________________
૨૨૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ કેવળીના એવા વચનથી પ્રતિબોધ પામેલા ધનમિત્ર શ્રાવકપણું સ્વીકાર્યું. તથા રાત્રિના અને દિવસના પહેલા પહોરમાં ધર્મ જ આચરવો એવો અભિગ્રહ પણ ગ્રહણ કર્યો પછી એક શ્રાવકને ઘેર તે ઉતર્યો. પ્રભાતકાળમાં માળીની સાથે બાગમાં ફૂલ ભેગાં કરીને તે ઘર દેરાસરમાં ભગવાનની પરમ-ભક્તિથી પૂજા કરતો હતો. તથા બીજા, ત્રીજા વગેરે પહોરમાં દેશવિરુદ્ધ, રાજવિરુદ્ધ વગેરેને છોડી દઈને વ્યવહાર શુદ્ધિથી તથા ઉચિત આચરણથી શાસ્ત્રોક્ત રીતિ પ્રમાણે તે ધનમિત્ર વ્યાપાર કરતો હતો, તેથી તેને નિર્વાહ જેટલું સુખ મળવા લાગ્યું. એમ કરતાં જેમ તેની ધર્મમાં દઢતા થઈ તેમ તેમ તેને વધુ ને વધુ ધન મળવા લાગ્યું અને ધર્મકરણીમાં વધુ ને વધુ વ્યય કરવા લાગ્યો.
આગળ જતાં ધનમિત્ર જુદા ઘરમાં રહ્યો એને ધર્મિષ્ઠ જાણીને કોઈ શેઠે તેને પોતાની કન્યા પણ આપી. એક વખતે ગાયોનો સમુદાય વગડામાં જવા નીકળ્યો ત્યારે ગોળ, તેલ આદિ વસ્તુ વેચવા તે જતો હતો. ગાયોના સમુદાયનો ધણી ગોવાળિયો ‘આ અંગારા છે' એમ સમજીને સોનાનો નિધિ નાંખી દેતો હતો. તેને જોઈ ધનમિત્રે કહ્યું “આ સોનું છે કેમ નાખી દો છો ?” ગોકુળના ધણીએ કહ્યું, “પૂર્વે પણ અમારા પિતાજીએ “આ સોનું છે' એમ કહી અમને ઠગ્યા, તેમ તું પણ અમને ઠગવા આવ્યો છે.” ધનમિત્રે કહ્યું “હું ખોટું કહેતો નથી.” ગોકુળના ધણીએ કહ્યું, “એમ હોય તો અમને ગોળ વગેરે આપીને તું જ આ સોનું લે.” પછી ધનમિત્રે તે પ્રમાણે કર્યું અને તેથી તેને ત્રીસ હજાર સોનૈયા મળ્યા. તથા બીજાં પણ તેણે ઘણું ધન મેળવ્યું તેથી તે મોટો શેઠ થયો. તે જ ભવમાં ધર્મનું માહાભ્ય કેટલું સાક્ષાત્ દેખાય છે ?
એક દિવસે ધનમિત્ર કર્મને વશ થઈ સુમિત્રશેઠને ઘેર એકલો જ ગયો. ત્યારે સુમિત્રશેઠ કોડ મૂલ્યનો રત્નનો હાર બહાર મૂકીને કાંઈ કાર્યને અંગે ઘરમાં ગયો અને તુરત પાછો આવ્યો. એટલામાં રત્નનો હાર ક્યાંય જતો રહ્યો. ત્યારે “અહીં બીજો કોઈ આવ્યો નથી માટે તે જ લીધો” એમ કહી સુમિત્ર ધનમિત્રને રાજસભામાં લઈ ગયો. ધનમિત્રે જિનપ્રતિમાના અધિષ્ઠાયક સમકિતી દેવતાનો કાઉસ્સગ્ન કરી પ્રતિજ્ઞા કરવા માંડી. એટલામાં સુમિત્રની ઓટીમાંથી જ રત્નનો હાર નીકળ્યો. તેથી સર્વ લોકોને અજાયબી થઈ. આ વાત જ્ઞાનીને પૂછતાં તેમણે યથાયોગ્ય રીતે કહ્યું.
ગંગદત્ત નામનો ગૃહપતિ અને મગધા નામની તેની સ્ત્રી હતી. ગંગદત્તે પોતાના શેઠની સ્ત્રીનું એક લાખ રૂપિયાની કિંમતનું રત્ન કોઈ ન જાણે એવી ગુપ્ત રીતે મેળવ્યું. શેઠની સ્ત્રીએ ઘણી માગણી કરી, તો પણ પોતાની સ્ત્રીને વિષે મોહ હોવાથી ગંગદત્તે તેને તારા સગાવ્હાલાઓએ જ તે રત્ન ચોર્યું છે.” એમ કહી ખોટું આળ દીધું. પછી શેઠની સ્ત્રી બહુ દિલગીર થઈ. તાપસી થઈ અને મરણ પામી વ્યંતર થઈ. મગધા મરણ પામી સુમિત્ર થઈ, અને ગંગદત્ત મરણ પામીને ધનમિત્ર થયો. તે વ્યંતરે ક્રોધથી સુમિત્રના આઠ પુત્ર મારી નાંખ્યા. હમણાં રત્નનો હાર હરણ કર્યો હજી પણ સર્વસ્વ હરણ કરશે અને ઘણા ભવ સુધી વેરનો બદલો વાળશે.
“અરે રે ! વેરનું પરિણામ કેવું પાર વિનાનું અને અસહ્ય આવે છે? આળ દીધાથી ધનમિત્રને માથે આળ આવ્યું. ધનમિત્રના પુણ્યથી સમ્યગ્દષ્ટિ દેવતાએ વ્યંતર પાસેથી રત્નાવણી હાર બળાત્કારથી છોડાવ્યો. જ્ઞાનીનાં એવાં વચન સાંભળી સંવેગ પામેલ રાજા તથા ધનમિત્ર મોટા પુત્રને પોતાની ગાદીએ બેસાડી દીક્ષા લઈ મુક્તિએ ગયા. આ રીતે વ્યવહારશુદ્ધિ આદિ ઉપર ધનમિત્રની કથા છે.