________________
૧૮૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
ન રાખવો. સેંકડો કાર્ય હોય તો પણ ક્યાંય એકલા ન જવું. જાઓ, એકલા કાકીડા સરખા તિર્યંચ જીવે બ્રાહ્મણની રક્ષા કરી. એકલા માણસે કોઈપણ માણસને ઘેર ગમન ન કરવું. કોઈના ઘરમાં આડે માર્ગે પણ પ્રવેશ ન કરવો.
બુદ્ધિમાન પુરુષે જીર્ણ નાવમાં ન બેસવું, એકલાએ નદીમાં પ્રવેશ ન કરવો, અને સગાભાઈની સાથે માર્ગે જવું નહીં. વિવેકી પુરુષે પોતાની પાસે સાધન ન હોય તો જળના અને સ્થળના વિષમ પ્રદેશ, ઘોર અટવી તથા ઊંડુ જળ એટલાં વાનાંનું ઉલ્લંઘન ન કરવું. જેમાં ઘણાખરા લોકો ક્રોધી, સુખના અભિલાષી અને કૃપણ હોય તે સમુદાય પોતાનો સ્વાર્થ ખોઈ બેસે છે. જેમાંના સર્વે લોકો નાયકપણું ધરાવે છે, સર્વે પોતાને પંડિત માને છે અને મોટાઈ ઇચ્છે છે, તે સમુદાય ખરાબ અવસ્થામાં આવી પડે છે. - જ્યાં બંદીવાનોને તથા ફાંસીની શિક્ષા પામેલા લોકોને રખાતા હોય, જ્યાં જુગાર રમાતો હોય, જ્યાં પોતાનો અનાદર થતો હોય, ત્યાં તથા કોઈના ખજાનામાં અને અંતઃપુરમાં ગમન ન કરવું. જાણ પુરુષે મનને ગમે નહીં તેવા સ્થળે, સ્મશાન, શૂન્ય સ્થાન, ચઉટું, ફોતરા તથા જયાં સૂકું ઘાસ ઘણું પથરાયેલું હોય, જ્યાં પ્રવેશ કરતાં ઘણું દુઃખ થાય, તથા જ્યાં કચરો નંખાતો હોય, એવું સ્થાનક, ખારી ભૂમિ, વૃક્ષનો અગ્રભાગ, પર્વતની ટૂંક, નદીનો તથા કૂવાનો કાંઠો અને જ્યાં ભસ્મ, કોયલા, વાળ અને માથાની ખોપરીઓ પડેલી હોય, એટલી જગ્યાએ ઘણીવાર ઉભા ન રહેવું, ઘણો પરિશ્રમ થાય તો પણ જે જે કૃત્ય કરવાનું હોય, તે ન મૂકવું. કલેશને વશ થયેલો પુરુષ પુરુષાર્થના ફળરૂપ ધર્મ, અર્થ અને કામ એ ત્રણે મેળવી શકતો નથી. સત્કાર્યોના મનોરથો કરવાં જોઈએ.
માણસ છેક આડંબર રહિત હોય તો તેનો જ્યાં ત્યાં અનાદર થાય છે, માટે બુદ્ધિશાળી પુરુષે કોઈ પણ સ્થળે વિશેષ આડંબર છોડવો નહીં. વિવેકી પુરુષે પરદેશ ગયા પછી પોતાની યોગ્યતા માફક સોંગે વિશેષ આડંબર તથા સ્વધર્મને વિષે પરિપૂર્ણ નિષ્ઠા રાખવી. કારણ કે તેમ કરવાથી જ મોટાઈ, બહુમાન તથા ધારેલા કાર્યની સિદ્ધિ આદિ થવાનો સંભવ છે. પરદેશમાં બહુલાભ થાય તો પણ ઘણા કાળ સુધી ન રહેવું. કારણ કે તેમ કરવાથી ગૃહકાર્યની અવ્યવસ્થા આદિ દોષ ઉત્પન્ન થાય છે.
કાષ્ઠશ્રેષ્ઠી આદિની જેમ લેવા-વેચવા આદિ કાર્યના આરંભમાં, વિદનનો નાશ અને ઇચ્છિત લાભ વગેરે કામ સિદ્ધ થવાને અર્થે પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરતો. તેમ પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરવું. ગૌતમાદિનું નામ ઉચ્ચારવું તથા કેટલીક વસ્તુ દેવના, ગુરુના અને જ્ઞાન આદિના ઉપયોગમાં આવે એવી રીતે રાખવી. કારણ કે, ધર્મની પ્રધાનતા રાખવાથી જ સર્વકાર્ય સફળ થાય છે. ધનનું ઉપાર્જન કરવા જેને આરંભ-સમારંભ કરવો પડે તે શ્રાવકે સાત ક્ષેત્રમાં ધન વાપરવાના તથા બીજા એવા જ ધર્મ કૃત્યના નિત્ય મોટા મનોરથ કરવા. કહ્યું છે કે વિચારવાળા પુરુષે નિત્ય મોટા મોટા મનોરથ કરવા. કારણ કે, પોતાનું ભાગ્ય જેવા મનોરથ હોય તે પ્રમાણે કાર્યસિદ્ધિ કરવામાં યત્ન કરે છે. ધન, કામ અને યશ એ ત્રણે વસ્તુની પ્રાપ્તિ માટે કરેલો યત્ન વખતે નિષ્ફળ થાય છે, પરંતુ ધર્મકૃત્ય કરવાનો કેવળ મનમાં કરેલો સંકલ્પ પણ નિષ્ફળ જતો નથી.