________________
૧૪૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ આવી નિમંત્રણા તો વર્તમાનકાળે બૃહત્ વંદન કીધા પછી શ્રાવકો કરે છે, પણ જેણે ગુરુની સાથે પ્રતિક્રમણ કર્યું હોય તે તો સૂર્ય ઊગ્યા પછી જ્યારે પોતાને ઘેર જાય ત્યારે નિમંત્રણા કરે. જેને ગુરુની પાસે પ્રતિક્રમણ કરવાનો યોગ બન્યો ન હોય તેણે તો જયારે ગુરુને વાંદવા આવવાનું બની શકે ત્યારે આવી ઉપર લખ્યા પ્રમાણે નિમંત્રણા કરવી. ઘણેભાગે તો દેરાસરમાં જિનપૂજા કરી નૈવેદ્ય ચઢાવી ઘેર ભોજન કરવા જવાના અવસરે ફરી ગુરુ પાસે ઉપાશ્રયે આવી નિમંત્રણા કરવી; એમ શ્રાદ્ધદિનકૃત્યમાં લખેલ છે. પછી યથાવસરે વૈદ્યાદિની પાસે ચિકિત્સા (રોગની પરીક્ષા) કરાવી ઔષધાદિ આપે. જેમ યોગ્ય હોય એમ પથ્યાદિ વહોરાવે. જે જે કાંઈ કાર્ય હોય તે કરાવી આપે. જે માટે કહેવું છે કે –
જ્ઞાનાદિક ગુણવાળા સાધુઓને સહાયભૂત આહારાદિ, ઔષધ અને વસ્ત્ર વિગેરે જે જે જેમ યોગ્ય લાગે તેમ આપવું.
જ્યારે પોતાને ઘેર સાધુ વહોરવા આવે ત્યારે હંમેશાં તેમના યોગ્ય જે જે પદાર્થો તૈયાર હોય તે નામ દઈને વહોરાવે. જો એમ ન કરે તો ઉપાશ્રયે કરેલી નિમંત્રણા નિષ્ફલ થાય છે અને નામ દઈ ને વહોરાવતાં પણ જો સાધુ વહોરે નહીં તો પણ લાભ છે. એમ કહ્યું છે કે -
મનથી પણ પુચ થાય છે, વળી વચનથી (નિમંત્રણા કરવાથી) વધારે પુન્ય થાય છે અને કાયાએ તેની જોગવાઈ મેળવી આપવાથી પણ પુન્ય થાય છે; માટે દાન તો કલ્પવૃક્ષની જેમ ફળદાયક જ છે.
ગુરુને જો નિમંત્રણા ન કરીએ તો આપણા ઘરમાં તે પદાર્થ નજરે દેખવા છતાં પણ સાધુ તેને લોભી જાણી યાચતા નથી. માટે નિમંત્રણા ન કરવાથી મોટી હાનિ થાય છે.
દરરોજ સાધુને નિમંત્રણા કરતાં પણ જો આપણે ઘરે વહોરવા ન આવે તો પણ તેથી પુન્ય જ થાય છે. વળી ભાવની અધિકતાથી અધિક પુન્ય થાય છે. દાનની નિમંત્રણા ઉપર જીર્ણશેઠનું દૃષ્ટાંત.
જેમ વિશાળા નગરીમાં છપસ્થ અવસ્થામાં ચાર મહીનાના ઉપવાસ ધારણ કરી કાઉસ્સગ્ગ ઉભા રહેલા ભગવાન મહાવીરસ્વામીને દરરોજ પારણાની નિમંત્રણા કરનાર જીર્ણશેઠ ચોમાસીને પારણે આજે તો જરૂર જ પારણું કરશે એમ ધારી ઘણી નિમંત્રણા કરી પોતાને ઘેર આવી, ઘર આંગણે બેસી ભાવના ભાવવા લાગ્યો કે -
અહો ! ધન્ય છું હું, આજે મારે ઘેર સ્વામી પધારશે, પારણું કરશે. ઇત્યાદિ ભાવના ભાવતાં જ તેણે અશ્રુતસ્વર્ગનું આયુષ્ય બાંધ્યું અને પારણું તો પ્રભુએ મિથ્યાદેષ્ટિ કોઈક (પૂર્ણશેઠ)ને ઘેર ભિક્ષાચરની રીતે દાસીને હાથે અપાયેલા અડદના બાકળાથી કીધું. ત્યાં પંચદિવ્ય થયાં. એટલો જ માત્ર તેને લાભ થયો. બાકી તે વખતે જો જીર્ણશેઠ દેવદુંદુભિનો શબ્દ ન સાંભળત તો તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થાત એમ જ્ઞાનીએ કહ્યું. માટે ભાવનાથી અધિકતર ફળની પ્રાપ્તિ થાય છે,
આહારાદિ વહોરાવવા ઉપર શાલિભદ્રનું દષ્ટાંત તથા ઔષધના દાન ઉપર મહાવીર સ્વામીને ઔષધ આપવાથી તીર્થકર ગોત્રની બાંધનારી રેવતી શ્રાવિકાનું દૃષ્ટાંત જાણવું. તે આ પ્રમાણે -