કરવી, પૂજા કરવી, એ દ્રવ્યસ્તવ છે એમ જાણવું કેમકે એ સર્વ ભાવસ્તવનાં કારણ છે માટે દ્રવ્યસ્તવ ગણાય છે.
જો દરરોજ સંપૂર્ણ પૂજા ન કરી શકાય તો પણ તે દિવસે અક્ષતપૂજા કરીને પણ તે પૂજાનું આચરણ કરવું.
જો મહાસમુદ્રમાં પાણીનું એક બિન્દુ નાંખ્યું હોય તો તે અક્ષયપણે રહે છે તેમ વીતરાગની પૂજા પણ જો ભાવથી થોડી પણ કરી હોય તો પણ લાભકારી થાય છે.
એ જિનપૂજાના કારણથી સંસારરૂપ અટવીમાં દુઃખાદિ ભોગવ્યા વિના ઉદાર ભોગોને ભોગવીને સર્વ જીવ સિદ્ધિને પામે છે.