________________
૧૬૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
મુગ્ધશેઠનું દષ્ટાંત.
જિનદત્ત નામે એક શ્રેષ્ઠી તથા તેનો મુગ્ધ નામે એક પુત્ર હતો. મુગ્ધ પોતાના નામ પ્રમાણે ઘણો ભોળો હતો. પોતાના બાપની મહેરબાનીથી તે સુખમાં લીલાલહેર કરતો હતો. અવસર આવતાં જિનદત્ત શ્રેષ્ઠીએ દસ પેઢીથી શુદ્ધ કુળમાં ઉત્પન્ન થયેલી નંદિવર્ધન શ્રેષ્ઠીની કન્યાની સાથે મોટા ઉત્સવથી પોતાના પુત્રને પરણાવ્યો. આગળ જતાં પુત્રની ભલમનસાઈ જેવી અગાઉ હતી તેવી જ જોવામાં આવી. ત્યારે જિનદત્ત શ્રેષ્ઠીએ ગૂઢ અર્થના વચનથી તેને આ રીતે ઉપદેશ કર્યો.
“હે વત્સ ! ૧ સર્વ ઠેકાણે દાંતની વાડ રાખવી, ર કોઈને વ્યાજે દ્રવ્ય ધીર્યા પછી તેની ઉઘરાણી ન કરવી, ૩ બંધનમાં પડેલી સ્ત્રીને મારવી, ૪ મીઠું જ ભોજન કરવું, ૫ સુખે જ નિદ્રા લેવી, ૬ ગામે ગામ ઘર કરવું, ૭ દરિદ્રાવસ્થા આવે તો ગંગાતટ ખોદવો, ૮ ઉપર કહેલી વાતમાં કાંઈ શંકા પડે તો પાટલિપુત્ર નગરે સોમદત્ત શ્રેષ્ઠી નામે મારો સ્નેહી રહે છે તેને પૂછવું.
મુગ્ધશ્રેષ્ઠીએ પિતાનો આ ઉપદેશ સાંભળ્યો પણ તેનો ભાવાર્થ તેના સમજવામાં આવ્યો નહીં. આગળ જતાં તે મુગ્ધશ્રેષ્ઠી ઘણો દુઃખી થયો. ભોળપણામાં સર્વ નાણું ખોયું. સ્ત્રી આદિ લોકોને તે અપ્રિય બન્યો. એક કામ એનું પાર પડતું નથી. એની પાસેનું નાણું પણ ખૂટી ગયું. એ મહામૂર્ખ છે એમ લોકમાં તેની હાંસી થવા લાગી.
પછી તે (મુગ્ધશ્રેષ્ઠી) પાટલીપુત્ર નગરે ગયો. સોમદત્ત શ્રેષ્ઠીને પિતાના ઉપદેશનો ભાવાર્થ પૂછ્યો. સોમદત્તે કહ્યું “સર્વ ઠેકાણે દાંતની વાડ રાખવી એટલે મુખમાંથી ખોટું વચન બોલવું નહીં. અર્થાત્ સર્વલોકને પ્રિય લાગે એવું વચન બોલવું. ૨ કોઈને વ્યાજે પૈસા ધીર્યા પછી તેની ઉઘરાણી ન કરવી. એટલે પ્રથમથી જ અધિક મૂલ્યવાળી વસ્તુ ગિરવી રાખીને પૈસા ધીરવા કે જેથી દેણદાર પોતે આવીને વ્યાજ સહિત નાણું પાછું આપી જાય. ૩ બંધનમાં પડેલી સ્ત્રીને મારવી એટલે પોતાની સ્ત્રીને જો પુત્ર અથવા પુત્રી થઈ હોય તો જ તેની તાડના કરવી. તેમ ન હોય તો તે તાડના કરવાથી રોષ કરીને પિયર અથવા બીજે કોઈ સ્થળે જાય, અથવા કૂવામાં પડીને અથવા બીજી કોઈ રીતે આપઘાત કરે. ૪ મીઠું જ ભોજન કરવું, એટલે જ્યાં પ્રીતિ તથા આદર દેખાય ત્યાં જ ભોજન કરવું. કારણ કે, પ્રીતિ તથા આદર એ જ ભોજનની ખરેખર મીઠાશ છે. અથવા ભૂખ લાગે ત્યારે જ ખાવું એટલે સર્વ મીઠું જ લાગે. ૫ સુખે જ ઉંઘ કરવી એટલે
જ્યાં કોઈ પ્રકારની શંકા ન હોય ત્યાં રહેવું એટલે ત્યાં સુખે ઉંઘ આવે. અથવા આંખમાં ઉંઘ આવે ત્યારે જ સૂઈ રહેવું એટલે સુખે ઉંઘ આવે. ૬ ગામે ગામ ઘર કરવું એટલે ગામેગામ એવી મૈત્રી કરવી કે જેથી પોતાના ઘરની જેમ ત્યાં ભોજનાદિ સુખે મળી શકે. ૭ દરિદ્રાવસ્થા આવે તો ગંગાતટ ખોદવો એટલે તારા ઘરમાં જ્યાં ગંગા નામે ગાય બંધાય છે તે ભૂમિ ખોદવી, જેથી પિતાએ દાટી રાખેલું નિધાન તને ઝટ મળે.” સોમદત્ત શ્રેષ્ઠીના મુખથી એ ભાવાર્થ સાંભળી મુગ્ધશ્રેષ્ઠીએ તે પ્રમાણે કર્યું, તેથી તે દ્રવ્યવાન, સુખી અને લોકમાં માન્ય થયો. એ રીતે પુત્રશિક્ષાનું દષ્ટાંત કહ્યું છે.